ETV Bharat / state

પોરબંદરમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને યાદ કર્યા, જાણો વિશ્વ સંભારણા દિવસનું મહત્વ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 19, 2023, 5:57 PM IST

આજે રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોની યાદમાં પોરબંદર ખાતે વિશ્વ સંભારણા દિવસનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપી લોકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઉપરાંત પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા જનતાને ખાસ અપીલ કરવામાં આવી હતી.
વિશ્વ સંભારણા દિવસ
વિશ્વ સંભારણા દિવસ

પોરબંદર : દર વર્ષે નવેમ્બર મહિનાનો ત્રીજો રવિવાર World Remembrance Day તરીકે ઓળખાય છે. જેના ભાગરૂપે આજરોજ પોરબંદર જિલ્લા ખાતે આવેલ ચોપાટી ગ્રાઉન્ડ પાસે વિશ્વ સંભારણા દિવસ નિમિત્તે રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પોરબંદર 108 ઈમરજન્સી સેવા અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોરબંદરમાં વિશેષ આયોજન : વિશ્વ સંભારણા દિવસ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને મીણબત્તી સળગાવી તથા પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે, હું સદાયને માટે રોડ ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ તથા કોઈપણ અકસ્માત કરીશ નહીં અને અકસ્માત ન થાય તેની તકેદારી રાખીશ,જો કોઈપણ રોડ અકસ્માત મારા ધ્યાને આવશે તો હું પ્રથમ મદદ માટે દોડી જઈશ અને 108 ને કટોકટીના સમયે કોલ કરી ઇજાગ્રસ્ત વ્યક્તિને મદદ કરીશ અને તેની મહામૂલી જિંદગી બચાવીશ.

વિશ્વ સંભારણા દિવસનું મહત્વ
વિશ્વ સંભારણા દિવસનું મહત્વ

વિશ્વ સંભારણા દિવસ : દર વર્ષે નવેમ્બર મહિનાનો ત્રીજો રવિવાર World Day of Remembrance for Road Traffic Victims તરીકે ઓળખાય છે. એટલે કે રોડ ટ્રાફિક પીડિતો માટે વિશ્વ સ્મૃતિ દિવસે રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ઉપરાંત માર્ગ અકસ્માતના પીડિતો માટે વિશ્વ સ્મૃતિ દિવસ એટલા માટે નક્કી કરવામાં આવ્યો કે, જેનાથી સામાન્ય લોકોમાં જાગરુકતા વધે તેમજ ભવિષ્યમાં થનારી દુર્ઘટનાથી બચી શકાય.

અકસ્માતમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યો ? ઉલ્લેખનિય છે કે, સમગ્ર વિશ્વમાં દર વર્ષે માર્ગ દુર્ઘટનામાં કુલ 13.5 લાખ લોકો જીવ ગુમાવે છે. જ્યારે 5 કરોડ મુસાફરો ઘાયલ થઈ જાય છે. આ ઘાયલોમાં કેટલાક લોકોને કાયમી પંગુતા આવી જાય છે. આજનો દિવસ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક મદદ કરવાની અપીલ કરવાનો દિવસ છે. આ દિવસ માર્ગ અકસ્માતના શિકાર બનેલા પરિવારોનો સંઘર્ષ અને યાતના દૂર કરવા, માર્ગને સુરક્ષિત કરવા તેમજ માર્ગ અકસ્માત માટે જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણીનો દિવસ છે.

પોરબંદરની જનતાને અપીલ : પોરબંદરમાં પણ અનેક રોડ અકસ્માત બને છે. જેમાં ઘણા પરિવારના લોકો જીવ ગુમાવતા બાળકો નોંધારા બને છે. ઉપરાંત કેટલાય લોકો પોતાના સ્વજનનો સાથે ગુમાવે છે. ત્યારે પોરબંદરમાં યોજાયેલ આ કાર્યક્રમનો ઉદ્દેશ લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ આવે અને અકસ્માતથી બચે તેમ હતો. પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા રોડ અકસ્માતથી સાવચેતી રાખવા ઉપસ્થિત જતનાને એક જાહેર અપીલ કરી હતી. જેમાં પોરબંદરમાં લોકો સલામતીપૂર્વક વાહન ચલાવે અને સૌ સલામત રહે તે રીતે વાહન ચલાવવા માટે ગાઈડલાઈન મુજબની માહિતી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના RMO મકવાણા, PSI ચૌહાણ અને 108 એક્ઝિક્યુટિવ જયેશ જેઠવા સહિત સ્ટાફ અને પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  1. ઈન્ટરનેશનલ મેન્સ ડેઃ આજે પુરુષોના ત્યાગ અને સમર્પણને યાદ કરવાનો દિવસ
  2. જલારામ બાપાની 224મી જન્મ જયંતિ નિમિતે ભુજ લોહાણા મહાજને તૈયાર કર્યો 224 કિલોનો 100 ફૂટનો રોટલો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.