કચ્છ: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. એમાં પણ આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. જેના કારણે શહેરના શિવાલયોમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે. જુદાં જુદાં માધ્યમથી શિવભક્તો ભોળાનાથની પૂજા અર્ચના કરી રહ્યા છે. કલા કારીગીરીનું હબ મનાતા કચ્છના યુવા કારીગરો પણ દર વર્ષે કંઇક અનોખું કરીને મહાદેવની આરાધના કરતા હોય છે. આ વર્ષે ભુજના યુવા ચિત્રકાર અલ્પેશ ગુસાઇએ દેશના મુખ્ય 12 જ્યોતિર્લિંગ મંદિરોના સ્થાપત્યને કેનવાસ પર કંડાર્યા છે.
" સ્પેશિયલ વર્કના ભાગરૂપે દેશના 12 જ્યોતિર્લિંગ મંદિરોનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. આ પેઇન્ટિંગ મોનોક્રોમેટિક ટોનમાં કરવામાં આવ્યું છે. જે ખરેખરમાં મંદિરના સ્થાપત્યના રંગ જેવું જ દેખાય છે. દરેક મંદિરની સ્થાપત્ય, ઇતિહાસને લઈને જુદી જુદી ઓળખાણ છે. આ 12 જ્યોતિર્લિંગ મંદિરના દરેક પેઇન્ટિંગની સાઈઝ 5.8x8.3 ઇંચ છે. એટલે કે A5સાઈઝની છે. આ 12 પેઇન્ટિંગ બનાવતા 20 દિવસનો સમય લાગ્યો હતો."-- અલ્પેશ ગુસાઈ (યુવા ચિત્રકાર)
મંદિરના સ્થાપત્યને કેનવાસ પર કંડાર્યા: અલ્પેશ ગુસાઈ બાળપણથી પેઇન્ટિંગનો શોખ ધરાવે છે. તો છેલ્લા 4 વર્ષથી પ્રોફેશનલ કક્ષાના વિવિધ પ્રકારના સ્કેચ તે બનાવી રહ્યા છે. ત્યારે હાલમાં તે એક સ્પેશિયલ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. જેમાં તેણે 12 જ્યોતિર્લિંગ મંદિરોના પેઇન્ટિંગ તૈયાર કર્યા છે. આ પેઇન્ટિંગ તેને મોનોક્રોમેટિક ટોન આર્ટ સ્વરૂપે તૈયાર કર્યા છે. આ પેઇન્ટિંગ 12 જ્યોતિર્લિંગ મંદિરોના પ્રાચીન સ્થાપત્યના છે. જે જોવામાં પણ અદભુત લાગી રહ્યા છે. આ પેઇન્ટિંગમાં ખુબ જ ઝીણવટપૂર્વક કામ કરવામાં આવ્યું છે.
12 જ્યોતિર્લિંગ મંદિરની આબેહૂબ પેઇન્ટિંગ: અલ્પેશે મોનોક્રોમેટિક ટોન આર્ટ સ્વરૂપે ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ, આંધ્રપ્રદેશના મલ્લિકાર્જુન, ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવ,મધ્યપ્રદેશના ઓમકારેશ્વર મહાદેવ, ઉતરાખંડના કેદારનાથ મહાદેવ, મહારાષ્ટ્ર ભીમાશંકર, ઉતરપ્રદેશના વિશ્વનાથ, મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર, ઝારખંડના વૈદ્યનાથ મહાદેવ, ગુજરાતના નાગેશ્વર મહાદેવ, તમિલનાડુના રામેશ્વરમ અને મહારાષ્ટ્રના ધૃષ્ણેશ્વર મહાદેવ મંદિરના સ્થાપત્યનું આબેહૂબ પેઇન્ટિંગ કર્યું છે.
પેઇન્ટિંગ સ્વરૂપે મહાદેવની સાધના: અલ્પેશ ગુસાઈએ જણાવ્યું કે, પેઇન્ટિંગ કરવું મારા માટે સાધના જેવું છે. તો હાલમાં આ ધ્યાન અને સાધનામાં 12 જ્યોતિર્લિંગ મહાદેવ મંદિરના પેઇન્ટિંગ બનાવ્યા છે. આ પેઇન્ટિંગ બનાવતા સમયે અલગ જ ભાવનાઓ આવે છે. આ પેઇન્ટિંગ કરતી વખતે તદ્દન જુદો જ અનુભવ થયો હતો. આવા મંદિરોના પેઇન્ટિંગ બનાવતા સમયે પણ દૈવી શક્તિઓનો અનુભવ પણ થાય છે. એમાં ખાસ કરીને મહાદેવના મંદિરનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. ત્યારે તેની દિવ્યતા કંઇક અલગ જ દેખાઈ આવતી હોય છે.