ETV Bharat / state

Navratri 2023: કચ્છની રાજાશાહી પરંપરા પ્રમાણે માતાના મઢ ખાતે 450 વર્ષથી થતી પત્રીવિધિ યોજાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 22, 2023, 1:16 PM IST

ક્ચ્છની કુળદેવી મા આશાપુરાના મઢ માતાના મંદિરે આજે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પત્રીવિધિ યોજવામાં આવી હતી. કચ્છના અંતિમ મહારાવ સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈ હનુવંતસિંહ જાડેજાએ માના ચરણોમાં ઝોળી ફેલાવી પત્રીવિધિનો પ્રસાદ મેળવ્યો હતો. ત્યારબાદ મહારાણી પ્રીતિદેવીના આદેશ અનુસાર તેરા ઠાકુર મયુરધ્વજસિંહ જાડેજાએ પણ પત્રીવિધિ કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

ક્ચ્છની કુળદેવી મા આશાપુરા
ક્ચ્છની કુળદેવી મા આશાપુરા

મા આશાપુરાના મઢ માતાના મંદિરે પત્રીવિધિ

કચ્છ: માતાના મઢ ખાતે આજે કચ્છની રાજાશાહી પરંપરા પ્રમાણે નવરાત્રિ દરમિયાન આઠમના દિવસે પત્રીવિધિ કરવામાં આવી હતી. 450 વર્ષથી થતી આ વિધિ આ વર્ષે પણ બે વખત યોજવામાં આવી હતી. સવારના કચ્છના અંતિમ રાજવી મહારાવ પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈ હનુવંતસિંહ જાડેજા દ્વારા પત્રીવિધિ કરવામાં આવી હતી. તો ત્યાર બાદ સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિદેવીના આદેશ અનુસાર તેમના પ્રતિનિધિ તરીકે તેરા ઠાકુર મયુરધ્વજસિંહ જાડેજાએ પત્રીનો પ્રસાદ ખોળામાં ઝીલીને આશીર્વાદ મેળવ્યા હતા.

પત્રીવિધિ કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા
પત્રીવિધિ કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા

કેવી રીતે થાય છે પત્રીવિધિ: દર વર્ષે આસો માસની નવરાત્રિના આઠમના રોજ રાજપરિવાર તરફથી અગાઉ મહારાવ સૂર્યોદય પહેલાં ચાચરકુંડ ખાતે નહાવા પધારે અને ત્યારબાદ ચાચરા ભવાનીના મંદિરમાં પૂજા કરતા હોય છે. ત્યારબાદ મા આશાપુરા માતાજીના મંદિરમાં માતાજીનો ભુવો પત્રી નામના છોડવાના પાંદડાનો ઝુમખો કરી માતાજીના જમણા ખભા ઉપર રાખે છે અને અન્ય જાગરીયાઓને બોલાવી ડાકો તથા ઝાંઝ વગાડવામાં આવે છે. મહારાવ પોતાની પછેડીનો ખોળો પાથરી પત્રી મેળવવા માતાજીને પ્રાર્થના કરે છે, અને જ્યાં સુધી પત્રી મહારાવના ખોળામાં નથી પડતી ત્યાં સુધી સતત ઊભા રહી પ્રાર્થના કરે છે.

માતાજીના લીધા આર્શીવાદ: આ વર્ષે રાજવી પરિવારનાં હનુવંતસિંહ જાડેજા ચાચારાકુંડથી ચામર લઈને માતાજીના આશીર્વાદ લેવા માટે આશાપુરા મંદિરે પહોંચ્યા હતા. નિજમંદિરમાં માતાજીના ધૂપ દીપ પછી કચ્છના વિકાસ, ઉન્નતિ માટે માતાજી પાસે ખોળો પાથરીને વિંનતી કરી હતી. ત્યારે માતાજીના મસ્તક પરથી પત્રી તે આશીર્વાદરૂપે ખોળામાં અથવા ખેસમાં આવે છે અને એ આશીર્વાદ લેખાય છે. આવી પરંપરા રાજાશાહીનાં સમયથી ચાલી આવે છે.

" પાંચમના દિવસે ટિલામેડી ખાતે ચામર પૂજા કરીને સાતમના દિવસે માતાના મઢ ખાતે આવે છે અને આઠમના દિવસે ચામર યાત્રા નીકળીને માતાજી પાસે પત્રીવિધિની પૂજા કરવામાં આવે છે તેમજ માતાના ચરણોમાં ચામર મૂકવામાં આવે છે અને કચ્છ અને કચ્છી વાસીઓ માટે તેમની શાંતિ, સમૃધ્ધિ અને સુખાકારી માટે આ વિધિ કરવામાં આવે છે અને માં આશાપુરા બધાની રક્ષા કરે તેના માટે પૂજા કરવામાં આવે છે.જેના ફળ સ્વરૂપે માં પતરી આપીને આશીર્વાદ આપે છે. દરેક કચ્છી ભાઈ બહેન વતી આ પૂજા રાજવી પરિવાર દ્વારા કરવામાં આવી છે." - મયુરધ્વજસિંહ

સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈ હનુવંતસિંહ જાડેજા
સ્વ. મહારાવ પ્રાગમલજી ત્રીજાના નાના ભાઈ હનુવંતસિંહ જાડેજા

"રાજ પરિવાર દ્વારા ચાલી આવતી સેંકડો વર્ષોની પરંપરા આજે તેમના દ્વારા નિભાવવામાં આવી છે. મા આશાપુરાના આશીર્વાદથી સારી પત્રી મળી છે, માતા પાસે કચ્છની પ્રજાની સુખાકારી અને સદ્બુદ્ધિ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે. હનુવંતસિંહ જાડેજા તેમના દીકરા પ્રતાપસિંહ જાડેજા અને 2 પૌત્ર મેઘદીપ સિંહ જાડેજા અને મહિદીપસિંહ જાડેજા એમ 3 પેઢી મળીને આજે આ વિધિ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં તેમને પણ આ વિધિ કંઈ રીતે કરાય તેની જાણ રહે." - હનુવંતસિંહ જાડેજા,રાજ પરિવાર સભ્ય

લાખો લોકોએ આ ઐતિહાસિક વિધિને લાઈવ નિહાળી માના પરચાના દર્શન કર્યા
લાખો લોકોએ આ ઐતિહાસિક વિધિને લાઈવ નિહાળી માના પરચાના દર્શન કર્યા

કચ્છીઓ માટે મહત્વનો દિવસ: સમગ્ર કચ્છ અને જિલ્લા બહાર વસતા લાખો લોકોએ આ ઐતિહાસિક વિધિને લાઈવ નિહાળી માના પરચાના દર્શન કર્યા હતા. આ વિધિ દરમિયાન રાજ પરિવારના સભ્યો, નલિયાના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, દેવપરના ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા તેમજ રાજ પરિવારના સભ્યો અને માતાના મઢ જાગીરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. માતાના મઢમાં પત્રીવિધિ બાદ ભુજના આશાપુરા મંદિરે પણ પત્રીવિધિ યોજવામાં આવી હતી. આજનો દિવસ સમગ્ર કચ્છ અને કચ્છીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ અને પવિત્ર દિવસ ગણાય છે.

  1. Navratri 2023: નજર ચૂકશો તો ગૂંચવાઈ જશો, જાણો નવસારીમાં રમાતા દોરી રાસ વિશે...
  2. Navratri 2023: પાટણમાં પરંપરાગત મા લિંબચની નવખંડની પલ્લી ભરાઈ... ભક્તો થયાં ભાવવિભોર..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.