ETV Bharat / state

વ્યાજખોરો સામે પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 7 દિવસમાં 316ની ધરપકડ

author img

By

Published : Jan 13, 2023, 3:55 PM IST

રાજ્યભરમાં પોલીસે વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ (Gujarat Police Special Drive against Usurers) કરી છે. તેના કારણે હવે વ્યાજખોરોની શાન ઠેકાણે આવી ગઈ છે. 5 જાન્યુઆરીએ શરૂ થયેલી આ ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધીમાં 316 વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ વ્યાજખોરોના ચુંગાલમાંથી છૂટીને લોકો કેવું (Lok Darbar held in all over state) અનુભવી રહ્યા છે. તેમ જ પોલીસ હવે અન્ય કઈ કાર્યવાહી કરશે તે અંગે જોઈએ આ અહેવાલ.

વ્યાજખોરો સામે પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 7 દિવસમાં 316ની ધરપકડ
વ્યાજખોરો સામે પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 7 દિવસમાં 316ની ધરપકડ

ગાંધીનગર રાજ્યભરમાં ખોટી રીતે વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પોલીસે હવે કામગીરી શરૂ કરી છે. રાજ્યભરમાં પોલીસે આ માટે વિશેષ ડ્રાઈવ પણ શરૂ કરી છે. તે અંતર્ગત ગુજરાત પોલીસે 7 દિવસમાંકુલ 762 જેટલા ગુનાઓ નોંધીને 316 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી છે. જ્યારે વ્યાજખોરો સામે 464 FIR નોંધવામાં આવી છે. 5મી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં ગૃહ વિભાગે 939 લોકદરબાર યોજ્યા છે.

આ પણ વાંચો Navsari Police Actions Against Usurer : વિજલપોર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન આવ્યાં સકંજામાં

લોકદરબાર યોજી કડક કાર્યવાહી શરૂ રાજ્યમાં લોકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી છોડાવવા પોલીસે મેગા ડ્રાઈવ શરૂ કરી છે. તે અંતર્ગત જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ લોક દરબાર યોજી રહ્યા છે. સાથે જ તપાસ કરી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ખોટો કેસ થાય ન થાય તે બાબતે સૂચના કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થાય તેની ખાસ તકેદારી સાથે કાર્યવાહી કરવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને સૂચના આપી છે. 5મી જાન્યુઆરીથી શરૂ કરાયેલી આ મેગા ડ્રાઇવ અંતર્ગત ઠેરઠેર યોજાતા લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. આ લોક દરબારમાં ગૃહ વિભાગના અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી અને તેઓ લોકોની વચ્ચે ગયાને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે.

ડાયમંડ સિટી સુરતમાં વ્યાજખોરો પર સામૂહિક તવાઈ રાજ્યના ડાયમંડ સિટી કહેવાતા સુરતમાં પણ મોટા પાયે વ્યાજખોરો સક્રિય બન્યા હતાં. જોકે, રાજ્ય સરકારની આ કડક કાર્યવાહીની સીધી અસરથી વ્યાજખોરો પર અંકુશ આવી ગયો છે. સુરતમાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે રૂપિયાનું ધીરાણ કરનારા અને પછી મિલકતો પડાવી લેવાના અનેક કિસ્સામાં પોલીસની કડક કાર્યવાહીથી નાગરીકોને રાહત મળી છે. સુરતનાં નયનાબેન નાથાભાઈ વીરાણીને 8 લાખ રૂપિયાના ધીરાણ સામે મકાન પડાવી લેનારા વ્યાજખોરને પોલીસે સકંજામાં લીધો હતો. આ વ્યાજખોરે મકાન જોઈતું હોય તો 80 લાખ રૂપિયાની માગ કરી હતી. તેના કારણે ધીરાણ આપનારાએ મકાનનો દસ્તાવેજ મૂળ માલિકને પરત કરી દઈ માંડવાળી કરી હતી.

