ETV Bharat / state

કોરોના કાળ દરમિયાન હોસ્પિટલ દ્વારા નિકાલ કરવામાં આવતા બાયો-મેડિકલ વેસ્ટનું શું થાય છે? જુઓ વિશેષ અહેવાલ

author img

By

Published : Aug 11, 2020, 5:35 PM IST

ગુજરાતમાં સૌથી વધુ કોરોના કેસ સુરત શહેરમાં નોંધાઈ રહ્યા છે. શરૂઆતથી લઈને અત્યાર સુધી 15 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઈ ચુક્યા છે. તંત્ર એક બાજુ દર્દીઓની સારવાર માટે કટિબદ્ધ છે, બીજી બાજુ કોરોના કાળમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં બાયો-મેડિકલ વેસ્ટ આરોગ્યની દ્રષ્ટિએ ખુબ ઘાતક હોવાથી તેને કેન્દ્રના આરોગ્ય વિભાગની ગાઈડલાઈન અનુસાર વૈજ્ઞાનિક પદ્ધતિથી નષ્ટ કરવો ખુબ જરૂરી હોય છે. ત્યારે સુરતમાં સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ તંત્ર દ્વારા બાયોવેસ્ટનો કાળજીપૂર્વક નિકાલ કરવામાં આવી રહ્યો છે.

હોસ્પિટલ દ્વારા નિકાલ કરવામાં આવતો બાયો-મેડિકલ વેસ્ટ
હોસ્પિટલ દ્વારા નિકાલ કરવામાં આવતો બાયો-મેડિકલ વેસ્ટ

સુરત: મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની ગાઈડલાઈનને અનુસરી બાયો-મેડિકલ કચરાનો નિકાલ કરે છે. ઘરગથ્થુ કચરાને અનેક પ્રકારે ઉપયોગમાં લઈ શકાય છે, પરંતુ આ બાયોવેસ્ટમાં અનેક પ્રકારના રોગોના ધાતક વિષાણુઓ હોય છે.

સ્મીમેરના બાયોલોજી ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડો. રાજીવ કુમારે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(CPCB)ના નિયમોને આધિન કોવિડના દરેક વોર્ડથી કોવિડ-19ના નિયમ અનુસાર 10થી 15 ટકા ડિસ્પોઝેબલ બાયો-મેડિકલ વેસ્ટને અલગ કરવો ખૂબ જ જરૂરી હોય છે. જેથી યલો બેગ અને રેડ બેગને અલગ-અલગ ડબલ બેગ પેકિંગમાં પેક કરી તેના ઉપર કોવિડ-19ની નેમ ટેગ લગાવવામાં આવે છે. બાકીના સોલિડ વેસ્ટને પેકિંગ કરીને તમામ બેગ પર સોડિયમ હાઈપોક્લોરાઈડ સોલ્યુશનનો છંટકાવ કરી ડસ્ટબિન બોક્ષમાં નાંખીને સફાઈ કર્મચારી દ્વારા લઈ જઈ બાયોવેસ્ટને ઈન્સ્પેક્શન કંટ્રોલ સુપરવાઇઝરની દેખરેખ હેઠળ નિયત વાહનમાં મોકલવામાં આવે છે.

હોસ્પિટલ દ્વારા નિકાલ કરવામાં આવતો બાયો-મેડિકલ વેસ્ટ

સુરતની સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવે છે, ખાસ કરીને બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે પાલિકાએ ખાસ સ્ટ્રેટેજી બનાવી છે. બાયોમેડિકલ વેસ્ટના કારણે ચેપ ન ફેલાય તેની તકેદારી લેવામાં આવે છે. આ અંગે સ્મીમેરના સુપરવાઇઝર મયુર કુમારે જણાવ્યું કે, સંપૂર્ણ હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓ માટે PPE કિટ, ફેસ માસ્ક, કેપ ગોગલ્સ પહેરીને સુરક્ષા સાથે 24 કલાક ત્રણ જુદી જુદી શિફ્ટમાં કામ કરવામાં આવે છે. સ્મીમેર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ બાયો-મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ થઈ રહ્યો છે.

સુપરવાઇઝર અજયની નિગરાનીમાં બાયો-મેડિકલ વેસ્ટનું વજન કરીને કોવિડ, જનરલ અને સોલિડ એમ ત્રણ અલગ અલગ ગાડીઓ મારફતે બાયો-મેડિકલ વેસ્ટને ડિસ્પોઝ કરવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે છે. બાયોવેસ્ટનો ખુબ જ સલામતીપુર્વક નિકાલની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. બાયો વેસ્ટને કલર કોડ પ્રમાણે વિવિધ બેગમાં એકત્ર કરી તેને યોગ્ય રીતે નિકાલ કરવાની જવાબદારી ફરજ પર રહેલા સ્મીમેરના સ્ટાફ, નર્સ તેમજ વોર્ડ ઇન્ચાર્જ સારીરીતે નિભાવી રહ્યા છે.

ડો. રાજીવ કુમારે કહ્યું કે, કોરોનાની મહામારીમાં હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ ચેપ ન ફેલાવે તેની તકેદારી રાખવી જરૂરી છે. જેથી પ્રવર્તમાન પરીસ્થિતિમાં કોરોનાના રોગની સારવારના ઉપયોગમાં આવતા સાધનો, બાયો વેસ્ટ ચેપ ન ફેલાવેએ માટે અમે પહેલાથી જ શ્રેષ્ઠ વ્યવસ્થા ઊભી કરી છે. ખાસ કરીને બાયો વેસ્ટથી અન્ય લોકો સહિત હોસ્પિટલમાં કામ કરતા તબીબો, પેરા મેડિકલ સ્ટાફ પણ સંક્રમણનો શિકાર ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

બાયો-મેડિકલ વેસ્ટને કોવિડ વોર્ડથી સ્પેશ્યલ લિફ્ટ મારફતે ટેમ્પરરી સ્ટોરેજ રૂમ તરફ લઈ જવામાં આવે છે. જે દરમિયાન પસાર થતી વખતે તમામ જગ્યાએ સેનિટાઈઝેશન કરવામાં આવે છે. હાલ કોરોના કટોકટીમાં સ્મીમેર હોસ્પિટલ દ્વારા બાયો વેસ્ટ માટે તમામ તકેદારી રાખવામાં આવે છે. બાયો વેસ્ટ માટે પીળા કલરની બેગમાં PPE કિટ, હેડ કેપ, માસ્ક, લેબોરેટરી વેસ્ટ, કેમિકલ વેસ્ટ, ફૂડ મટિરિયલને પેક કરવામાં આવે છે, જ્યારે લાલ કલરની બેગમાં ચેપી તેમજ જંતુયુક્ત વેસ્ટ, પ્લાસ્ટિક મટિરિયલ, હેન્ડ ગ્લોવ્ઝ, ગોગલ્સ જેવી વસ્તુને પેક કરીને ટ્રોલી મારફતે હોસ્પિટલના તમામ વોર્ડમાંથી એકત્ર કરવામાં આવે છે.

સુરતમાં આશરે હાલ ચાર હજારથી વધુ કોરોનાના દર્દીઓ હોમ ક્વારેટાઇન છે. આ અંગે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી આશિષ નાયકે જણાવ્યું કે, પાલિકા હોમ ક્વારેન્ટઇન થયેલા દર્દીઓના બાયો વેસ્ટ એકત્ર નથી કરતી કારણ કે તેમને માઈલ્ડ લક્ષણો હોય છે અને તેમનો કોઈ બાયો વેસ્ટ થતો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.