ETV Bharat / state

કપરાડા આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન બોટલની અછત, દર્દીના સ્વજનો સ્વખર્ચે ઓક્સિજન બોટલ લાવતા હોવાનો ગંભીર આક્ષેપ

author img

By

Published : May 10, 2021, 2:16 PM IST

વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આરોગ્યલક્ષી સેવા નિઃશુલ્ક લોકોને મળી રહે તેવા હેતુથી વિવિધ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ કોવિડ જેવી મહામારીમાં આદિવાસી વિસ્તારના લોકોને સરકારી હોસ્પિટલમાં પણ સારવાર લેવા માટે ઓક્સિજન સિલિન્ડર સ્વખર્ચે લાવવો પડતો હોવાના ગંભીર આક્ષેપ દર્દીના સ્વજનો કરી રહ્યા છે. કપરાડા ખાતેથી છેક વાપી સુધી ઓક્સિજન સિલિન્ડર ભરવા જવાના હોવાના દર્દીના સ્વજનોએ આક્ષેપ કર્યા છે.

કપરાડા આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન બોટલની અછત
કપરાડા આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન બોટલની અછત

  • નિઃશુલ્ક સારવાર માટે ઉભી કરવામાં આવેલી સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન બોટલની અછત
  • સારવાર લઈ રહેલ દર્દીના સ્વજનો દ્વારા સ્વખર્ચે કરવામાં આવી રહી છે વ્યવસ્થા
  • અદિવાસી વિસ્તારના લોકોને સુવિધાના નામે માત્ર મુશ્કેલી

વલસાડઃ હાલમાં દરેક જગ્યાએ કોરોનાની મહામારી ચાલી રહી છે, જેને પગલે ઓક્સિજનની અછત દરેક જગ્યા પર ઉભી થઈ છે એ પછી ખાનગી હોસ્પિટલ હોય કે વલસાડ સિવિલ હોસ્પિટલ હોય. દરેક જગ્યા પર ઓક્સિજન માટેની અછતને લઇને બૂમાબૂમ થઇ રહી છે. સરકારી હોસ્પિટલમાં જ્યાં નિશુલ્ક સારવાર આપવાની હોય છે, એવા સ્થળે પણ સારવાર લઈ રહેલા દર્દીના સ્વજનો દ્વારા પોતાના સ્વખર્ચે ઓક્સિજન બોટલો લાવવાની ફરજ પડી રહી છે.

કપરાડા આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન બોટલની અછત

આ પણ વાંચોઃ ડીસામાં ઓક્સિજનની અછત વચ્ચે રાજુભાઈ શાહની અનોખી સેવા

રેફરલ હોસ્પિટલમાં કોરોનાના સીંટોમેન્ટિક દર્દીઓ માટે ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે

કપરાડા તાલુકાના મુખ્યમથકે આવેલી રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. જે અંગે તેમના સ્વજનો દ્વારા સ્વખર્ચે સિલિન્ડરો વાપી જીઆઇડીસીની કોઈ કંપનીમાંથી ફીલિંગ કરાવીને લાવવામાં આવી રહ્યા હોવાનું ખુદ તેમના સ્વજનો જણાવી રહ્યા છે.

કપરાડા આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન બોટલોની અછત
કપરાડા આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન બોટલોની અછત

સરકારી હોસ્પિટલમાં મૂકવામાં આવેલા સિલિન્ડર માત્ર 2 કિલોના જે લાંબો ચાલી શકતા નથી

સરકારી હોસ્પિટલમાં મૂકવામાં આવેલા ઓક્સિજન સિલિન્ડર દોઢથી બે કિલોની કેપિસિટીના હોય છે. જે કોરોનાના દર્દીને લાંબો સમય સુધી ચાલી શકે તેમ ન હોવાથી ઓક્સિજનના મોટા સિલિન્ડરની જરૂરિયાત ઉભી થઈ રહી છે. જેને પગલે આ જરૂરિયાતને પહોંચી વળવા સરકારી વહીવટીતંત્ર નહીં, પરંતુ સારવાર લઈ રહેલા દર્દીના સ્વજનો આકાશ પાતાળ એક કરી રહ્યા છે અને પોતે સિલિન્ડર લાવી સારવાર કરાવવા માટે મજબૂર બન્યા છે.

