ETV Bharat / state

વિશ્વ દિવ્યાંગ દિવસઃ શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળે છેલ્લા 6 દાયકાથી કુલ 17,500 દિવ્યાંગોની સેવા સુશ્રુષા કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 4:40 PM IST

સમગ્ર વિશ્વમાં આજનો દિવસ 3 ડિસેમ્બર 'વિશ્વ દિવ્યાંગ દિવસ' તરીકે ઉજવાય છે. આજના ખાસ દિવસે પોરબંદરના શ્રી ભારતીય પ્રક્ષાચક્ષુ ગુરુકુળની કામગીરીને બિરદાવવી જ રહી. છેલ્લા 6 દાયકા કરતા વધુ સમયથી આ સંસ્થા સતત દિવ્યાંગોના વિકાસ માટે કાર્યરત છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. International Day of Disabled Persons Porbandar Pragna Chkshu Gurukul

Etv Bharat
Etv Bharat

ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળે છેલ્લા 6 દાયકાથી કુલ 17,500 દિવ્યાંગોની સેવા સુશ્રુષા કરી

પોરબંદરઃ આજ 3 ડિસેમ્બરને સમગ્ર વિશ્વ ઈન્ટરનેશનલ ડે ઓફ ડિસેબલ પરસન્સ એટલે કે 'વિશ્વ દિવ્યાંગ દિવસ' તરીકે ઉજવે છે. દિવ્યાંગો માત્ર દયાની જરુર નથી જો તેમને યોગ્ય સહકાર અને પ્રોત્સાહન પૂરુ પાડવામાં આવે તો તેઓ સફળતાના શીખરો સર કરી શકે છે. તેથી જ આજના દિવસે સરકારો, દિવ્યાંગોને સેવા કરતી સંસ્થાઓ, એનજીઓ વગેરે દિવ્યાંગોના હિતમાં વિવિધ કાર્યક્રમો યોજે છે. આજના દિવસે દિવ્યાંગોના જીવનને નવો વળાંક આપી સમૃદ્ધ કરતી સંસ્થાઓનું બહુમાન પણ કરવામાં આવે છે. જેથી અન્ય સંસ્થાઓ અને એનજીઓને પ્રોત્સાહન મળે. પોરબંદરની આવી જ એક સંસ્થા છેલ્લા 6 દાયકાથી દિવ્યાંગોના જીવનને નવો ઓપ આપવામાં કાર્યરત છે.

પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ વિશેઃ પોરબંદર શહેરમાં શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ છેલ્લા 6 દાયકા કરતા વધુ સમયથી પ્રજ્ઞાચક્ષુઓ તેમજ દિવ્યાંગોને મદદરુપ થઈ રહી છે. પોરબંદરના સ્વ. દેવજીભાઈ જેઠાભાઈ ખોખરી દ્વારા તા.01-06-1960માં આ ગુરુકુળની સ્થાપના વાઘેશ્વર પ્લોટમાં કરવામાં આવી હતી. તે સમયે આંખો ગુમાવી ચૂકેલા પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગોની જિંદગીમાં અજવાળું પાથરવાનું શરુ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા અત્યાર સુધી 17,500થી વધુ દિવ્યાંગોને રહેવા, જમવાની, શિક્ષણ, તબીબી સારવાર જેવી પ્રાથમિક સુવિધા સાથે માર્ગદર્શન અને રોજગાર પ્રશિક્ષણ પણ પૂરુ પાડી ચૂકી છે. અત્યારે સ્વ. દેવજીભાઇ ખોખરી સ્થાપિત આ સંસ્થા કમલેશભાઈ ખોખરીના માર્ગદર્શન હેઠળ અનેક પ્રજ્ઞાચક્ષુઓને તાલીમબદ્ધ કરાઈ સ્વરોજગારી મેળવી, સમાજમાં સન્માનભેર જીવન વ્યતિત કરી શકે તે માટે આ સંસ્થા પ્રયત્નરત છે.

