મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતી ભવ્ય ઉજવણી, 1100 કુંડી વૈદિક મહાયજ્ઞ યોજાશે

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2023, 1:09 PM IST

thumbnail

મોરબી : મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મજયંતિ નિમિતે મોરબીમાં આર્ય સમાજ દક્ષિણ પ્રેરિત મહોત્સવ સમિતિ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી 24 ડિસેમ્બર રવિવારના રોજ સર્વજ્ઞાતિય 1100 કુંડી વૈદિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

1100 કુંડી મહાયજ્ઞ : મોરબીમાં આર્ય સમાજ દક્ષિણ પ્રેરિત મહોત્સવ સમિતિ દ્વારા આગામી 24 તારીખના રોજ 1100 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞ ગુજરાતમાં પ્રથમવાર થઈ રહ્યો છે. મોરબીના એસપી રોડ પર સ્થિત પ્રભુરત્ન પાર્ટી પ્લોટ પાછળના આર્યભૂમિ ખાતે કરવામાં આવ્યું છે. આ યજ્ઞ સવારે 7 કલાકે શરૂ થશે. ત્યારબાદ ધર્મસભા અને પ્રવચનનો કાર્યક્રમ યોજાશે.

મહાયજ્ઞની વિશેષ સામગ્રી : સર્વજ્ઞાતિય 1100 કુંડી વૈદિક મહાયજ્ઞ માટે 260 કિલો દેશી ગાયનું ચોખ્ખું ઘી કચ્છથી મંગાવવામાં આવ્યું છે. આયોજન સમિતિએ જણાવ્યું હતું કે, આટલા મોટા પ્રમાણમાં ઘી હોમાવાથી વાતાવરણ શુદ્ધ થશે. ઉપરાંત 100 ઔષધીઓ મળી 325 કિલો હવન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે. 2 ટન જેટલા જથ્થામાં 5 જાતની સમીધા વપરાશે, જેમાં આંબો, ખીજડો, પીપળો, ખેર સહિતના લાકડાનો ઉપયોગ થશે.

15 વીઘા જમીન પર ભવ્ય આયોજન : આ સમગ્ર કાર્યક્રમ 15 વીઘા જેટલી વિશાળ જગ્યામાં વિવિધ સુવિધા ઉભી કરવામાં આવશે. જેમાં 6 જગ્યાએ પાર્કિંગ ગોઠવાશે અને 12 હજાર લોકોનો મહાપ્રસાદ યોજાશે. આ કાર્યક્રમમાં વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ, માતૃભૂમિ વંદના ટ્રસ્ટ, આર્યસમાજ લખધીરવાસ, આર્યસમાજ 3 હાટડી ટંકારા, આંતરરાષ્ટ્રીય ઉપદેશક મહાવિદ્યાલય ટ્રસ્ટ ટંકારા સહિતની સંસ્થાઓ સહયોગી બની છે.

યજ્ઞમાં બેસવાનો ચાર્જ ? આયોજન સમિતિના જણાવ્યા અનુસાર આ યજ્ઞમાં બેસવા માટે કોઈ ચાર્જ નથી અને 100 જેટલા યજમાનો મોરબી બહારથી આવશે. મહાયજ્ઞના આગલા દિવસે ધ્વજારોહણના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વ્યવસ્થા જાળવવા અને સેવા માટે 300 સ્વયમ સેવકો ખડેપગે રહેવાના છે. હાલ સમિતિના પ્રમુખ જેન્તીભાઈ રાજકોટિયા અને રામજીભાઈ બાવરવાના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

  1. માંડવામાં ધૂણતા ભુવાનું હાર્ટએટેકથી મોત, મોરબીના ટંકારા પંથકમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી મોતના બે બનાવ
  2. Shrimad Bhagwat Saptah : મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે આજથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.