ETV Bharat / state

તૌકતે વાવાઝોડાને પહોંચી વળવા વલસાડ સજ્જ

author img

By

Published : May 16, 2021, 3:22 PM IST

હવામાન વિભાગની આગાહીને પગલે વલસાડ જિલ્લામાં આવનારા વાવાઝોડાની અસર થઈ શકે છે. જેમાં ઝડપી પવન ફૂંકાયો હતો તેમજ ભારે વરસાદ થવાની સંભાવના રહેલી હોવાથી જિલ્લામાં કોઈપણ પ્રકારે જાનમાલને નુકસાન ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ઝીરો કેઝુલિટી એક્શન પ્લાન અમલમાં મુકવામાં આવ્યો છે. આજે રવિવારે વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા તિથલના દરિયા કિનારે મુલાકાત લેવામાં આવી હતી.

તૌકતે વાવાઝોડાને પહોંચી વળવા વલસાડ સજ્જ
તૌકતે વાવાઝોડાને પહોંચી વળવા વલસાડ સજ્જ

  • દરિયા કિનારાના 1થી 10 કિમી અંતરમાં આવતા 84 ગામોને હાઈ એલર્ટ
  • જરૂર પડ્યે 10,000 લોકોનું સ્થળાંતર કરવા પણ વહીવટી તંત્ર સજ્જ
  • દરેક ગામોમાં શેલટર હોમ બનાવવામાં આવ્યાં
  • કોવિડ-19ની ગાઈડલાઇનનું પણ પાલન કરવામાં આવશે

વલસાડઃ 40 કિમીનો દરિયા કિનારો ધરાવતા વલસાડ જિલ્લામાં કાંઠા વિસ્તારના ગામો જેમાં સૌથી વધુ 3 તાલુકા ઉમરગામ, વલસાડ અને પારડીને વાવાઝોડાની અસર થાય એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને પગલે કાંઠા વિસ્તારના એક કિલોમીટર થઈ 10 કિલોમીટર સુધીના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ વલસાડ જિલ્લામાં તલાટીથી લઈને કલેક્ટર પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ પંચાયત વિભાગ તેમજ રેવન્યુ વિભાગ પણ આ એક્શન પ્લાનમાં પોતાની અહમ ભૂમિકા નિભાવવા માટે સજ્જ બન્યા છે.

તૌકતે વાવાઝોડાને પહોંચી વળવા વલસાડ સજ્જ

આ પણ વાંચોઃ તૌકેત વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લામાં પડી શકે છે હળવાથી મધ્યમ વરસાદ

જિલ્લાના કાંઠા વિસ્તારના 84 ગામોને વાવાઝોડાની અસર થઈ શકે છે

વલસાડ જિલ્લાના 40 કિમીના લાંબા દરિયા કિનારા ઉપર આવેલા કાંઠા વિસ્તારના 84 જેટલા ગામોને વાવાઝોડાની અસર થઇ શકે તેમ હોવાથી આવા ગામોનો સર્વે કરવામાં આવ્યો છે અને આ તમામ ગામોમાં વિશેષ સ્વયંસેવકોની ટીમ ઊભી કરવામાં આવી છે, ત્યારે જરૂર જણાય તો આવા ગામોના લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી શકે તેમ છે અને સ્થાનાંતરિત કરવામાં આવેલા લોકોને જે તે ગામના સેલ્ટર હોમમાં રાખવાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. જે માટે ત્યાં રહેનારા લોકોની ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

NDRFની એક ટીમ વલસાડ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવી

વાવાઝોડાની આ કુદરતી આફતમાં વલસાડ જિલ્લામાં પવન ફૂંકાવા કે ભારે વરસાદ પડવાની સંભાવના વર્તાય છે. જેને પગલે કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ સરકાર દ્વારા વલસાડ જિલ્લામાં NDRFની એક ટીમને સ્ટેન્ડબાય મૂકવામાં આવી છે. જો જરૂર જણાય તો આ ટીમ દ્વારા જે તે વિસ્તારમાં જઇને આપાતકાલીન સમયમાં પોતાની કામગીરી ચોક્કસપણે બજાવે તે માટે સજ્જ છે.

દરિયામાં ગયેલા તમામ માછીમારો પરત ફર્યા

વલસાડ જિલ્લામાં 1,200થી વધુ માછીમારી કરતી બોટો આવેલી છે અને તે માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી દરિયામાં માછીમારી કરવા જાય છે, ત્યારે વાવાઝોડાની સંભાવનાને પગલે 16 જેટલી બોટો દરિયામાં માછીમારી કરવા પહોંચી હતી. જેમને પણ મરીન પોલીસનો સંપર્ક કરીને પરત બોલાવવામાં આવી છે, ત્યારે આજે રવિવારે વહેલી સવારે 16 જેટલી તમામ બોટો કિનારે આવી પહોંચતા વલસાડની તમામ માછીમારોને બોટ કિનારે આવી પહોંચી છે. જેને લઇને માછીમારોએ પણ હાશકારો અનુભવ્યો છે તો સાથે તંત્રે પણ હાશકારો અનુભવ્યો છે.

42 હોસ્પિટલમાં પાવર સપ્લાય બંધ થાય તો તેવા સમયે વિશેષ વ્યવસ્થા કરવા સૂચન

હાલ કોવિડની પરિસ્થિતિ ચાલતી હોવાથી વલસાડ જિલ્લાની ખાનગી 42 જેટલી હોસ્પિટલોમાં અનેક દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તો બીજી તરફ વાવાઝોડાની આફતને પગલે જો પાવર કટ જેવી સમસ્યા સર્જાઇ તો દર્દીઓને મૂંઝવણમાં વધારો થઇ શકે છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 42 જેટલી ખાનગી હોસ્પિટલોનો સર્વે કરવામાં આવ્યો છે અને તમામ હોસ્પિટલને જો અચાનક પાવર કટ સર્જાય તો તેવા સમયે પાવર કટનો ઉકેલ લાવવા પોતાનું જનરેટર મશીન અથવા સતત પાવર મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરવા માટે જાણ કરવામાં આવી છે.

આમ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાની આફતમાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જો 10,000 કરતાં પણ વધુ લોકોને સ્થાણાંતરિત કરવા પડે તો તે માટેની વ્યવસ્થા અંગે પણ વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.