ETV Bharat / state

કેન્દ્રીય પ્રવાસન પ્રધાન પ્રહલાદસિંહ પટેલ પાવાગઢની મુલાકાતે, માઁ મહાકાળીના કર્યા દર્શન

author img

By

Published : Jul 12, 2020, 12:19 PM IST

Union tourism minister
પ્રહલાદસિંહ પટેલ પાવાગઢની મુલાકાતે

કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રધાન પ્રહલાદસિંહ પટેલે આજે પાવાગઢની ઓચિંતી મુલાકાત લીધી હતી, તેઓએ માતાજીના દર્શન કર્યા બાદ પાવાગઢ ખાતે આવેલી ઐતિહાસિક પુરાતત્વીય સાઇટની મુલાકાત લીધી હતી અને સાત કમાન પાસેથી મળી આવેલા 12મી સદીના શિલાલેખ સહિતના પુરાતત્વીય અવશેષોનું નિરીક્ષણ કરી જાળવણી કરવા નિર્દેશ આપ્યા હતા, તેમજ લકુલીશ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા પણ સૂચના આપી હતી.

પંચમહાલઃ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રધાન પ્રહલાદસિંહ પટેલે ઓચિંતી મુલાકાત લીધી હતી. મધ્ય ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રવાસનસ્થળ એવા પાવાગઢ પર્વત અને આસપાસના ઐતિહાસિક સ્થળોએ પુરાતત્વીય અવશેષો, સ્મારકોની થઈ રહેલી જાળવણી તેમજ પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જાળવણી અંગેની સૂચના આપી હતી.

પ્રહલાદસિંહ પટેલ પાવાગઢની મુલાકાતે

પ્રવાસન પ્રધાને માઁ મહાકાળીના દર્શન અને પૂજા અર્ચના કર્યા બાદ સાત કમાન પાસેથી ઉત્ખનન કરતા મળી આવેલા 12મી સદીના ચૌહાણ વંશની વિગતો ધરાવતા શિલાલેખનું અવલોકન કરી કામગીરીની વિગતો મેળવી હતી, ત્યારબાદ તેઓએ આ શિલાલેખોની વિગત કેન્દ્ર સ્તરે મોકલવામાં આવી હતી. તેઓએ લકુલીશ મંદિરની મુલાકાત દરમિયાન ઐતિહાસિક વિગતોનું યોગ્ય દસ્તાવેજીકરણ કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવા નિર્દેશ આપ્યો હતો.

તદ્પરાંત પાણી કોઠા, હેલીકલ વાવ, વડા જામી મસ્જિદ, કબૂતર ખાના, વડા તળાવ સહિત હેરીટેજ સાઈટના અગત્યના સ્થાપત્યોની મુલાકાત લેતા કોરોના કટોકટી સંદર્ભે પ્રવાસીઓ અંગે રાખવાની થતી સાવચેતી અંગે પણ સૂચના આપી હતી. પટેલે શહેરી મસ્જિદ, જામી મસ્જિદ અને વડા તળાવ એમ ત્રણ સ્થળોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન રાજ્ય કક્ષાના કૃષિ, પંચાયત અને પર્યાવરણ પ્રધાન જયદ્રથસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, તેમજ પુરાતત્વ સર્વે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.