ETV Bharat / state

ભુજમાં આવેલા 473 વર્ષ જૂના મા આશાપુરાના મંદિર સાથે જોડાયેલી છે ભક્તોની અનેરી શ્રદ્ધા

author img

By

Published : Oct 9, 2021, 3:05 PM IST

Updated : Oct 9, 2021, 8:56 PM IST

નવરાત્રી (Navratri)ના 9 દિવસ દરમિયાન ભક્તો પગે ચાલીને માતા (Maa Ashapura)ના દર્શન કરવા આવતા હોય છે, પરંતુ દરેક માઈ ભક્તો ભુજથી 100 કિલોમીટરનું અંતર પગપાળા કાપી શકતા નથી ત્યારે તેઓ પોતાના ઘરેથી ચાલીને ભુજમાં આવેલા મા આશાપુરાના દર્શનાર્થે આવતા હોય છે.

ભુજમાં આવેલા 473 વર્ષ જૂના મા આશાપુરાના મંદિર સાથે જોડાયેલી છે ભક્તોની અનેરી શ્રદ્ધા
ભુજમાં આવેલા 473 વર્ષ જૂના મા આશાપુરાના મંદિર સાથે જોડાયેલી છે ભક્તોની અનેરી શ્રદ્ધા

  • નવરાત્રીમાં મા આશાપુરાના દર્શન માટે ભક્તો કરે છે પદયાત્રા
  • માતાનામઢે ન પહોંચી શકતા હોય તે ભક્તો ભુજમાં આવેલા મંદિરે કરે છે આરાધના
  • અનેક ભક્તો વર્ષોથી આવે છે મા આશાપુરાના દર્શને

ભુજ: નવરાત્રી (Navratri)ના નવલાં નોરતા ચાલું છે ત્યારે માઈ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે તથા મા આશાપુરા (Maa Ashapura)ને રીઝવવા માટે ભક્તો જુદી જુદી રીતે પૂજા-અર્ચના કરતા હોય છે. દેશના ખૂણે ખૂણેથી માઈ ભક્તો કચ્છના કુળદેવી મા આશાપુરાના દર્શન કરવા માટે પદયાત્રા કરતા હોય છે. અમુક લોકો જે માતાના મઢે ચાલીને ન જઈ શકતા હોય તે ભુજમાં આવેલા મા આશાપુરાના મંદિરે (Maa Ashapura Temple) સવાર-સાંજ દર્શન કરવા માટે પોતાના ઘરેથી પગે ચાલીને જતાં હોય છે.

દૂર દૂરથી દર્શન કરવા આવે છે લોકો

વર્ષોથી માઈ ભક્તો પદયાત્રા કરીને આશાપુરા માના દર્શન કરવા લાંબી મુસાફરી કરતાં હોય છે. 50 કિલોમીટરથી લઈને 400 કિલોમીટર જેટલી પદયાત્રા માઈ ભક્તો કરતા હોય છે. મુંબઈથી સાયકલ યાત્રા કરીને પણ માઈ ભક્તો માના દર્શન કરવા આવતા હોય છે. તો દેશના અન્ય રાજ્યોમાંથી લોકો બસ, ટ્રેન કે ખાનગી વાહનોમાં મુસાફરી કરી કચ્છ જિલ્લાના ભુજ ખાતે આવતા હોય છે અને અહીં ભુજમાં આવેલા આશાપુરા માના મંદિરે માથું ટેકવીને માતાના મઢ ખાતે દર્શન કરવા માટે પદયાત્રા કરતા હોય છે.

ભુજમાં આવેલા 473 વર્ષ જૂના મા આશાપુરાના મંદિર સાથે જોડાયેલી છે ભક્તોની અનેરી શ્રદ્ધા

473 વર્ષ જૂનું છે મા આશાપુરાનું આ મંદિર

નવરાત્રીના આ 9 દિવસો દરમિયાન ભક્તો પગે ચાલીને માતાના દર્શન કરવા આવતા હોય છે, પરંતુ દરેક માઈ ભક્તો ભુજથી 100 કિલોમીટરની દૂરી પગપાળા કાપી શકતા નથી ત્યારે નગરજનો પોતાના ઘરેથી ચાલીને ભુજના મા આશાપુરાના દર્શનાર્થે આવતા હોય છે. ભક્તો પોતાના ઘરેથી 5-10-15 કિલોમીટર જેટલું અંતર કાપીને પગે દર્શન કરવા વર્ષોથી અહીં આવે છે. આશાપુરા માનું આ મંદિર 473 વર્ષો જૂનું છે. અમુક માઈ ભક્તો દરરોજ તો અમુક ભક્તો દર મંગળવારે તથા નવરાત્રીના 9 દિવસો દરમિયાન પગે ચાલીને માતાની આરાધના કરતા હોય છે.

માતાના મઢ ના જઇ શકે તેમના માટે બનાવવામાં આવ્યું આ મંદિર

આ મંદિર ભુજ શહેરની સ્થાપના સાથે સંકળાયેલું છે, જે કચ્છના રાજા ખેંગારજી પહેલાએ 473 વર્ષ પહેલા ભુજ શહેર રચાયું ત્યારે આ મંદિરની સ્થાપના કરી હતી. મૂળ માતાના મઢ મંદિરમાં જે સ્થાપત્ય છે અને માતાજીની સ્થાપના થયેલી છે, ત્યાં દર ચંદ્રના મહારાવ માતાના મઢ જતા હતા પરંતુ ત્યાં સુધી ન જઈ શકે એવા લોકોને ધ્યાનમાં લઇને આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