સંસ્થાના કાર્યોઃ આ સંસ્થામાં બ્રેઈલ લીપી, શાસ્ત્રીય સંગીત, પર્સનાલિટી ડેવલોપમેંટ, ગૃહ ઉદ્યોગોની તાલીમ આપવામાં આવે છે. સમયાંતરે દિવ્યાંગોના સામાન્ય જ્ઞાન, યાદશક્તિ, વકતૃત્વ, શાસ્ત્રીય ગાયન, શાસ્ત્રીય વાદન, બ્રેઈલ લેખન, ભજન સંઘ્યા, રમત-ગમત વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. રહેવા જમવાની અદ્યતન સગવડની સાથો સાથ તબીબી સારવાર આપવામાં આવે છે અને રમત ગમતની ર્સ્પધાઓ પણ યોજાય છે. દિવ્યાંગોને ઓડિયો એજ્યુકેશન પ્રોજેક્ટથી શિક્ષણ તેમજ કોમ્પ્યૂટર તાલીમ પણ અપાઈ રહી છે.

દિવ્યાંગોએ કરી કમાલઃ પોરબંદરના પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળમાંથી શિક્ષણ મેળવીને 1500થી વધુ દિવ્યાંગોએ સરકારી તેમજ ખાનગી ક્ષેત્રે ઉચ્ચ પદ પર નોકરીઓ મેળવી છે. આ ઉપરાંત તેમણે રોજગાર અર્થે સરકારની યોજનાઓમાંથી લોન અપાવવામાં પણ ગુરુકુળ મહત્વની ભૂમિકા ભજવે છે. આ સંસ્થાના પાંચ દિવ્યાંગોએ નેશનલ કક્ષાની સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

પોરબંદર જિલ્લામાં કુલ વિકલાંગોઃ પોરબંદર જિલ્લામાં 1037 અંધ, 693 બહેરા-મુંગા, 4233 અસ્થિ વિષયક ક્ષતિ, 1092 મંદબુદ્ધિ, 482 માનસિક વિકલાંગ, 56 બહુ દિવ્યાંગ, 225 સેલેબ્રલ પાલ્સી દિવ્યાં ગો છે. પોરબંદર તાલુકામાં 4923, રાણાવાવમાં 2222, કુતિયાણામાં 673 સહિત કુલ 7818 દિવ્યાંગો નોંધાયા છે.

વર્ષ 2016માં 14 પ્રકારની વિકલાંગતાનો સમાવેશઃ સરકારે વર્ષ 2016માં નવી 14 પ્રકારની શારીરિક ક્ષતિને વિકલાંગતામાં ઉમેરીને કુલ 21 પ્રકારની વિકલાંગતાને માન્યતા આપવામાં આવી છે. દિવ્યાંગતામાં અંધ, બહેરા-મૂંગા, અસ્થિ વિષયક ક્ષતિ, મંદબુદ્ધિ, માનસિક બિમાર, બહુ દિવ્યાંગતા, સેરેબ્રલ પાલ્સી મગજનો લકવો વગેરેનો સમાવેશ થાય છે.

અમારી સંસ્થા ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગની માન્યતાપ્રાપ્ત છે. અમે દિવ્યાંગોને સંગીત વિશારદ, કોમ્પ્યૂટરની તાલીમ આપી રહ્યા છીએ. અમારી સંસ્થામાંથી તૈયાર થયેલા દિવ્યાંગો રાષ્ટ્રીયકૃત બેન્કમાં નોકરી સુધી પહોંચ્યા છે...કમલેશ ખોખરી(સંચાલક, શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ, પોરબંદર)

  1. Diwali 2023 : હર્ષ સંઘવીએ પોતાના જનસંપર્ક કાર્યાલય બહાર દિવ્યાંગ બાળકો દ્વારા બનાવાયેલા દીવાનો વેચાણ સ્ટોલ શરુ કર્યો
  2. Junagadh News: મનો દિવ્યાંગ બાળકો ઘુમ્યા ગરબે, તબીબોએ પુરાવ્યો સાથ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.