ETV Bharat / state

Vadodara Crime : મંજુસરના વેપારીની વ્યાજખોર દ્વારા સતામણી, 5 લાખ સામે વ્યાજખોર પિતાપુત્રએ પડાવ્યાં 36 લાખ છતાં માગણી ચાલુ

author img

By

Published : Jan 18, 2023, 6:01 PM IST

Vadodara Crime : મંજુસરના વેપારીની વ્યાજખોર દ્વારા સતામણી, 5 લાખ સામે વ્યાજખોર પિતાપુત્રે પડાવ્યાં 36 લાખ છતાં માગણી ચાલુ
Vadodara Crime : મંજુસરના વેપારીની વ્યાજખોર દ્વારા સતામણી, 5 લાખ સામે વ્યાજખોર પિતાપુત્રે પડાવ્યાં 36 લાખ છતાં માગણી ચાલુ

વ્યાજખોરો સામેની ઝૂંબેશના પગલે વડોદરામાં પણ વ્યાજખોરોની સતામણીના કિસ્સા (Vadodara Crime )બહાર આવ્યાં છે. મંજુસરના વેપારીની વ્યાજખોર દ્વારા સતામણીનો કિસ્સો ચોંકાવનારો છે. વેપારીએ 5 લાખ લીધાં હતાં જેના સામે 36 લાખ રુપિયા વ્યાજખોર પિતાપુત્રે પડાવ્યાં હતાં. વડોદરા મંજુસર પોલીસે બંનેને દબોચી લીધાં છે.

વડોદરા સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ હાલ મુહીમ ચાલી રહી છે અને તંત્ર એકશન મોડમાં આવ્યું છે. ત્યારે વડોદરા જિલ્લાના સાવલીના મંજુસર ખાતે વ્યાજખોરીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. સાવલી તાલુકાના મંજુસર ગામમાં વ્યાજખોર પિતાપુત્રોએ ગામના જ એક પટેલને રૂપિયા પાંચ લાખ દસ ટકા ના વ્યાજે 2020ના વર્ષમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી હતી તે સમય દરમિયાન આપ્યા હતાં. તે 5 લાખની રકમ સામે 36 લાખ રૂપિયા વસૂલ કરી દીધેલા હોવા છતાં પણ હજુ પણ બીજા 20 લાખની વધુ માંગણી વ્યાજખોરો દ્વારા કરવામાં આવી રહી હતી. મંજુસર પોલીસે એક્શન લેતાં વ્યાજખોર પિતાપુત્રની ધરપકડ કરી છે.

કોરોનાની મહામારી સમયે વેપાર ધંધા બંધ થતાં વ્યાજે રૂપિયા લીધાં આ ફરિયાદમાં શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોનાની મહામારી સમયે સમગ્ર વેપારધંધો બંધ થઈ ગયો હતો. ત્યારે મંજુસર ગામમાં પોતે બનાવેલી ઓરડીઓનું ભાડું પણ ન આવવાને કારણે ઘરસંસાર ચલાવવામાં ભારે તકલીફ પડતી હતી. જેને લઈને મંજુસર ગામમાં જ રહેતા દીપકભાઈ અંબાલાલ શર્મા પાસેથી તેઓએ વર્ષ 2020 માં રૂપિયા પાંચ લાખ દસ ટકા વ્યાજે લીધા હતા અને તેની સામે સિક્યુરિટી પેટે પોતાની પત્ની ભારતીબેન, પુત્ર પાર્થ અને પિતા પરસોત્તમભાઈના બેન્ક ખાતાનાં સાત ચેકો પણ તેઓને આપ્યાં હતાં.

