Rakshabandhan 2023: જૂનાગઢમાં ગુરુકુળ દ્રોણેશ્વર ખાતે G20ની થીમ પર રક્ષાબંધનની અનોખી ઉજવણી
Published : Aug 30, 2023, 7:49 PM IST
જૂનાગઢ: સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વર ખાતે આજે રક્ષાબંધનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. G20ની થીમ આધારિત 35 ફૂટની રાખડી બનાવીને ગુરુકુળમાં અભ્યાસ કરતા બાળક અને બાળકીઓએ રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી હતી. રાખડીમાં G20માં સામેલ તમામ દેશોના રાષ્ટ્રધ્વજને સામેલ કરવામાં આવ્યા હતા. મંદિર એ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નથી પરંતુ આધ્યાત્મિક કેન્દ્ર સમાન મંદિરોમાં સંસ્કારની સાથે રાષ્ટ્રીય ભાવનાઓ અને વિચારો અભ્યાસ કરતા પ્રત્યેક બાળકમાં શાળા કક્ષાએથી વિકાસ પામે તે માટે એસ.જી.વી.પી ગુરુકુળના અધ્યક્ષ માધવપ્રીયદાસ સ્વામીની પ્રેરણાથી આ વર્ષે ભગવાન રામ અને શ્યામની સાથે ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં જી-20 થીમ આધારિત 35 ફૂટની રાખડી તૈયાર કરવામાં આવી હતી. જેમાં G20 સંગઠનના ફાયદા G-20 સંગઠન શું છે તે તમામ વિગતો બેનરો સાથે પ્રદર્શિત કરવામાં આવી હતી. આજના આ અનોખા રક્ષાબંધનના તહેવારમાં ગુરુકુળમાં અભ્યાસ કરાવતા અધ્યાપકોની સાથે શિક્ષકો અને શાળાના બાળકો પણ જોડાયા હતા.