વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા શ્રીમદ્ રાજચંદ્ર મિશન આશ્રમના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ છેલ્લા ત્રણ દિવસથી મોહનગઢ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં દેશ-વિદેશથી અનેક લોકો ઉપસ્થિત રહી આધ્યાત્મિક જ્ઞાન મેળવી રહ્યા છે. આ ત્રણ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે રવિવારના રોજ આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી.
શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા ધરમપુરમાં આધ્યાત્મિક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કામગીરી છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહી છે. તો સાથે સાથે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સર્વ મંગલમની ભાવના સાથે જોડાયેલો છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ શ્રીમદ્ રાજચંદ્રના ગુરુદેવ રાકેશભાઇનું શાલ ઓઢાડી આવી પુષ્પમાળા પહેરાવવી બહુમાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને કહ્યું કે, આજના યુવા વર્ગ અને તર્ક સમજણ અને વિશેષ માહિતી આપીને આધ્યાત્મિક જ્ઞાન તરફ વાળવાની જે કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ ભગીરથ કાર્ય ગુરુદેવ રાકેશભાઇ દ્વારા ખૂબ સારી રીતે કરાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, જે રાજા ધર્મને ઊંચો માને છે. સંતોમાંથી પ્રેરણા લે છે. ધર્મ એટલે કે નીતિ, ન્યાય અને સત્યથી કામ લે છે. એ મૂઠી ઊંચેરા રાજ્યનું નિર્માણ કરે છે. ગુજરાતમાં આ જ ધાર્મિક કામગીરી થઇ રહી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આજના વર્તમાન સમયમાં જીડીપી કરતા હેપીનશ ઇન્ડેક્સ વધુ સારો બને તો જ આત્માને નીજ આનંદનો અનુભવે મળે તેમ છે. તેઓએ વધુમાં કહ્યું કે, બીજાના સુખમાં જ પોતાનું સુખ સમાયેલું છે. એ જ સાચો ધર્મ છે. તેમણે સ્વામિનારાયણ સંપ્રદાય બાબતે જણાવ્યું કે, સમાજને વ્યસનમુક્તિ સાથે શિક્ષિત દીક્ષિત કરીને લોકોને ધર્મ તરફ વાળવાનું કામ કર્યું છે. વ્યક્તિનું પરમ સુખ બીજાના સુખમાં સમાયેલું છે. તે દિશામાં સંતોએ યુવાનોને શિક્ષા દિક્ષા આપી છે. જેનાથી અનેક લોકોનો ઉદ્ધાર થયો છે. રાજસત્તા પર ધર્મસત્તા અને ધર્મ આધારિત શાસન વ્યવસ્થા અને તેમાં જ સૌનું કલ્યાણ રહેલું છે. તેવો મત મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો હતો.
શ્રીમદ્ રાજચંદ્ર મિશન રજત જયંતિ મહોત્સવના અવસરે રાજ્ય આદિજાતિ પ્રધાન રમણલાલ પાટકર, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, કલેકટર સી.આર કરણ અને શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ટ્રસ્ટી અભય જસાણી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતાં.