ETV Bharat / state

રાજકોટની અમુલ ઈન્ડસ્ટ્રીઝના 3 કર્માચારીઓએ શા માટે કરી લીધી આત્મહત્યા ? જાણો કારણ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 13, 2023, 4:08 PM IST

400 કર્મચારીઓને 13 મહિનાથી પગાર ચૂકવાયો નથી
400 કર્મચારીઓને 13 મહિનાથી પગાર ચૂકવાયો નથી

રાજકોટની અમુલ ઈન્ડસ્ટ્રીઝ ફરીથી એકવાર વિવાદમાં આવી છે. આ કંપનીના 3 કર્મચારીઓએ એક પછી એક આત્મહત્યા કરી લીધી છે. વધુ કર્મચારીઓ પણ આ માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. વાંચો વિગતવાર. Rajkot Amul Industry 3 Employees Suicide

કંપની સંચાલકોની આડોડાઈને લીધે 400 પરિવારોને ભૂખે મરવાનો વારો આવ્યો છે

રાજકોટઃ અમુલ ઈન્ડસ્ટ્રીના કર્મચારીઓ પર આભ તૂટી પડ્યું છે. આ કંપનીમાં કામ કરતા 3 કર્મચારીઓ એક પછી એક આત્મહત્યા કરી ચૂક્યા છે. વધુ કર્મચારીઓ પણ આત્મહત્યા ની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ઈટીવી ભારતે આ ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારા કારણો સામે આવ્યા છે.

400 પરિવારો તકલીફમાંઃ અમુલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા કર્મચારીઓને પગાર અને પીએફની સમસ્યા બે વર્ષથી નડી રહી છે. જેને લઈને અનેક કર્મચારીઓએ પગાર લીધા વિના કંપનીને અલવિદા કરી દીધું છે. જ્યારે 3 કર્મચારીઓએ કંપનીની આડોડાઈને લીધે આત્મહત્યા કરી છે. જેમાં વિક્રમ બકુત્રા, અનિલ વેગડા અને હરેશ હેરભા કર્મચારીઓએ મોતની પછેડી તાણી લીધી છે. કંપનીના માલિકો એવા ભાઈઓ નીતિન સંતોકી અને સુરેશ સંતોકી તેમજ ભાગીદારોમાં તકરારને લીધે કર્મચારીઓને પગારના પણ સાંસા પડી રહ્યા છે. કર્મચારીઓ કંપની વિરુદ્ધ લેબર કોર્ટમાં પણ ગયા હતા. કોર્ટે બે વાર કર્મચારીઓની તરફેણમાં હુકમ આપ્યો છે પણ જાડી ચામડીના કંપની માલિકોને કોઈ ફેર પડતો નથી. તેઓ કોઈક પીઠબળના આધારે કાયદાને પણ ઘોળીને પી ગયા છે. કંપનીમાં કામ કરતા 400 કર્મચારીઓને 13 મહિનાથી પગાર ચૂકવાયો નથી અને 30 મહિનાથી પીએફના નાણાં જમા કરાયા નથી. કંપની સંચાલકોની આડોડાઈને લીધે 400 પરિવારોને ભૂખે મરવાનો વારો આવ્યો છે. ઈટીવી ભારતે કંપનીના મેનેજમેન્ટ સાથે આ મુદ્દે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મેનેજમેન્ટ તરફથી કોઈ રિસ્પોન્સ આપવામાં આવ્યો નહતો.

અમે રાજકોટની અમુલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.માં કામ કરીએ છીએ. કુલ 400 કર્મચારીઓ 13 મહિનાથી પગારથી વંચિત છે તેમજ 30 મહિનાના પીએફના નાણાં જમા કરાવમાં આવ્યા નથી. કંપની સંચાલકોના પારિવારીક કલેશમાં આ સમસ્યા ઉદભવી છે. 3 કર્મચારીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. સંચાલકો કાયદાને પણ ઘોળીને પી ગયા છે. જો કે અમને કાયદા પર વિશ્વાસ છે કે અમને ન્યાય જરુર મળશે...રમેશ બકુત્રા(કર્મચારી, અમુલ ઈન્ડસ્ટ્રી, રાજકોટ)

કંપનીના કર્મચારીઓની આત્મહત્યા મામલે બે સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બંને સંચાલકો હાલ ફરાર છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેમની ધરપકડ થશે ત્યારે આ મામલે ભાગીદારોની શું ભૂમિકા છે તે ખબર પડશે...મયૂરધ્વજ સિંહ સરવૈયા(પીઆઈ, ભક્તિનગર પોલીસ સ્ટેશન, રાજકોટ)

  1. માતાએ કાળજુ કંપાવી નાખે તેવી ઘટનાને આપ્યો અંજામ, જાણીને ચોંકી જશો...
  2. થરાદમાં લૂડો ગેમમાં 10 લાખનું દેવું થઈ જતાં યુવકે કરી આત્મહત્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.