- આમ્રપાલી ફાટક પર અન્ડરબ્રીજ બનાવવાની કામગીરી રેલ્વે દ્વારા શરૂ કરાઇ
- કામગીરી પૂર્ણ થયે આ અન્ડરબ્રીજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે
- બ્રિજ બનવાથી ટ્રાફિક સમસ્યામાં જોવા મળશે નોંધપાત્ર ધટાડો
રાજકોટઃ ટ્રાફિકની સમસ્યાનો ક્રમશઃ ઉકેલ આવે તે માટે શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પર અન્ડરબ્રીજ બનાવવાની કામગીરી રેલ્વે દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેની કામગીરી પૂર્ણ થવાની તૈયારીએ છે. આગામી જાન્યુઆરી-2021માં કામગીરી પૂર્ણ થયે આ અન્ડરબ્રીજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
આગામી જાન્યુઆરી-૨૦૨૧માં ખુલ્લો મુકાશે
મ્યુનિ. કમિશનરએ વધુમાં જણાવ્યું હતું કે, આમ્રપાલી અન્ડરબ્રીજમાં પાણીના નિકાલની તેમજ અન્ય પાણી બ્રિજમાં ન આવે તેવી વ્યવસ્થા રેલ્વે દ્વારા કરવામાં આવી છે. સમયસર કામગીરી પૂર્ણ કરી શહેરીજનો માટે આગામી જાન્યુઆરી-2021માં ખુલ્લો મુકવામાં આવશે. આ બ્રિજ બનવાથી ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ધટાડો જોવા મળશે.
મ્યુનિ. કમિશનરે બ્રિજની મુલાકાત લીધી
મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે બ્રિજની મુલાકાત લીધી હતી. જેમાં તેમની સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, રેલ્વેના સિની. ડિવીઝનલ ઓફિસર રાજકુમાર સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
અન્ડરબ્રીજમાં બંને બાજુ 4.5 મીટર સર્વિસ રોડ
આ અન્ડરબ્રીજમાં બંને બાજુ 4.5 મીટર સર્વિસ રોડ, 6.60 મીટરનો બંને બાજુ બોક્સની અંદર કેરેજ-વે, 6.75 મીટરનો બોક્સની બહાર બોક્સને જોડતો કેરેજ-વે તેમજ વૈશાલીનગર-1(શાક માર્કેટ તરફ) થી ચુડાસમા મેઈન રોડ(એરપોર્ટ રોડ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધા, કિશાનપરા (RMC સોસાયટી) તરફથી શ્રેયસ સોસાયટી (રેસકોર્ષ) તરફ બ્રિજની ઉપરથી જવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.