ETV Bharat / state

વલસાડમાં ઠગે 42,500 રૂપિયા લઇને ઇન્જેક્શન ન આપતા દર્દીનું થયું મોત

author img

By

Published : May 12, 2021, 8:39 AM IST

વલસાડ જિલ્લામાં કોરોના કાળમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, કોરોનાની સારવાર લઇ રહેલા અને જીવન મરણ વચ્ચે ઇન્જેક્શન માટે ઝોલા ખાઈ રહેલા દર્દીના સગાને એક ઠગ મળી જતા 42,500 રૂપિયા આપવા છતાં ટોસિલીઝુમેબ ઇન્જેક્શન ન આપતા આખરે સારવાર લઇ રહેલા દર્દીનું મોત થઇ ગયું હતું. પોલીસે નાણાં લેનારા ઠગની ધરપકડ કરી હતી.

વલસાડ
વલસાડ

  • મહામારી વચ્ચે માનવ જિંદગી સાથે ખિલવાડ કરનારા તત્વો સક્રિય
  • 42,500 રૂપિયા ચૂકવવા છતાં પણ ઇન્જેક્શન ન આપીને કરી ઠગાઈ
  • ઇન્જેક્શન ન મળતા સારવાર લઇ રહેલા દર્દીનું થયું મોત

વલસાડ: કોરોનાની બીજી લહેરની ઝપેટમાં આવતા કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આવી મહામારી વચ્ચે માનવ જિંદગી સાથે ખીલવાડ કરનારા કેટલાક તત્વો પોતાના આર્થિક લાભ માટે સક્રિય થયા છે. પોતાના દર્દીને બચાવવા માટે જરૂરી દવા મેળવવા પરિવાર રીતસર રઝળપાટ કરી રહ્યા છે. પારડી પોલીસ મથકે નોંધાયેલી એક ફરિયાદ લોકો માટે આંખ ઉઘાડનારી છે.

સંઘ પ્રદેશ દમણના પરિવારને ઇન્જેક્શન માટે વલસાડનો ઠગ ભેટી ગયો

સંઘપ્રદેશ દમણ ખાતે રહેતા માર્ગેશભાઈ જયરામભાઈ પટેલની કોરોના લક્ષણ હોવાથી તબિયત લથડતા 25 એપ્રિલે તેમને વાપી ખાતે આવેલી શ્રદ્ધા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. દરમિયાન સારવારમાં દર્દીને ટોસિલીઝુમેબ નામક ઇન્જેક્શનની જરૂર પડતા તેમના પરિવારે વલસાડ ખાતે પારડી સાંઢપોર, લક્ષ્મીનારાયણ બિલ્ડીંગ A વિંગ, ફ્લેટ નંબર 209માં રહેતા હેમંત વાલજીભાઈ સાવરિયાનો સંપર્ક કરવામાં આવતા તેણે ટોસિલીઝુમેબ ઇન્જેક્શન મેળવી આપીશ તેમ કહ્યું હતું.

આ પણ વાંચો: સુરતમાં 40 હજારનું ટોસિલિઝૂમેબ ઈન્જેક્શન 2.70 લાખ રૂપિયામાં વેચતો નર્સના પિતા ઝડપાયો

ઇન્જેક્શન 45,000નું આવશે તેમ જણાવીને અડધી રકમ તાત્કાલિક માગી હતી

આરોપીઓએ ફરિયાદીના સગાને આ ઇન્જેક્શન 45,000નું આવશે તેમ જણાવીને અડધી રકમ તાત્કાલિક માગી હતી. જેથી તેના એકાઉન્ટમાં પરિવારે 22,500 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. મની ટ્રાન્સફર થયાના બે દિવસ પછી તમારું ઇન્જેક્શન આવી ગયું છે તેમ જણાવ્યું હતુ. બાકીની રકમ માંગતા પરિવારે બીજા 20,000 આરોપી હેમંત સાવરિયાના ખાતામાં મોકલી આપ્યા હતા. જોકે, ત્યારબાદ ઇન્જેક્શન માટે પરિવાર ફોન કરતા હેમંત સાવરિયાએ જુદા-જુદા બહાના બતાવીને વાતને ઠેલવી હતી.

આ પણ વાંચો: ઈન્જેકશનની કાળા બજારી: આરોપી ડોક્ટરોએ કહ્યું 15 નહિ એક મહિના સુધી કોરોનાના દર્દીઓની સેવા કરવા તૈયાર

સમયસર ઇન્જેક્શન ન મળતા સારવાર લઇ રહેલા દર્દીનું નિધન થયું

દર્દીના સગાએ 45,000 રૂપિયા આપવા છતાં પણ આરોપીએ બહાના બનાવીને ઇન્જેક્શન આપ્યું નહીં. ઇન્જેક્શન સમયસર ન મળતા હોસ્પિટલમાં માર્ગેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જે બાબતે પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી વિરુધ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમ સારવાર લઇ રહેલા દર્દીના પરિવારની મજબૂરીનો લાભ લઇ પૈસા કમાવવા માટે ઠગે પોતાની તરકીબ અજમાવી ઓનલાઈન પૈસા મંગાવી લીધા હતા. ત્યારબાદ ઇન્જેક્શન ન આપતા દર્દીનું મોત થયું હતું. જે બાબતે આખરે દર્દીના પરિવારજનોએ પારડી પોલીસમાં ફરિયાદ કરતા આખરે પોલીસે છેતરપિંડી કરનારા શખ્સની ધરપકડ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.