ETV Bharat / state

Crackdown on Moneylenders : વ્યાજખોરી પર તવાઈ લાવતી ગુજરાત પોલીસ, 1026 એફઆઈઆરમાં 635 વ્યાજખોરની ધરપકડ

author img

By

Published : Jan 17, 2023, 3:06 PM IST

Updated : Jan 17, 2023, 4:38 PM IST

Illegal Money Laundering : વ્યાજખોરી પર તવાઈ લાવતી ગુજરાત પોલીસ, 1026 એફઆઈઆરમાં 635 વ્યાજખોરની ધરપકડ
Illegal Money Laundering : વ્યાજખોરી પર તવાઈ લાવતી ગુજરાત પોલીસ, 1026 એફઆઈઆરમાં 635 વ્યાજખોરની ધરપકડ

ગુજરાત પોલીસની વ્યાજખોરો વિરુદ્ધ ઝૂંબેશ (Gujarat Polic Crack Down on Moneylenders ) માં એવા કિસ્સા જાણવા મળે છે કે અનધિકૃત નાણાં ધીરતાં વ્યાજખોરોનો આતંક કેવો હોય છે. ગુજરાત પોલીસની 14 દિવસની કાર્યવાહીમાં 1026 ગુના દાખલ કરી 635 વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે.

ગાંધીનગર રાજ્યની ભૂપેન્દ્ર પટેલની 2.0 સરકાર દ્વારા 1 મહિનાની અંદર જ વ્યાજખોરી વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ફક્ત 14 દિવસની આ સ્પેશિયલ ડ્રાઇવમાં કુલ 1026 જેટલા ગુના ગુજરાત પોલીસે નોંધ્યા છે. જ્યારે આ સમગ્ર ડ્રાઇવ દરમિયાન 635 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તા.16મી જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાં 1288 લોકદરબાર યોજાયા છે.

નાગરિકોને પોલીસ સુરક્ષા કવચ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી દરમિયાન વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. અનધિકૃત રીતે વ્યાજખોરીનો વ્યવસાય કરી નિર્દોષ નાગરિકો પાસેથી વ્યાજના નામે બેફામ રૂપિયા ઉઘરાવતા તત્વો સામે નાગરિકોને પોલીસનું સુરક્ષા કવચ મળી રહ્યું છે. ત્યારે કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી પોલીસ રાખી રહી છે.

આ પણ વાંચો Bhavnagar: વ્યાજના વિષચક્રમાં થતી ખોટી ઉઘરાણી સામે પોલીસ એક્શનમોડ પર, લોકસંવાદ શરૂ

નક્કી કરેલા વ્યાજ કરતાં વધુ વ્યાજની ઉઘરાણી વલસાડ પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી અંગે મુકેલી ફેસબુક પોસ્ટ જોઇ એક મહિલા ફરીયાદી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ખાનગી હોસ્પીટલમાં રીસેપ્શનીસ્ટ તરીકે કામ કરતા આ ડાયવોર્સી બહેન પોતાની પુત્રી સાથે એકલા રહે છે. બહેને રજૂઆત કરી કે, વલસાડ શહેરમા જાસ્મીન મોબાઇલ નામની દુકાન ચલાવતા વિનોદ ભોગીલાલ શાહની પાસેથી તેમણે મોબાઇલ હપ્તેથી ખરીદ્યો હતો. ત્યારથી વિનોદભાઇ સાથે ઓળખાણ થઇ અને વિનોદભાઇ વ્યાજે રૂપિયા ધિરાણ કરતા હોઇ તેમની પાસેથી એક વર્ષ પહેલા રૂ. 1,80,000/- 10 થી 20 ટકા વ્યાજના દરે લીધા હતાં. જે વ્યાજે લીધેલ રકમ ઉપર વિનોદભાઇ 10 ટકા લેખે વ્યાજ વસૂલ કર્યું અને છેલ્લા છ માસથી 20 ટકા લેખે વ્યાજ ચુકવી રહ્યા છે. મુદ્દલ રકમ તથા વ્યાજની રકમ ચુકવાઇ ગઈ હોવા છતા ફરિયાદી બહેન પાસે વિનોદભાઇએ વધુ વ્યાજની માંગણી કરી. પરંતુ વ્યાજ ચુકવી ન શકતા વિનોદભાઇએ ફરિયાદી બહેનનો મોબાઇલ ફોન પડાવી લીધો હતો.