50 કિલોમીટરથી લઈને 400 કિલોમીટર જેટલી પદયાત્રા કરીને દર્શનાર્થે આવે છે ભક્તો
50 કિલોમીટરથી લઈને 400 કિલોમીટર જેટલી પદયાત્રા કરીને દર્શનાર્થે આવે છે ભક્તો

મંદિરમાં 4 નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે

આ મંદિરની અંદર કુલ 4 નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં મહા મહિનાની નવરાત્રી, ચૈત્ર મહિનાની નવરાત્રી, અષાઢ મહિનાની નવરાત્રી અને આસો મહિનાની નવરાત્રીનો સમાવેશ થાય છે, જેમાં ચૈત્ર મહિનાની નવરાત્રી અને આસો મહિનાની નવરાત્રિમાં ઘટસ્થાપન થાય છે. તેમજ નવરાત્રી નિમિત્તે હવન દર્શન પણ યોજાય છે. લોકોની મા આશાપુરા અને આ મંદિર પ્રત્યે અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. નવરાત્રી દરમિયાન આ મંદિરે હજારોની સંખ્યામાં માઇ ભકતો માતાજીની આરાધના કરવા માટે અહીં આવે છે. ભક્તોના મનમાં કંઈપણ હોય, કોઈ તકલીફ કે મુશ્કેલી હોય તો માતા પાસે રજૂઆત કરતા હોય છે, ત્યારે માતાજી તેમની આશા ચોક્કસ પૂર્ણ કરે છે. તથા જે લોકોએ માનતા માનેલી હોય તેમની પણ આશા મા આશાપુરા પૂર્ણ કરે છે.

મંદિરના મુખ્ય પૂજારી સાથે વાતચીત

આમ આ સુપ્રસિદ્ધ મંદિરે મા આશાપુરા તેમની ઇચ્છાઓ પૂર્ણ કરશે જ એવા ભાવ સાથે સૌ કોઈ અબાલ-વૃદ્ધ નર અને નારી મનોવાંછિત ફળ પામવા પોતાની શ્રદ્ધાથી પોતાની જીવન નૈયા પાર ઉતારવા મંદિરે દર્શન કરવા આવે છે. મુખ્ય પૂજારી જનાર્દન દવેએ જણાવ્યું કે, ઘટ સ્થાપન થયું અને નવરાત્રીનો પ્રારંભ થયો. નવરાત્રીની અંદર દરેક ભક્તો પોતાની ભક્તિ, શ્રદ્ધા અને ઇચ્છા મુજબ અનુષ્ઠાન, જાપ, માળા, ધ્યાન પોતાની રીતે કરતા હોય છે અને પોતાના ઘરે ગરબો રાખીને માતાજીની આરાધના કરતા હોય છે. હાલમાં કોરોના હળવો થયો છે ત્યારે લોકો તેનો લાભ લઈને માતાના મઢ પગપાળા ભલે ન જઈ શકે તો ભુજના આશાપુરા મંદિર ખાતે પગે આવવું અને માતાજીને શીશ નમાવવું એવી ભાવના રહેલી છે.

માતાના મઢ ન જઈ શકે એવા લોકોને ધ્યાનમાં લઇને આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી
માતાના મઢ ન જઈ શકે એવા લોકોને ધ્યાનમાં લઇને આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી

દર્શન કરવા આવીએ એટલે મનને શાંતિ થાય છે: દર્શનાર્થી

દર્શનાર્થી ખુશ્બુ ઠક્કર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, હું છેલ્લાં 25 વર્ષથી નવરાત્રીમાં મંદિરે આવું છું. આમ તો દરરોજ આવવાનું થાય છે, પરંતુ જ્યારે આસો અને ચૈત્રી નવરાત્રી હોય ત્યારે બંને સમયે આવું છું. સાંજે અહીં મંદિરમાં છંદ ગવાય છે ત્યારે અમે અહીં ગરબા પણ લઈએ છીએ. નવરાત્રીના સમયમાં અહીં દર્શન કરવા આવીએ એટલે મનમાં શાંતિ થઈ જાય છે.

30-35 વર્ષથી અહીં નિયમિત દર્શન કરવા આવું છું

તો અન્ય દર્શનાર્થી શૈલેષ ત્રિવેદીએ જણાવ્યું કે, 30-35 વર્ષથી નિયમિત રીતે સવાર-સાંજ દર્શન કરવા આવું છું. આરતી દરમિયાન અનેરો ભક્તિનો માહોલ જોવા મળે છે. મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. ઘણાં શ્રધ્ધાળુઓ ત્યાં માતાના મઢ પગપાળા નથી પહોંચી શકતા, ત્યારે અહીં પગે આવીને પોતાની માનતાઓ પૂરી કરે છે અને શ્રદ્ધાપૂર્વક નમન કરે છે. તો દર્શનાર્થી ફાલ્ગુની જોષી જણાવે છે કે, માતાના મઢ તો પગે ના પહોંચી શકીએ, પરંતુ અહીં છેલ્લાં 18 વર્ષથી નવરાત્રીમાં સવાર - સાંજ પગે ચાલીને માતાજીના દર્શન કરવા માટે આવીએ છીએ. માતાજી પ્રત્યે અનેરી શ્રધ્ધા રહેલી છે. માતાજી પાસે માંગીએ એ ઓછું જ છે અને માતાજી દરેક મનોકામના પૂર્ણ કરે છે.

આ પણ વાંચો: ભુજમાં નવરાત્રિની ઉજવણી માટે 72 જેટલા ગરબી મંડળોને અપાઈ મંજૂરી

આ પણ વાંચો: પાટણના નગરદેવી કાલિકા માતાના મંદિરમાં નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો

Last Updated :Oct 9, 2021, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.