નફરતના રાજકારણને બદલે વિકાસના રાજકારણનો વિજય થયો- હર્ષ સંઘવી
Published : Dec 3, 2023, 4:19 PM IST
સુરત: રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી આજે ભેસ્તાન પોલીસ સ્ટેશના લોકાર્પણ માટે સુરતના મહેમાન બન્યા છે. તેમણે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પર નિવેદન આપ્યું છે. તેમણે ભાજપને જીત મળી તે બદલ જનતાનો ખૂબ ખૂબ આભાર માન્યો છે. તેમણે કૉંગ્રેસ પર આકરા વાકપ્રહાર કર્યા છે. સંઘવીએ કહ્યું કે, નફરતના રાજકારણ કરનારાઓનો ખૂણે ખૂણેથી સફાયો કરવામાં આવ્યો છે. જનતાએ નફરતના રાજકારણને જાકારો આપ્યો છે. પ્રત્યેક દેશવાસીઓના હૃદયમાં મોદીજી વસે છે અને મોદીજીના હૃદયમાં પ્રત્યેક દેશવાસી વસે છે. છેલ્લા ઘણા વર્ષોથી મોદીજી રાત દિવસ દેશના દરેક વર્ગના લોકો માટે મહેનત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે પછાત, વંચિતો, મહિલાઓ અને યુવાનોના વિકાસ માટે જે નિર્ણયો લીધા તેનાથી આ દેશના કરોડો પરિવારના જીવન બદલાઈ ગયા. આ મહેનતનું પરિણામ આજે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળ્યું છે. પ્રજા માટે રાત દિવસ કામ કરતા મોદીને વિરોધીઓએ ગંદી ભાષામાં વખોડ્યા છે. મોદીજીને વખોડતા એક એક નેતાનો આજે હિસાબ થયો છે. આજે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે પણ કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધીના લોકોમાં આ પરિણામને લઈને ખુશી જોવા મળી છે. તેનું મુખ્ય કારણ છે નફરતના રાજકારણ સામે વિકાસના રાજકારણનો વિજય થયો છે.