ETV Bharat / state

ડાયમંડ બુર્સ કાર્યક્રમમાં PM મોદીએ યાદ કર્યો સુરતી લોચો, સુરતીઓ થયાં ગદગદ, એમાં શું છે ખાસ જૂઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2023, 5:25 PM IST

ડાયમંડ બુર્સ કાર્યક્રમમાં પીએમ મોદીએ યાદ કર્યો સુરતી લોચો, સુરતીઓ જેમાં થયાં ગદગદ એમાં શું ખાસ છે જૂઓ
ડાયમંડ બુર્સ કાર્યક્રમમાં પીએમ મોદીએ યાદ કર્યો સુરતી લોચો, સુરતીઓ જેમાં થયાં ગદગદ એમાં શું ખાસ છે જૂઓ

લોચો સુરતની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે જેને ખાવા માટે વહેલી સવારથી જ સુરતીઓ લાઈનમાં લાગી જતા હોય છે. ગરમાગરમ લોચો બટર અને સીંગતેલમાં સુરતીઓ ખાતા હોય છે અને આ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સારી રીતે જાણે છે. આ કારણ છે કે તેઓએ પોતાના વક્તવ્યમાં સુરતી લોચા અંગેની વાત કરી હતી. આ વાત સાંભળીને સુરતીઓ પણ ગદગદ થઈ ગયા છે.

લોચો સુરતીઓની પહેલી પસંદ

સુરત: સુરતમાં વિશ્વની સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લો મુકતાની સાથે જ સુરતી લોચા અંગેની વાત પોતાના ભાષણમાં કરી હતી. અચાનક જ દેશવિદેશથી આવેલા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતાં કે આ લોચો છે શું ? ત્યારે જણાવીએ કે સુરતની સ્પેશિયલ વાનીઓમાંથી સુરતીઓની અતિપ્રિય ડિશ સુરતી લોચો ખૂબ ખાસ છે.

PMએ લોચાનો કર્યો આમ ઉલ્લેખ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ઉપર ભારે ઓળધોળ થયા હતાં. તેઓએ હુરત એટલે હુરત કહીને શરૂઆત જ એવી રીતે કરી હતી કે આખો સભાખંડ તાળીઓના તાલમાં ગુંજી ઉઠ્યું હતું. તેમણેે કહ્યું હતું કે આમ ગમે તેટલી ઉતાવળ હોય પણ ખાણીપીણીની દુકાને અડધો કલાક ઊભા રહેવાની ધીરજ એનામાં હોય. સુરતીઓ કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહીં. સુરત અને ગુજરાતના લોકો તો જાણે છે કે આ લોચો છે શું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો ખાસ સુરતી વાનગી લોચાની વાત કરી રહ્યા છે તો આ લોચો શું છે તે દેશવિદેશના લોકો પણ જાણવા આતુર થઈ ગયાં હતાં.

આવી રીતે બનાવવામાં આવે છે લોચો : લોચો બનાવવા માટે ચણાની દાળ, આદુ, હળદર બેકિંગ સોડા, મરચું પાવડર, મીઠું, લીલું મરચું, દહીં મગફળીનું તેલ, જીરું પાવડર અને ચણાના લોટની જરૂરિયાત હોય છે. ચણાની દાળ ત્રણથી ચાર વાર ધોઈને તેને ત્રણથી ચાર કલાક પાણીમાં પલાળી રાખવામાં આવે છે અને ત્યારબાદ તેને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરવામાં આવે છે. દહી ચણાનો લોટ નાખીને બેટર તૈયાર કરવામાં આવે છે. આ બેટરમાં ખાવાનો સોડા, તેલ, છીણેલું આદુ, હળદર હિંગ, બારીક સમારેલા લીલા મરચા અને મીઠું આપવામાં આવે છે અને તેને સ્ટીમ કરાય છે. સ્ટીમ કર્યા પછી તેની ઉપર ખાસ મસાલો બટર અથવા તો તેલ નાખીને બારીક સેવ પણ નાખવામાં આવતી હોય છે અને આ ગરમાગરમ લોચો લોકોને ખૂબ જ પસંદ આવે છે.

અલગ અલગ મસાલો લોકો પસંદ કરે છે : છેલ્લા 40 વર્ષથી લોચાનું વેચાણ કરનાર જયેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, ધંધો 50 વર્ષ જૂનો છે. લોચા બનાવવા માટે અમે સર્વ પ્રથમ અમે ચણાની દાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તેને સાતથી આઠ કલાક પાણીમાં પલાળવામાં આવે છે અને તેને પીસવામાં આવે છે. આદુ, મરચા મીઠું નાખીને મિક્સ કરી તેને સ્ટીમમાં મૂકવામાં આવે છે. અલગ વેરાઈટીઓ લોકો પસંદ કરી રહ્યા છે જેમાં તેલની સાથે સાથ બટર ચીઝ અને અલગ અલગ મસાલો લોકો પસંદ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરતી લોચા અંગે વાત કરે ત્યારે અમારા જેવા લોકોને ખૂબ જ આનંદ થાય છે કારણ કે તેમના કારણે હવે સુરતી લોચા અન્ય શહેરો અને વિદેશમાં રહેતા લોકો પણ ઓળખી રહ્યા છે.

હવે સુરતને લોચા માટે પણ ઓળખતા થઈ ગયા : લોચા ખાવા માટે આવેલા ઉમેશે જણાવ્યું હતું કે આજ દિન સુધી સુરતને લોકો ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી માટે ઓળખતા હતાં. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોચાની વાત કરી તો હવે લોકો સુરતને લોચા માટે પણ ઓળખતા થઈ ગયા છે.

સુરત માત્ર લોચા ખાવા માટે આવીએ : ભાગ્યશ્રીએ જણાવ્યું હતું કે, લોચા મને ખૂબ જ પસંદ છે. હું સુરતમાં નહીં પરંતુ નવસારીમાં રહું છું. જ્યારે પણ સુરત આવવાનું હોય ત્યારે લોચો ખાવા અમે આવતા હોઇએ છે. લોચા ખાયા વગર હું નવસારી જતી નથી. કેટલીકવાર તો એવું પણ થાય છે કે લોચા ખાવાની ઈચ્છા થાય તો અમે નવસારીથી સુરત માત્ર લોચા ખાવા માટે આવીએ છીએ.

  1. પીએમ મોદીને આવકારવા સુરતના વિદ્યાર્થીઓએ 29 રાજ્યોના કાપડમાંથી ફૂલ બનાવી બુકે તૈયાર કરાવ્યો
  2. ડાયમંડ બુર્સ ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીને 50 કેરેટની હીરાજડિત ભેટ, વિઝિટર્સ બૂકમાં અંગ્રેજીમાં પાઠવી શુભેચ્છા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.