વધુ વ્યાજની સતત સતામણી તે ઉપરાંત કોરા ચેક લખાવી લીધા બાદ અવારનવાર વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા ફરિયાદી બહેને બ્લડ પ્રેસરની વધુ પડતી ગોળીઓ ખાઇ લીધી હતી. હોસ્પિટલમાં દાખલ થયેલા બહેને વિનોદભાઇના ડરથી પોતે દવા પીધી હોવાની હકીકત છુપાવી હતી. ફરિયાદી મહિલાએ વિનોદભાઇ પાસેથી લીધેલા નાણાં તથા વ્યાજ ચુકવવા માટે વલસાડના રહેવાસી શ્રવણભાઇ મારવાડી પાસેથી રૂપીયા 35,000 /- 5 ટકા વ્યાજ દરે 3 માસ પહેલા લીધા હતાં. જે રકમનુ વ્યાજ ફરિયાદી બેન ચુકવી ન શકતાં શ્રવણભાઇએ તેનુ મોપેડ પડાવી લીધુ અને બળજબરીથી ટીટીઓ ફોર્મમાં સહી લઇ લીધી હતી. મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદ અન્વયે તાત્કાલીક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી વિનોદભાઇ તથા શ્રવણભાઇ મારવાડીને ઝડપી પાડી આરોપીના રહેણાંક મકાન તથા દુકાનની ઝડતી તપાસ કરી ફરિયાદી બહેન પાસેથી આરોપીઓએ મેળવેલ વધુ નાણા, મોબાઇલ ફોન, મોપેડ તથા પચ્ચીસ કોરા ચેક પોલીસ દ્વારા રીકવર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો Death By Suicide : સુરતમાં વ્યાજખોરોના આતંક સામેની પોલીસ ઝૂંબેશ વચ્ચે યુવાનની આત્મહત્યા

2.70 લાખ સામે 6.78 લાખ વ્યાજ ચૂક્વ્યું પંચમહાલ પોલીસે ફરિયાદને આધારે એવા વ્યાજખોર સામે કાર્યવાહી કરી છે જેને રૂ.2.70 લાખની સામે વ્યાજ સાથે રૂ.6.78 લાખ લઈ લીધા, તો પણ વધારાના રૂ.11.78 લાખ લેવા માટે પઠાણી ઉઘરાણી ચાલુ રાખીને અરજદારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એટલું જ નહીં, વ્યાજખોરે અરજદાર પાસેથી પડાવી લીધેલી આઇ-10 ગ્રાન્ડ ગાડી પણ રિકવર કરી પંચમહાલ પોલીસે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

નાણાં ધીરનારે વધુ વ્યાજ વસુલ કર્યું ગોધરાના વ્યાજખોરોએ નાણાં ધીરધારના લાયસન્સ વગર માસિક 2 ટકા લેખે તન્મયકુમાર વસંતભાઇ મહેતાને રૂ.2,70,000 ધીરધાર કરી સિકયુરીટી પેટે કોરા ચેક લઇ લીધા હતાં. ત્યાર બાદ તન્મય મહેતાએ માસિક 10 ટકા લેખે રુપીયા 6,87,000 ચુકવ્યા હોવા છતાં વ્યાજખોરો બળજબરીપુર્વક વધારાના વ્યાજ સહિતના નાણાં રૂપીયા 11,28,000 માંગી રહ્યા હતાં. વસંત મહેતાની હુન્ડાઇ આઇ10 ગ્રાન્ડ ગાડી બળજબરીથી પડાવી પોતાની પાસે રાખી લઇ વ્યાજખોરોએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. પંચમહાલ પોલીસે ગુનો દાખલ કરી પરિમલ સોસાયટી, ભુરાવાવ ચાર રસ્તા, ગોધરામાં રહેતા આરોપી વિરેનભાઇ પરમાનંદ લાલવાણીના ઘરે સર્ચ કરી ફરીયાદી પાસેથી બળજબરીથી પડાવી લીધેલી ગાડી તાત્કાલીક ધોરણે રીકવર કરી છે.

