મોરબીના દીપકભાઈએ ક્રિષ્ના બેકરીમાંથી પાઉં ખરીદ્યા હતાં. જેને ઘરે જઈને ખોલતાં તેમાંથી મરેલું ઉંદરનું બચ્ચું નીકળ્યું હતું. જે અંગે ગ્રાહકે બેકરીના સંચાલક વિરૂદ્ધ અરજી કરી હતી. તેમજ જિલ્લા કલેક્ટર સમક્ષ યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી હતી. જેના પગલે ફૂડ વિભાગે બેકરીની બનાવટના ખાદ્ય પદાર્થોના નમૂના લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ ત્યારબાદ તંત્ર આ અંગે કોઈ પગલાં લીધા નહોતા. તેમજ ફરિયાદીએ ખરીદેલા પાઉંના પણ નમૂના લીધા નહોતા. જેથી આ તમામ કવાયત માત્ર દેખાડા પૂરતી હોવાનું સ્થાનિકો રોષપૂર્વક જણાવી રહ્યાં છે.
આ ઘટના અંગે ફૂડ વિભાગના અધિકારી સી.કે નિમાવતે જણાવ્યું હતું કે, "તેમને આ પ્રકારની કોઈ અરજી મળી નથી." આમ, ગ્રાહકની રજૂઆત બાદ પણ કોઈ નક્કર પગલાં લેવાયા ન હોવાથી લોકો તંત્ર પર ગંભીર આક્ષેપો કરી રહ્યાં છે. ત્યારે તંત્ર આ અંગે મૌન સેવી રહ્યું છે.