ETV Bharat / state

લગ્નના ચોથા જ દિવસે કોવિડ હોસ્પિટલમાં ફરજ પર હાજર થયા આરતીબેન, કોરોનાગ્રસ્ત દર્દીઓના ડાયેટિશિયનની બજાવે છે ફરજ

author img

By

Published : May 5, 2021, 8:44 PM IST

Updated : May 12, 2021, 1:33 PM IST

લગ્નના ચોથા જ દિવસે કોવિડ હોસ્પીટલમાં ફરજ પર હાજર થયા આરતીબેન, કોરોનાગ્રસ્ત દર્દીઓના ડાયેટિશિયનની બજાવે છે ફરજ
લગ્નના ચોથા જ દિવસે કોવિડ હોસ્પીટલમાં ફરજ પર હાજર થયા આરતીબેન, કોરોનાગ્રસ્ત દર્દીઓના ડાયેટિશિયનની બજાવે છે ફરજ

અમદાવાદના વેજલપુર વિસ્તારના આરતીબેન ગજ્જર સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ડાયેટિશિયન તરીકે ફરજ બજાવે છે. ગત 25 એપ્રિલે તેમના લગ્ન હતા જેના 4 દિવસ બાદ હોસ્પિટલમાંથી ફરજ પર હાજર થવા અંગેનો ફોન આવતા તેઓ પોતાની અંગત જીવનની તમામ જવાબદારીઓ બાજુ પર મૂકીને તાત્કાલિક હાજર થયા હતા.

ડાયેટ વિભાગના સહકર્મીઓ કોરોનાથી સંક્રમિત થતા નવવધુ આરતીબહેન ફરજ પર થયા હાજર

"સ્વ" નહિં પરંતુ "સમષ્ટિ" માટે કામ કરવાનો આ સમય છે : આરતીબેન ગજ્જર

છેલ્લા એક વર્ષથી કોરોનાગ્રસ્ત દર્દીઓના ડાયેટિશિયનની ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે

અમદાવાદ – લગ્નજીવનની એક સારી શરૂઆત થાય તેવું તમામ લોકો ઇચ્છતા હોય છે. પરંતુ હાલમાં કોરોના સંક્રમણ અને વર્તમાન પરિસ્થિતીને કારણે લગ્નને ફક્ત 4 દિવસ થયા હતા અને અમદાવાદ સિવિલ હોસ્પીટલમાંથી ફોન આવ્યો, "હેલ્લો આરતીબેન, આપણા ડાયેટિશિયન વિભાગમાં છ મિત્રો કોરોના પોઝિટિવ થયા છે”. ત્યારે આ શબ્દો સાંભળીને આરતીબેને પણ ક્ષણભરનો પણ વિચાર કર્યા વગર કહ્યુ કે “હું કાલથી ડ્યુટી જોઇન કરૂ છું”.

25 એપ્રિલના હતા લગ્ન, ખંભાત સાસરૂ

અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા આરતીબેન ગજ્જરના લગ્ન હજુ 25 એપ્રિલના રોજ ખંભાત ખાતે થયા હતા. લગ્નબાદ સ્વભાવિક છે કે તેઓ સાસરે રહીને નવજીવનને, નવી જવાબદારીઓને સમજવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યાં જ તેમને જાણ થઇ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલના ડાયેટ વિભાગમાં તેમના મિત્રો કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે. પરિસ્થિતિ પારખીને આરતીબહેને તમામ અરમાનો અને સપનાઓને બાજુમાં મૂકીને લગ્ન પછીના 4 દિવસ બાદ ડયુટી જોઇન કરી લીધી. છેડાછેડીની ગાંઠ હજુ છૂટી પણ નહોતી ત્યાં તેમણે તેમણે ફરજ પ્રત્યેની ગાંઠ મનમાં બાંધી લીધી હતી.

દર્દીઓના અન્નપૂર્ણા બનીને થયા ફરજ પર હાજર

આરતીબહેન ગજ્જર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી કોરોના વોર્ડમાં ફરજ અદા કરી રહ્યા છે. કોરોના વોર્ડમાં દાખલ દર્દીને સમયસર ભોજન મળી રહે તે માટે દર્દીઓના અન્નપૂર્ણા બનીને કામગીરીનું ઉત્તમ ઉદાહરણ આરતીબહેને પુરુ પાડ્યું છે. તેઓ વોર્ડમાં જઇને દર્દીઓને અલગ અલગ સમયે સંતુલિત ખોરાક, તેમના શરીરના જરૂરિયાત મુજબનો ખોરાક નક્કી કરીને તેમને પહોંચતુ કરે છે. ઘણી વખત વોર્ડમાં જઇને જે દર્દીઓ મોં વાટે ખોરાક નથી લઇ શકતા તેઓને રાઇલ્સ ટ્યુબ વડે ખોરાક ખવડાવે છે. સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલનું એક્સટેન્સન એવી મંજુશ્રી કોવિડ હોસ્પિટલ જ્યારથી શરૂ થઇ ત્યારથી મંજુશ્રી હોસ્પિટલમાં પણ ડાયેટ વિભાગમાં ઉત્તમ કામગીરી કરીને સેવાનું કામ આરતીબહેને કર્યું છે.

દર્દીને સમયસર જમવાનું ઉપરાંત માનસિક સ્થિતિ પણ મજબૂત બની રહે તે મારા માટે મહત્વનું

આરતીબહેને વધુમાં જણાવ્યુ હતુ કે લગ્નના ચોથા દિવસે જ્યારે મને જાણ થઇ કે મારા અન્ય સાથી મિત્રો કોરોનાથી સંક્રમિત થયા છે અને હોસ્પિટલને મારી જરૂર છે. ત્યારે કંઇ પણ વિચાર કર્યા વગર લગ્નજીવનના ચોથા જ દિવસે મેં મારી ડ્યુટી જોઇન કરી છે. આવી કપરી પરિસ્થિતિમાં અંગત જીવન કરતા સમાજસેવા અને દેશસેવા વધુ જરૂરી છે. એક દર્દીને સમયસર જમવાનું મળી રહે તેની માનસિક સ્થિતિ પણ મજબૂત બની રહે તે મારા માટે મહત્વનું હતું, જેથી હું ખૂબ જ ટૂંકાગાળામાં ફરજ પર હાજર થઇ છું.

Last Updated :May 12, 2021, 1:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.