ધોળાવીરા : વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા ખાતે સિંધુ સંસ્કૃતિના અવશેષો ધરાવતા મ્યુઝિયમ તથા અન્ય રુમો કે જેમાં પ્રવાસીઓને જોવા મળે તે માટે સ્લાઇડ શો, લેઝર શો તથા સિંધુ સંસ્કૃતિના દર્શન કરાવતી શોર્ટ ફીલ્મ સહિતના ઉપકરણો ચાલે છે. એવામાં ધોળાવીરાના મ્યુઝિયમના પીજીવીસીએલના બાકી વીજ બિલની 46000થી વધુ રકમ બાકી રહેતા રાપર તાલુકાના બાલાસર પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું.
વર્લ્ડ હેરિટેજનું કપાયું વીજ કનેક્શન : યુનેસ્કો દ્વારા કચ્છના સિંધુ સંસ્કૃતિના વૈશ્વિક ધરોહર ધરાવતા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો અપાયો હતો. આ વર્લ્ડ હેરિટેજ ધોળાવીરામાં આવેલું મ્યુઝીયમ પાંચ દિવસ સુધી વીજળી વિહોણું રહેતા દેશવિદેશના અનેક પ્રવાસીઓને આ મ્યુઝિયમની મુલાકાત દરમિયાન હાલાકી ભોગવવી પડી હતી. વીજબિલની ભરપાઈ ન કરાતાં કનેક્શન કટ કરવામાં આવ્યું હતું.
46000નું બિલ બાકી : હાલમાં જ જી20ની પ્રવાસન સમીટનું અહીઁ આયોજન થયું હતું અને એ માટે લાખો રૂપિયાના ખર્ચે અહીં રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં ધોળાવીરાના મ્યુઝિયમનું 46,000 રૂપિયાના વીજબિલની ભરપાઈ ન થતાં બાલાસરના સબ ડિવિઝને વીજ કનેકશન કાપી નાખતાં વીજળી વિહોણું બન્યું હતું. રાજકોટ ખાતે આવેલ આર્કિયોલોજિકલ વિભાગની કચેરી આ વીજબિલની ભરપાઈ ન કરતાં આ સમસ્યા સર્જાઈ હતી.
પાંચ દિવસ બાદ વીજ પુરવઠો પૂર્વવત : આ સમગ્ર બાબત અંગે ETV Bharat સાથે ટેલીફોનીક વાતચીત કરતાં ધોળાવીરાના સરપંચ જિલુંભા સોઢાએ જણાવ્યું હતું કે, કોઈ પણ કચેરી હોય કે મ્યુઝીયમ હોય જે કોઈ પણનું વીજબિલ ચૂકવવાનું બાકી હોય તો અધિકારીઓ વીજ કનેક્શન કાપવાના જ હોય. રાજકોટ સ્થિત આર્કિયોલોજિકલ વિભાગની કચેરી આ વીજબિલની ભરપાઈ ન કરતાં આ સમસ્યા સર્જાઈ હતી. તો રાપરના સ્થાનિક ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને આ બાબતની જાણ થતાં પાંચ દિવસ બાદ ધોળાવીરા સાઇટનું કાપી દેવાયેલ વીજ કનેક્શન પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો G20 Summit in India: ધોળાવીરાને જોઈને વિદેશી ડેલિગેટ્સના મોઢા ખૂલ્લાંને ખૂલ્લાં જ રહી ગયા
હજી પણ સુવિધાઓથી વંચિત : ઉલ્લેખનીય છે કે પાટણના કોંગ્રેસી ધારાસભ્ય ડો. કિરીટ પટેલે આ બાબતે રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું લેખિતમાં પત્ર લખીને ધ્યાન દોરી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા અને પુન: આવી સ્થિતિ ન સર્જાય તેની તકેદારી રજૂઆત પણ કરી હતી. એક તરફ રાજય સરકાર અને કેન્દ્ર સરકાર ધોળાવીરામા આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ કરવામાં આવશે તો રેલ્વેથી ધોળાવીરાને જોડવામાં આવશે. દર વખતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અંદાજપત્રમા જાહેરાત પણ કરવામાં આવે છે પરંતુ હજુ સુધી વર્લ્ડ હેરિટેજ જાહેર કરવા સિવાય કોઈ ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં નથી આવી.