આ પણ વાંચો Navsari Police Actions Against Usurer : વિજલપોર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન આવ્યાં સકંજામાં

નાણાંની જરુરુિયાતને લઇ વ્યાજખોરના ચક્રમાં ફસાયાં સુરતમાં વ્યાજખોરની સતામણીનો ભોગ બનનાર અશોક સોનીએ પોતાની વાત રજૂ કરી હતી. "એ દિવસ મને બરાબર યાદ છે. મને પૈસાની ખૂબ જરૂર હતી. બેંકની લોન લઇ શકું એવી ધીરજ ન્હોતી. સગાસંબંધી, મિત્રો દરેકના દરવાજે દસ્તક દઇ દીધા પછી મારી પાસે એક જ દરવાજો બાકી બચ્યો હતો, અશોક સોનીનો. મને ખબર હતી કે એ વ્યાજે પૈસા આપે છે. નાનો હતો ત્યારે વડીલોએ શિખામણ આપેલી કે, બધું કરજે પણ વ્યાજનાં ચક્કરોમાં ના પડતો. પણ શિખામણ સામે જરૂરિયાત વધારે મોટી બની ગઇ હતી. મેં અશોક સોની પાસે 3 ટકા દરે રૂપિયા 80,000/- વ્યાજે લીધાં. અશોક સોનીએ આ 80 હજાર સામે મારી દુકાનનો દસ્તાવેજ લઇ લીધેલો. એમણે કહેલું વ્યાજ સાથે મુદ્દલ પરત કરી દઇશ તો દસ્તાવેજ પાછો આપી દેશે. મેં નક્કી કરેલું વ્યાજ સહિત એક-એક પાઇ ચૂકી દેવાનું. મેં ખૂબ મહેનત કરી અને ટુકડે-ટુકડે અશોકભાઇને વ્યાજ સહિત રૂપિયા 1,89,000/- રૂપિયા ચૂકવી દીધા. આ પૈસા ચૂકવી દીધા પછી મેં રાહતનો શ્વાસ લીધેલો.

વ્યાજમાં દીકરાને મારવાની ધમકી મને એમ કે હવે અશોકભાઇ દસ્તાવેજ પાછો આપી દેશે, પણ એમણે એવું કર્યું નહીં. એમણે વ્યાજનું પણ વ્યાજ માંગ્યું. મને આઘાત લાગ્યો. મેં કહ્યું, ‘અશોકભાઇ-તમે વચનભંગ કરો છો..!’ પણ એમણે સાંભળ્યું નહીં. દુકાનનો દસ્તાવેજ પાછો ન આપ્યો. એમણે વધુ 1 લાખ રૂપિયાની માંગણી કરી અને જો આ પૈસા ન ચૂકવું તો દુકાનનો દસ્તાવેજ તો પાછો ન જ આપે પણ મારા દીકરાને માર-મારવાની વાત પણ કરી. દિકરાને માર મારવાની વાતથી હું હેબતાઈ ગયો. ખૂબ વિચાર્યું પહેલા તો એવું થયું કે જીવનની બધી જ મૂડી દાવ પર લગાડી અશોક સોનીને એક લાખ રૂપિયા આપી દઉં. પણ દીકરાએ અને પરિવારે હિંમત આપી. અમે પોલીસને જાણ કરવાનું નક્કી કર્યું. મને લાગે છે કે આ નિર્ણય અમારો સર્વશ્રેષ્ઠ નિર્ણય હતો. અમરોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને અમે આખી વાત કરી. એમણે તાત્કાલિક જરૂરી તપાસ કરી. અશોક સોનીની સામે ફરિયાદ દાખલ કરી અને ધરપકડ કરી લીધી. અમારી દુકાનનો દસ્તાવેજ હવે નામદાર કોર્ટ પાસેથી પરત મળશે."

સુરત પોલીસની મદદનો આભાર માન્યો આ વાત પૂરી કરતા લલીતભાઇ સોની રાહતનો શ્વાસ લે છે. એમનાં ચહેરા પર એક સંતોષ અને શાંતિ બંને છલકાય છે. લલીતભાઇ કહે છે કે બેંક પાસેથી લોન લીધી હોત તો સસ્તી પડી હોત. વ્યાજનાં ચક્કરમાં મુદ્દલ કરતા બે ગણી રકમ ચૂકવી અને પઠાણી ઊઘરાણીનો માનસિક ત્રાસ પણ વેઠ્યો. સુરત શહેર પોલીસે અશોક સોનીનાં ચુંગાલમાંથી ઉગારી લીધા એ બદલ પોલીસનો આભાર માન્યો હતો.

Last Updated :Jan 17, 2023, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.