ETV Bharat / state

દાંડીયાત્રા 2021 : વીઆઇપી સગવડથી સજ્જ દાંડીયાત્રાના યાત્રિકો સંબંધીને ત્યાં પહોચ્યા

author img

By

Published : Apr 1, 2021, 5:12 PM IST

Updated : Apr 1, 2021, 9:33 PM IST

સુરતમાં પ્રવેશતાની સાથે જ દાંડી યાત્રા વિવાદોમાં સપડાઇ હતી. નિયત સ્થળો પર રાત્રિ રોકાણ નહીં કરવાથી લઈ દાંડી યાત્રિકો દ્વારા વિશ્રામના દિવસે સગા સંબંધીને ત્યાં જવાના વિવાદો સામે આવ્યા છે. યાત્રીઓને અપાતી વીઆઇપી સગવડો અને ભોજનમાં પીરસવામાં આવતા મિષ્ટાનને કારણે આ દાંડીયાત્રા એક પોલિટિકલ સ્ટંટ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

વીઆઇપી સગવડથી સજ્જ દાંડીયાત્રાના યાત્રિકો સંબંધીને ત્યાં પહોચ્યા
વીઆઇપી સગવડથી સજ્જ દાંડીયાત્રાના યાત્રિકો સંબંધીને ત્યાં પહોચ્યા

  • દાંડી યાત્રા એક પોલિટિકલ સ્ટંટ હોવાની ચર્ચા
  • વીઆઇપી સગવડો અને ભોજનમાં મિષ્ટાન
  • આધુનિક દાંડી યાત્રા સુરત જિલ્લામાં પહોંચતાની સાથે વિવાદમાં સપડાઇ

બારડોલી : અમદાવાદથી નીકળેલી દાંડી યાત્રા સુરત જિલ્લામાં પ્રવેશ્યા બાદ વિવાદોમાં રહી છે. દેલાડની જગ્યાએ સાયણમાં રાત્રિ રોકાણ બાદ હવે કેટલાક યાત્રીઓ બે દિવસના રોકાણ દરમિયાન પોતાના સગા સંબંધીઓને મળવા માટે જતાં રહ્યા હોવાની વિગતો સામે આવી છે. કેટલાક યાત્રીઓ દેલાડથી કામરેજ ચાર રસ્તા ખાતે સંબંધીને ત્યાં પહોંચી ગયા હતા.

વીઆઇપી સગવડથી સજ્જ દાંડીયાત્રા
વીઆઇપી સગવડથી સજ્જ દાંડીયાત્રા
1930મા વરસાદ પડતાં દેલાડમા 2 દિવસ રોકાણ કર્યું હતું 12મી માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડી યાત્રા 30મી માર્ચના રોજ ઓલપાડ તાલુકાના દેલાડ ગામે પહોંચી હતી. પરંતુ તે સમયે વરસાદ હોવાથી યાત્રા બે દિવસ સુધી દેલાડ ગામમાં રોકાઇ હતી. 30 અને 31મી માર્ચના રોજ ગાંધીજી અને તેમના સાથીદારોએ દેલાડ ગામમાં રાતવાસો કર્યો હતો. આથી જ્યારે પણ આ દાંડીયાત્રાની સ્મૃતિમા દાંડીયાત્રા યોજાય છે ત્યારે આ જ સમયપત્રક અને સ્થળને અનુસરવામાં આવે છે.

કીમ નદી પર વાંસનો પુલ બનાવવાની જગ્યાએ બોટના 35 ફેરા મારી યાત્રિકોને પ્રવેશ અપાયો

દેશની આઝાદીના 75 વર્ષ નિમિત્તે સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત 12મી માર્ચ 2021થી અમદાવાદના સાબરમતી આશ્રમથી 81 યાત્રિકો સાથે દાંડી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા સુરત જિલ્લામાં પ્રવેશતાની સાથે જ વિવાદોમાં સપડાઇ હતી. ઉમરાછીમા પ્રવેશ સમયે કીમ નદી પર વાંસનો પુલ બનાવવાની જગ્યાએ તમામ યાત્રિકોને બોટમાં 35 ફેરા મારી સામે પાર લાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ એરથાણ ગામના ગ્રામજનોએ દાંડી યાત્રિકોનું ભવ્ય સ્વાગત કર્યું

યાત્રિકોને વોલ્વો બસમા બેસાડી ખાનગી પ્રાથમિક શાળામા લઈ જવાયા

યાત્રા જ્યારે ઉમરાછી પહોંચી ત્યારે રાત્રિ રોકાણ ઉમરાછીમાં હોવા છતાં ત્યાંથી 4-5 કિમી દૂર ખાનગી સ્કૂલના એર કન્ડિશન રૂમમાં રોકાણ કરવું પડ્યું હતું. બાદમાં ભટગામમાં રાત્રિ રોકાણની જગ્યાએ વોલ્વો બસમાં બેસાડી યાત્રિકોને ફરીથી એ જ ખાનગી શાળામાં પહોંચાડ્યા હતા. જ્યારે 30 માર્ચના રોજ દેલાડ પહોંચેલી યાત્રાને બે દિવસ અહીં રાત્રિ રોકાણ કરવાનું હતું પરંતુ સગવડ ન હોવાથી સાયણની પ્રાથમિક શાળામાં રાતવાસો કર્યો હતો.

કેટલાક દાંડી યાત્રીકો સગા સંબંધીને મળવા ઉપડી ગયા

બીજી તરફ બે દિવસ દેલાડની જગ્યાએ સાયણમાં રાતવાસો કર્યા બાદ 31મી માર્ચના રોજ કેટલાક દાંડી યાત્રીઓ સગા સંબંધીને મળવા માટે ઉપડી ગયા હતા. ખાનગી રિક્ષા ભાડે કરી વિશ્રામ સ્થળથી કામરેજ ચાર રસ્તા ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આ મામલે સરકારી અધિકારીઓ પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ત્યારે 2021ની આ આધુનિક દાંડીયાત્રા બાપુના સાદગીપૂર્ણ જીવનને પણ લાંછન લગાવી રહી છે.

આ પણ વાંચોઃ આજે દાંડીયાત્રા દિવસઃ બાપુએ મીઠાના કાનૂન સામે અંગ્રેજને પડકાર ફેક્યો હતો

Last Updated : Apr 1, 2021, 9:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.