આ પણ વાંચો વ્યાજખોરોને પાઠ ભણાવવા સરકારે બનાવ્યો વિશેષ પ્લાન, નીવેડો આવશે

વ્યાજ ચૂકવવા માટે ટ્રેક્ટર પણ વેચવું પડ્યું 2020ની સાલમાં દીપકભાઈ શર્મા પાસેથી વ્યાજે નાણાં લીધા બાદ કોરોનાને કારણે કોઈ આવક ન હોવાથી વ્યાજ ચૂકી શક્યા ન હતાં. પરંતુ સમય જતા કોરોના ઘટ્યા બાદ દીપકભાઈ શર્મા અને તેના બંને પુત્રો હિતેશભાઈ અને કુલદીપે કરજદાર વેપારીને ફોન ઉપર પઠાણી ઉઘરાણી શરૂ કરી દીધી હતી અને સમય જતા તેઓએ અપશબ્દ પણ વાપરવાના શરૂ કર્યા હતા. પ્રતિ માસ ₹15,000 આપવાનું નક્કી કર્યું અને વ્યાજખોર પિતાપુત્રએ તેઓને ઘરે બોલાવીને દબાણ વધારતા પ્રતિ માસ રૂપિયા 50000 આપવા માટે દબાણ શરૂ કર્યું હતું. આ દબાણ વધતાં શૈલેષભાઈ પટેલે પોતાનું ટ્રેક્ટર અઢી લાખમાં વેચીને પાંચ માસના વ્યાજની રકમ દીપકભાઈ શર્માને ચૂકવી હતી. એટલું જ નહીં પરંતુ આ વ્યાજખોરો દ્વારા મંજુસર ગામમાં ઊભી કરવામાં આવેલી ઓરડીઓ પડાવી લેવાની ધમકી આપવામાં આવતી હતી.

વ્યાજખોરો દ્વારા મકાન ખાલી કરી આપવા ધમકી વ્યાજખોરો દ્વારા અવારનવાર માગણી અને ધમકીના કારણે સમગ્ર પરિવાર ગભરાઈ ગયો હતો. તેઓને વારંવાર પોતાનું મકાન ખાલી કરી દસ્તાવેજ કરી આપવા માટે દબાણ કરવામાં આવતું હતું. પરંતુ વ્યાજખોર દીપક શમૉને 11 લાખ ચૂકવ્યા હતા છતાં પણ રૂપિયા 20 લાખ બાકી કાઢ્યા હતાં અને બાકી રકમ પેટે તેને મકાન તાત્કાલિક ખાલી કરવા માટે ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં તેઓ વધુમાં જણાવ્યું હતું કે, જો તમે અમારા રૂપિયા પરત નહીં આપો તો તમે ક્યાં ખોવાઈ જશો ખબર પણ પડે નહીં તેવી ધમકીઓ વારંવાર આપવામાં આવતી હતી.

આ પણ વાંચો Crackdown on Moneylenders : વ્યાજખોરી પર તવાઈ લાવતી ગુજરાત પોલીસ, 1026 એફઆઈઆરમાં 635 વ્યાજખોરની ધરપકડ

છેવટે નોંધાવી પોલીસ ફરિયાદ શૈલેષભાઈ પટેલ પાસે વ્યાજખોરોએ બાકી કાઢેલા રૂપિયા 20 લાખ આપવા માટે બીજો કોઈ રસ્તો ન હોવાથી મંજુસરનું મકાન છોડીને વડોદરાના ભાડાના મકાનમાં રહેવા આવવા માટે ફરજ પડી હતી. વડોદરા આવ્યા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ યથાવત રહેતા શૈલેષભાઈ પટેલે ગામમાં જ રહેતા અને વતન છોડવા મજબૂર કરનાર વ્યાજખોર દીપક અંબાલાલ શર્મા અને તેના બંને પુત્રો હિતેશ શર્મા અને કુલદીપ શર્મા સામે મંજુસર પોલીસ સ્ટેશન નોંધાવી હતી.

ફરિયાદની તપાસ પીએસઆઈને સોંપવામાં આવી મંજુસર પોલીસે આ પિતા પુત્ર સામે ગેરકાયદે મની લોન્ડરિંગનો ગુનો દાખલ કરી વ્યાજખોર પિતાપુત્રની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. એટલું જ નહીં પરંતુ કેટલા લોકોને આવા વ્યાજખોરોએ બરબાદ કર્યા હશે તે તો તપાસ આગળ વધેથી બહાર આવે તેવી શક્યતાઓ છે. સમગ્ર બનાવ અંગેની જરૂરી તપાસ મંજુસર પોલીસ મથકના પીએસઆઈ ડી. કે. પંડ્યા કરી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.