3000 રૂપિયા ખર્ચી સિલિન્ડર લાવવામાં આવી રહ્યો છે

સરકારી રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વજનોએ જણાવ્યું કે, તેઓ દ્વારા તેમના સ્વજનોને સારવાર આપવા માટે વાપીની એક ખાનગી કંપનીમાંથી મોટા ઓક્સિજનના સિલિન્ડરો ત્રણ હજાર જેટલો ખર્ચો કરીને લાવવામાં આવી રહ્યા છે. જેમાં ગાડી ભાડુ તેમજ કંપનીમાં લેવામાં આવતા એડવાન્સ પૈસા પણ સામેલ છે. જો કે. સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવનાર માટે દરેક ચીજ-વસ્તુઓ સરકાર દ્વારા નિઃશુલ્ક આપવાની હોય છે. પરંતુ અહીં કપરાડા ખાતે વાસ્તવિકતા કંઇક જુદી જ દેખાઇ રહી છે.

કપરાડા આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન બોટલોની અછત
કપરાડા આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન બોટલોની અછત

સરકારી હોસ્પિટલના ડોક્ટરે સિલિન્ડરની અછત બાબતે કર્યો લુલો બચાવ

કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની અછત હોવાનું તેમના સ્વજનો જણાવી રહ્યા છે અને પોતે સ્વખર્ચે ઓક્સિજન સિલિન્ડર લાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યા હતા. આ બાબતે રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર ડી.બી.શાહે જણાવ્યું કે, હોસ્પિટલમાં ઓક્સિજનના બોટલોની અછત નથી. રોજ તેઓ ચેક દ્વારા વાપીથી ઓક્સિજન રિફીલિંગ કરી બોટલો મંગાવી રહ્યા છે. પરંતુ રવિવારે એમ્બ્યુલન્સનો ચાલક રજા પર હોવાના કારણે રીફીલિંંગ કરાવી ન શક્યા. જેના કારણે સ્વજનોએ સ્વખર્ચે ઓક્સિજન બોટલ લાવવાની ફરજ પડી હતી.

કપરાડા આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન બોટલોની અછત
કપરાડા આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન બોટલોની અછત

રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકર દ્વારા સરીગામથી નિશુલ્ક ઓક્સિજન બોટલો રીફીલ કરાવી દેવા માટે તૈયારી બતાવી છે

રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકર દ્વારા શુક્રવારે કપરાડાની મુલાકાત લેવામાં આવી હતી અને કપરાડામાં કોરોનાની મહામારી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારે હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી ન પડે તે માટે કહ્યું હતું કે, સરીગામ ખાતે આવેલી ઓક્સિજનની એક કંપનીમાંથી નિઃશુલ્ક બોટલો રિફીલીંગ કરી દેવામાં આવશે. માત્ર ખાલી બોટલો કપરાડાથી કોઈ પણ વાહનમાં સરીગામ સુધી પહોંચાડવાની રહેશે અને ત્યાંથી પરત કપરાડા લાવવાની રહેશે. ત્યારે આજે ખાલી પડેલી તમામ બોટલો એમ્બ્યુલન્સમાં ભરી રિફિલિંગ કરાવવા માટે મોકલવામાં આવી હતી.

આ પણ વાંચોઃ કર્ણાટકની હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે કોરોનાના 24 દર્દીના મોત

મેનેજમેન્ટના અભાવના કારણે ઓક્સિજનની બોટલો સ્વખર્ચે લાવવી પડે છે

સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર લેવા માટે આવનારા દર્દીઓ સહિત તેમના સ્વજનોને પણ હવે ખર્ચ કરવાની જરૂરિયાત ઉભી થઇ રહી છે અને જેની પાછળનું કારણ મેનેજમેન્ટનો સંપૂર્ણ અભાવના કારણે ઓક્સિજનની બોટલો દર્દીના સ્વજનોએ સ્વખર્ચે લાવવી પડી રહી છે. આ સમગ્ર બાબતે વલસાડ જિલ્લા કલેક્ટરે ગંભીરતા પૂર્વક ધ્યાન આપી ઓક્સિજનનો જથ્થો સરકારી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં મળી રહે અને આદિવાસી વિસ્તારના લોકોને નિઃશુલ્ક અને યોગ્ય સારવાર મળે તે અંગે ઘટતું કરે તેવી માગ ઉઠી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.