નવસારીઃ ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશ વિસર્જનનું અનેરુ મહત્વ રહેલું છે. આ વિસર્જનમાં ગણપતિજીની પ્રતિમાને ફૂલ હાર, પૂજાપો તેમજ ખાદ્ય પદાર્થોના પ્રસાદથી પૂજા અર્ચના કરવામાં આવે છે. વિસર્જન જે જળાશયમાં કરવામાં આવે છે તે જળાશયમાં આ સામગ્રીને પરિણામે પ્રદૂષણ થવા પામે છે. આ વિસર્જીત સામગ્રી સડી જવાને પરિણામે જળાશયનું પાણી પ્રદૂષિત થાય છે અને જળચરોન તકલીફ પડતી હોય છે. આ વિઘ્ન નિવારવા નવસારીમાં રોટરી કલબ દ્વારા અનોખો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.
અનોખો સેવા યજ્ઞઃ વિસર્જન કરવા માટે લાવવામાં આવતા ગણેશજીની પ્રતિમા પરથી વિસર્જન અગાઉ સામગ્રી દૂર કરી દેવામાં આવે છે. આ સામગ્રીમાં ફૂલ, હાર, ફુલોની પાંદડી, પૂજાપા, ખાદ્ય સામગ્રી, પ્રસાદ વગેરેનો સમાવેશ થાય છે. આ દરેક સામગ્રીને નદીના પાણીમાં વહાવાને બદલે મૂર્તિ પરથી લઈને એકત્રિત કરવામાં આવે છે. આ સામગ્રી નદીમાં જતી ન હોવાથી નદી પ્રદૂષિત થતી નથી. તેનો બીજો ફાયદો એ છે કે આ એકત્ર કરેલ સામગ્રીમાંથી કુદરતી ખાતર એટલે કે વર્મીકમ્પોસ્ટ બનાવવામાં આવે છે. આ વર્મીકમ્પોસ્ટ આર્થિક રીતે નબળા ખેડૂતોમાં ખાતર તરીકે વિતરણ કરવામાં આવે છે.
રોટરી કલબની સરાહનીય કામગીરીઃ કલબના મેમ્બર્સ દ્વારા આ કામ સેવાની દ્રષ્ટિએ કરવામાં આવી રહ્યું છે. આ સેવા યજ્ઞથી પર્યાવરણની જાળવણી થાય છે તેમજ ગરીબ ખેડૂતોને કુદરતી ખાતર વિનામૂલ્યે મળી રહે છે. દિવસ દરમિયાન ગણેશ વિસર્જન કરવાના સ્થળોએથી કુલ 5થી 7 ટન ફૂલો તેમજ અન્ય સામગ્રી એકત્ર કરવામાં આવી રહી છે. રોટરી કલબના મેમ્બર્સ ઉમદા કાર્ય કરી રહ્યા છે તેની જાણ થતાં જ નગર પાલિકા પણ તેમનો સહયોગ કરી રહી છે. આ ઉમદા કાર્યમાં ભકતો પણ સહભાગી બની રહ્યા છે. ભક્તો વિસર્જન પહેલા સામે ચાલીને ગણેશજીની પ્રતિમા પરથી આ સામગ્રી રોટરી કલબના મેમ્બર્સ પાસે જમા કરાવી જાય છે અને માત્ર ગણેશજીની પ્રતિમાને જ પૂર્ણા નદીમાં વિસર્જીત કરી રહ્યા છે.
અમે છેલ્લા સાત વર્ષથી આ સેવા યજ્ઞ કરી રહ્યા છીએ. જેમાં વિઘ્નહર્તા દેવ પર ચડાવવામાં આવતા ફુલો અને પૂજાપાને એકત્ર કરીએ છીએ. આખા દિવસ દરમિયાન પાંચ થી સાત ટન જેટલી સામગ્રી એકત્રિત થાય છે. આ સામગ્રીમાંથી વર્મીકમ્પોસ્ટ બનાવી જરૂરિયાતમંદ ખેડૂતોને નિઃશુલ્ક આપવામાં આવે છે. આ સેવા યજ્ઞમાં અમને નવસારી નગર પાલિકાનો પણ સહયોગ મળી રહ્યો છે...ભવ્યા શાહ (પ્રેસિડન્ટ, રોટરી કલબ, નવસારી)
રોટરી ક્લબ દ્વારા અહીં જે અનોખો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે તે ખૂબ જ સરાહનિય છે, કારણ કે ગણેશજીની મૂર્તિ પર ચઢાવવામાં આવેલો ફૂલો અને પૂજાપો નદીમાં વિસર્જીત કરવાથી નદી પ્રદૂષિત થાય છે અને તેમાં રહેલા જીવોને પણ નુકસાન થતું હોય છે. આ સામગ્રીમાંથી વર્મીકમ્પોસ્ટ બનાવીને ખેડૂતોમાં વિતરણ કરાય છે જે ખરેખર આવકારદાયક પ્રયાસ છે...કશીશ પારેખ(સ્થાનિક, નવસારી)