ETV Bharat / state

Rajkot Superstition: અંધશ્રદ્ધાના નામે આહુતિ, કમળપૂજા વિધી કરીને પતિ-પત્નીએ હવનકુંડમાં માથા હોમી દીધા

author img

By

Published : Apr 17, 2023, 4:41 PM IST

રાજકોટના વિંછિયામાં અંધશ્રદ્ધામાં પતિ-પત્નીએ પોતાનું જીવન હોમી દીધું છે. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે બન્નેએ પોતાના મસ્તક હવનકુંડમાં હોમી દીધા છે. પતિ-પત્નીએ અંધશ્રદ્ધામાં કહેવાતી કમળપૂજા વિધી કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ઘટનાસ્થળેથી આ અંગેની સુસાઈડ નોટ પણ મળી આવી છે.

Rajkot Superstition:
Rajkot Superstition:Rajkot Superstition:

અંધશ્રદ્ધામાં પતિ-પત્નીએ પોતાનું જીવન હોમી દીધું

રાજકોટ: વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આજે પણ સતત અંધશ્રદ્ધાના કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે. આવી જ એક અંધશ્રદ્ધાની ઘટના રાજકોટ જિલ્લાના વીંછિયામાં સામે આવી છે. જ્યાં દંપતીએ જાતે જ 10 મણનો મોતનો માંચડો બનાવી સજોડે પોતાની બલી ચડાવી હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસમોર્ટમ કરાવવા મૃતદેહને રાજકોટ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ખેતરમાં બનાવેલા ઝૂંપડામાં તાંત્રિક વિધિ કરીને આહુતિ આપવાનો ચકચારી બનાવ
ખેતરમાં બનાવેલા ઝૂંપડામાં તાંત્રિક વિધિ કરીને આહુતિ આપવાનો ચકચારી બનાવ

હવનકુંડમાં હોમ્યા માથા: વીછિયા મોઢુકા રોડ પર હેમુભાઈ ભોજાભાઈ મકવાણાની વાળી આવેલી છે. જ્યાં વાળીની અંદર તેમના જ પુત્ર અને પુત્રવધુ લગભગ છેલ્લા બે મહિનાથી હવન કુંડ બનાવી ધાર્મિક વિધિ કરતા હતા. જોકે, ગઇકાલે રાત્રે દીકરા દીકરીને મામાના ઘરે મૂકી આવ્યા બાદ દંપતીએ જાતે બલી ચડાવી જિંદગીનો અંત લાવી દીધો હતો. એટલું જ નહીં ગળું કપાયા બાદ હવન કુંડમાં હોમાઇ જાય તે મુજબ વ્યવસ્થા કરી 2x2 ફૂટનો હવન કુંડ બનાવ્યો હતો. જોકે, તેમાં પત્નીનું માથું હવન કુંડમાં પડતા હોમાઇ ગયું હતું. જ્યારે પતિનું માથું હવન કુંડથી થોડે દૂર પડતા તે હોમાયું ન હતું.

તાંત્રિક વિધિ કરીને પોતાની આહુતિ: વીંછિયાના એક ખેતરમાં બનાવેલા ઝૂંપડામાં તાંત્રિક વિધિ કરીને આહુતિ આપવાનો ચકચારી બનાવ બન્યો છે. ત્યારે આ સમગ્ર બનાવમાં જૂના જમાનામાં રાજા-મહારાજા અને અંગ્રેજો દ્વારા અપાતી મૃત્યુદંડની સજા માટે વપરાતાં માંચડામાં જેવો માંચડો તૈયાર કરાયેલો હતો. જેમાં પતિ-પત્ની હવન કુંડની બાજુમાં સુઈ ગયા હતા. કોઈપણ રીતે માંચડામાં ભારેખમ લોખંડના ધારદાર અને વજનદાર એક હથિયારને બે પાઈપના સહારે ઉપર ચડાવ્યું હતું. ત્યારબાદ તેને એક દોરી બાંધી હતી. જે દોરીને કોઈપણ પ્રકારે કાપીને કે છૂટી મૂકીને છાપરાંની ઉંચાઈથી પટક્યું હતું. જેમાં પતિ અને પત્નીના મસ્તક કપાઈ ગયા હતા. જેમાં પત્નીનું મસ્તક હવન કુંડમાં પડ્યું હતું અને પતિનું મસ્તક હવન કુંડથી દૂર પડ્યું હતું.

