સુરત : પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જિલ્લાની મુલાકાતે હતા. માંગરોળના વાંકલ ખાતે યોજાયેલ કોસંબા APMCના ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોના અભિવાદન સમારોહમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પાટીલે કોસંબા APMCના તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. અભિવાદન સમારોહ બાદ ટીલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલ, મંત્રી કુંવરજી હળપતિ, માંગરોળ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા સહિત ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
700 જેટલા આપ અને કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા : વાંકલ ખાતે પ્રદેશ અધ્યક્ષ પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ અને આપ ના 700 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ત્યારે પાટીલે તમામ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં બારડોલી વિધાનસભા 2022 આપના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકી સહિત આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
પાટીલે ખેસ પહેરાવીને આવકાર્યા : આ ઉપરાંત કોંગ્રેસના ડેલીગેશન સભ્ય અને કોંગ્રેસના નેતા હરીશ વસાવા પણ પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. લોકસભાની ચુંટણી સમયે જ કોંગ્રેસ અને આપમાં ભંગાણ સર્જાતા સુરત જિલ્લાના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. ત્યારે પાટીલ તેમજ જિલ્લા ભાજપ દ્વારા તમામ નવનિયુક્ત કાર્યકરોને અભિનંદન સાથે પાર્ટીમાં આવકાર્યા હતા. પાટીલે જણાવ્યું હતું કે, વાંકલ ગામે યોજાયેલા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદેદારો હાજર રહ્યા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અને AAP ના કાર્યકરો હોદેદારો ભાજપમાં જોડાયા હતા.