ETV Bharat / state

જીવન કલ્યાણકારી તમામ વસ્તુઓમાં ધર્મ હોવો જોઈએ : જગદગુરુ શંકરાચાર્ય

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2023, 8:37 AM IST

Updated : Nov 29, 2023, 8:45 AM IST

પાટણ ખાતે દ્વારકા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્યસ્વામી સદાનંદ સરસ્વતીજીની વિરાટ ધર્મ સભા યોજાઈ હતી. મોટી સંખ્યામાં નગરજનોએ જગદગુરુની અમૃતવાણીનો લાભ લીધો હતો. સ્વામીજીએ જીવનમાં સુખી થવા માટે ધર્મનું આચરણ કરવા અનુરોધ કર્યો હતો.

Etv Bharat
Etv Bharat

: જગદગુરુ શંકરાચાર્ય

પાટણ : શહેરના જુનાગંજ બજાર ખાતે જગન્નાથ ટ્રસ્ટ પાટણ દ્વારા ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. ધર્મસભા પૂર્વે પાટણ શહેરના રેલ્વેસ્ટેશન ખાતેથી દ્વારકાપીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. જે શહેરના માર્ગો પર થઇ જુનાગંજ બજાર પહોંચી હતી. આ શોભાયાત્રામાં શંકરાચાર્ય ભગવાન જગન્નાથજીના રથમાં બિરાજમાન થયા હતા. જે રથને પીતાંબરધારી બ્રાહ્મણોએ ખેંચ્યો હતો અને કેબીનેટ પ્રધાન બલવંતસિંહ રાજપૂત દ્વારા મહારાજનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.

ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું : શોભાયાત્રાના રુટ પર શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો ઉભા કરવામાં આવ્યા હતા. આ શોભાયાત્રામાં એક ઘોડાબગીમાં યજમાન જોશી પરીવાર અને બીજી બગીમાં પાટણમાં નવનિર્માણ પામનાર ભગવાન જગન્નાથજીના મંદિર માટે દાન આપનાર સોમપુરા પરીવાર બીરાજમાન થયો હતો. 500 જેટલી કળશધારી બાળાઓ અને દુર્ગાવાહીની દિકરીઓ પણ જોડાઇ હતી. આ દિકરીઓના તલવારબાજીના કરતબોએ ભારે આકર્ષણ જમાવ્યુ હતું. શોભાયાત્રામાં શહેરના વેપારીઓ અને શહેરીજનો દ્વારા ઠેર ઠેર શંકરાચાર્યજીનું પુષ્પોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. શોભાયાત્રા જુનાગંજ બજારમાં ધર્મસભામાં ફેરવાઇ હતી.

પાટણ
પાટણ

જગતગુરુએ ધર્મઅંગે સમજ આપી : જુનાગંજ બજાર ખાતે વિરાટ ધર્મસભાને સંબોધતા દ્વારકા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે જણાવ્યું હતું કે, મનુષ્યનું શરીર મળવું એજ પ્રલભ પુણ્ય છે. છતાં મનુષ્ય દુઃખી, રોગી, ચિંતાગ્રસ્ત રહે છે. તેનું મુખ્ય કારણ અજ્ઞાન છે. અસત્યને સત્ય માને છે. પ્રત્યેક ક્રિયામાં ધર્મ હોવો જોઈએ. જો ધર્મનું પાલન કરવામાં નહીં આવે તો આપણે રહીશું પરંતુ ધર્મ રહેશે નહીં. જેમ શરીરમાંથી રોગ દૂર કરી શકાય છે તેમ જીવનમાંથી પાપ પણ દૂર કરી શકાય છે. જેના માટે ધર્મનું પાલન કરવું જરુરી છે. હિન્દુધર્મ પ્રત્યે સ્વાભિમાન એજ આપણું અસ્તિત્વ છે. કર્તવ્યનું પાલન એ જ ધર્મ છે અને તેનું પાલન કરવા માટે આપણે મક્કમ હોવા જોઈએ .

મોટી સંખ્યામાં લોકો જોડાયા : આ પ્રસંગે કેબિનેટ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આપણા માટે આંનદનો દિવસ છે કે 36 વર્ષ પછી આપણા આંગણે આવો ભવ્ય અવસર આવ્યો છે. આપણી વચ્ચે જગદગુરુ શંકરાચાર્ય સાક્ષાત હાજર હોય ત્યારે તેઓ આપણને ધર્મના જ્ઞાનથી તરબોળ કરશે. ગાય માતા, ધાર્મિક કાર્યને લગતી સેવાકીય પ્રવૃત્તિઓ માટે યોગદાન આપવા માટે હું હંમેશા તત્પર જ છું. એવું સાંભળવા મળ્યું છે કે ધર્મસભામાં ભગવાન વિષ્ણુ સાક્ષાત્ હાજર હોય છે. ત્યારે આપણે પણ ધર્મસભાનો લાભ લઇને સેવાકીય પ્રવૃતિઓથી આપણા મનને પ્રફુલિત કરીએ. આ પ્રસંગે સંતો અને મહંતો સહિત મોટી સંખ્યામાં નગરજો ધર્મસભામાં જોડાયા હતા.

  1. પીએમ મોદીએ સુરંગમાંથી બહાર કાઢવામાં આવેલા કામદારો સાથે ફોન પર વાત કરી, કેન્દ્રીય મંત્રીઓએ પણ બચાવ કામગીરીની પ્રશંસા કરી
  2. મિત્રને આપેલા વચનને પૂર્ણ કરવા લીટલ માસ્ટર સુનિલ ગાવસ્કર નવસારી પહોંચ્યા હતા
Last Updated : Nov 29, 2023, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.