ETV Bharat / state

Jamnagar News : જિલ્લાના 11 ટાપુમાં પ્રવેશ પર પ્રતિબંધ, જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તંત્રનો નિર્ણય

author img

By

Published : Aug 5, 2023, 4:47 PM IST

જામનગર જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ વિસ્તાર છે. જામનગર જિલ્લામાં કુલ 11 ટાપુઓ આવેલા છે. ત્યારે જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના મુજબ જિલ્લાના વિવિધ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સહેલાઈથી આશ્રય મેળવતા હોય છે.

Jamnagar News
Jamnagar News

જિલ્લાના 11 ટાપુમાં પ્રવેશ પર પ્રતિબંધ, જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તંત્રનો નિર્ણય

જામનગર : ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ જામનગર અતિ સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુ આવેલા છે. જે પૈકી માત્ર પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલ છે. જ્યારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યા હોવાથી ત્યાં અવારનવાર ધાર્મિક પ્રસંગ અને દર્શનાર્થે માણસો અવર જવર કરે છે. આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સહેલાઈથી આશ્રય મેળવે છે. ઉપરાંત તેઓ હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ટાપુનો ઉપયોગ કરે તેવી પૂરી શક્યતા છે.

મહત્વપૂર્ણ નિર્ણય : રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એન. ખેર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973 ની કલમ ૧૪૪ અન્વયે સમગ્ર જામનગર જિલ્લાના 11 ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જામનગર જિલ્લો સંવેદનશીલ જિલ્લો છે. અહીં દરિયાઈ માર્ગે અનેક વખત ડ્રગ્સ અને દાણચોરીની ઘટનાઓ અગાઉ બની ચૂકી છે. એટલે જિલ્લાના તમામ ટાપુઓ પર લોકોની આવનજાવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, અમુક ટાપુઓમાં માનવ વસવાટ કરે છે. દેશ વિરોધી પ્રવૃત્તિ થતી હોવાની શંકા હોવાના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે.-- બી. એન. શાહ (જિલ્લા કલેકટર, જામનગર)

તંત્રનું જાહેરનામું : પ્રવાસીઓને પિરોટન ટાપુ પર જ્યારે જવા-આવવાનું થાય ત્યારે જામનગર મરીન નેશનલ પાર્કના નાયબ વન સંરક્ષકની પૂર્વ મંજૂરી મેળવી લેવાની રહેશે જેવું જણાવવામાં આવ્યું છે. તંત્રના જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા 1860 ના 45 માં અધિનિયમની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું આગામી 3 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.

પ્રતિબંધિત ટાપુ : જામનગર જિલ્લામાં પ્રવેશ માટે પ્રતિબંધિત કરવામાં આવેલા ટાપુઓની વિગત પણ જાહેર કરવામાં આવી છે. જેમાં ખારા બેરાજા ગામ નજીકના ભેંસબીડ ટાપુ, સરમત ગામ નજીકના દંડીકા ટાપુ અને મુંડીકા ટાપુ, બેડી ગામ નજીકના ઝિન્દ્રા ટાપુ, પિરોટન ટાપુ, અમુડી બેલા ટાપુ, બડા બેલા ટાપુ, કોદરા બેડ ટાપુ, જુના બેલા ટાપુ, અનનોન A ટાપુ અને અનનોન B ટાપુ સામેલ છે. આ તમામ ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.

  1. Raid in Gujarat Jail : જામનગર જિલ્લા જેલમાં દરોડા, પ્રેમસુખ ડેલુની ટીમે 400 કેદીનું ચેકિંગ કરતાં શું મળ્યું?
  2. Piroton Island Restart: જામનગરમાં 4 વર્ષ બાદ પર્યટકો માટે ખૂલ્યો પિરોટન ટાપુ, અહીંનો અદભૂત નજારો જોયો કે નહીં...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.