ઘટનાસ્થળેથી આ અંગેની સુસાઈડ નોટ પણ મળી આવી
ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ પણ મળી આવી

આ પણ વાંચો: Porbandar News: ઉધરસનો આવો ઈલાજ..!! બાળકીને ધગધગતા લોઢાના સળિયાથી ડામ દીધા

કમળ પૂજા વિધી: ખેતરમાં ઊભા કરાયેલા ઝૂંપડામાં પતિ-પત્નીએ જ્યાં હવનમાં આહુતિ આપી ત્યાં એક શિવલિંગ સ્થાપવામાં આવ્યું હતું. તેને ફૂલહાર પણ કરાયા હતા. જ્યારે હવન કુંડ પાસે શ્રીફળ રાખવામાં આવ્યા હતા. સાથેસાથે બાજુમાં અગરબત્તીઓ પણ પ્રગટાવવામાં આવી હતી. એટલું જ નહીં, ત્યાં પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો. અબીલગુલાલથી કોઈ દેવતાના ફોટો અને હાથે બનાવેલી કોઈ દેવતાની મૂર્તિને ફૂલહાર કરાયો હતો. તો ત્યાં લીંબું, માળા અને કળશ પણ પડ્યું હતું. જ્યારે પતિ-પત્નીએ બલી આપવા માટે જૂના જમાનામાં તૈયાર કરાતા મૃતદંડ માટેના ધારધાર અસ્ત્ર જેવું શસ્ત્ર બનાવીને દોરીથી બાંધ્યું હતું. જેને સંભવતઃ એક લોખંડની કરવતની મદદથી કાપવામાં આવ્યું હોવાની શક્યતા છે.

ઘટનાસ્થળેથી આ અંગેની સુસાઈડ નોટ પણ મળી આવી
ઘટનાસ્થળેથી આ અંગેની સુસાઈડ નોટ પણ મળી આવી

આ પણ વાંચો: જ્ઞાનના ફળીયામાં અંધશ્રદ્ધાના દ્રશ્યો એક શિક્ષિકા ચાલુ ક્લાસે લાગે છે ધુણવા

સુસાઈડ નોટ મળી આવી: ઘટના સ્થળેથી બંનેની સુસાઈડ નોટ ઉપરાંત 50 રૂપિયાનું એક સ્ટેમ્પ પેપર પણ મળી આવ્યું છે. આ સુસાઈડ નોટમાં પત્નીના સ્વાસ્થ્યને લઈને તેમના ગયા પછી કોઈને પરેશાન ન કરવાની મહત્વપૂર્ણ વાતો ટાંકી હતી. આ સિવાય તેમના બાળકોનું પણ સૌ કોઈ સારી રીતે ધ્યાન રાખશે તેવો તેમને વિશ્વાસ છે એમ પણ કહ્યું છે. સુસાઈડ નોટમાં પહેલાં પાનામાં મૃતકે તેમના ભાઈઓને ઉદ્દેશીને લખ્યું હતું, આ કાગળ મા-ભાઈ માટે, તમે ત્રણેય ભાઈ હારે રેજો અને મા-બાપની જેમ ધ્યાન રાખજો અને સાથે જ બેનનું પણ ધ્યાન રાખજો. મારા છોકરાઓનું ધ્યાન રાખજો અને મારી છોકરીનું ધ્યાન રાખજો. તમે ત્રણેય ભાઈ થઈને ધ્યાન રાખજો અને પરણાવી દેજો. મને મારા ભાઈ ઉપર પૂરો ભરોસો છે.

પોલીસ તપાસ તેજ: હેમુભાઈ અને હંસાબેન મકવાણા નામના આ દંપતીએ એક રીતે અંધશ્રદ્ધામાં તાંત્રિકવિધિના નામે આપઘાત કર્યો છે. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે કમલપૂજા કરવાનું કારણ શું છે? શું કોઈએ તેઓને તાંત્રિક વિધિ કરવા માટે ઉશ્કેર્યા હતા? કયા ઉદ્દેશ માટે તાંત્રિકવિધિ કરાઈ રહી હતી? શું પરિવારના અન્ય સભ્યોને તાંત્રિકવિધિની ખબર ન હતી? હાલ બન્ને મૃતદેહને પી.એમ માટે વીંછીયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પોલીસ ટીમ અને મામલતદાર સહિતની ટીમ પહોંચી છે. સમગ્ર મામલે વિંછિયા પોલીસ તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.