બલ્ડ કેન્સરની સારવારમાં પૈસા વ્યાજે લીધા, ફ્લેટ પચાવી પાડ્યો સુરત સિટીમાં ચંપાબેન અજુડિયા નામના અરજદારે બ્લડ કેન્સરની સારવાર માટે લીધેલાં 5 લાખની વસૂલાત કરવા વ્યાજખોરે 15 લાખની કિંમતનો ફ્લેટ પડાવી લીધો હતો. જોકે, સુરત ક્રાઈમ બ્રાન્ચે અરજદારને ત્વરિત કાર્યવાહીમાં 15 લાખનો ફ્લેટ પરત અપાવ્યો છે. બીજી તરફ સુરતના પરમેશ્વર પરમારે 2.60 લાખનું ધીરાણ 2 વ્યાજખોર પાસેથી મેળવ્યું હતું. તેની સામે 10 લાખની વસૂલાત કર્યાં છતાં પણ આરોપીએ 45 લાખના મકાનના દસ્તાવેજ લઈ લીધાં હતાં. પોલીસે અરજદારને 45 લાખના દસ્તાવેજ પરત કરાવ્યાં છે.

પોલીસે ફરિયાદીને કરાવ્યા મુક્ત સુરતના વધુ એક કિસ્સામાં ફરિયાદી સુધીર ગોયાણી પાસેથી 25 લાખ રોકડ અને 3 દુકાનોના ઓવર વેલ્યુએશન તેમ જ ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત 6 કરોડનો હિસાબ 2 આરોપીઓએ કાઢ્યો હતો. ફરિયાદીએ આ કિસ્સામાં 45 લાખ ચૂકવી દીધાં હોવા છતાં 3.57 કરોડની કુલ ઉઘરાણી ગણાવી વધુ 3.12 કરોડ માગ્યા હતા. પોલીસે 3.12 કરોડ રૂપિયાની આ ઉઘરાણીમાંથી ફરિયાદીને મુક્ત કરાવ્યાં છે.

વડોદરામાં પણ પોલીસે વ્યાજખોરોની શાન ઠેકાણે લાવી વડોદરાના કલ્પેશ ગોહીલને વર્ષ 2018માં લીધેલાં 6 લાખના બદલામાં 20 લાખની માગણી નાણાં ધીરનારે કરી હતી. તેમાં બંને પક્ષને બોલાવી સમાધાન કરાવી અરજદારને રાહત અપાવી છે. એ જ પ્રમાણે અશ્વિન પટેલે સંજયભાઈ પરમારને 80,000 રૂપિયામાં ભેંસ વેચાતી આપી હતી. ત્યારબાદ નાણાં ચૂકવવામાં ન આવતાં અરજદારની સામે જ સમાધાન કરાવી ભેંસ પરત આપવાની બાહેંધરી લેવડાવી હતી. ઉપરાંત વડોદરામાં નાણાં ધીરધાર કર્યાં બાદ ઊંચા વ્યાજે મોટી રકમ પડાવવાના આરોપસર 2 વ્યાજખોરો પ્રણવ ત્રિવેદી અને ગૌરાંગ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે. તેમને પાસા અંતર્ગત રાજકોટ અને ભૂજની જેલમાં મોકલી આપવામાં આવ્યાં છે.

આ પણ વાંચો Vadodara Police Campaign Against Usurers : વ્યાજખોરે મૂડીના બદલે પત્નીને સોંપી દેવાની માગ કરી

પોલીસ મદદ નહીં કરે તો આત્મહત્યાનો વિચાર આવ્યો હતો અમરોલીના વિનોદ જેઠવાની આપવિતી તેમના જ શબ્દોમાં જાણીએ તો ખ્યાલ આવશે કે, લોકોને કેવી કેવી પીડાનો સામનો કરવો પડે છે અને પોલીસ કેવી રીતે દેવદૂત સાબિત થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે, એ દિવસે મેં નક્કી કરી લીધેલું કે, હું અગાશીએથી કૂદી જઈશ અને ક્યાં તો ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લઇશ. મારી અંદર એક અજીબ પ્રકારની બેચેની થઇ રહી હતી. શરીર પર ફરી વળેલો પરસેવો આંખોમાંથી આંસુઓ રૂપે વહી રહ્યો હતો. હું સ્તબ્ધ થઇ ગયો હતો. 5 લાખ રૂપિયાની સામે મેં મારું મકાન તો લખી જ આપ્યું હતું. 11 લાખ 68 હજાર ચૂકવી ચૂક્યો હતો અને છતાં પેલો માણસ મહિને 15 હજાર માગી રહ્યો હતો. 5 લાખ સામે ડબલ પૈસા ચૂકવી દીધા હોવા છતાં પેલા માણસનો લોભ સમાતો ન્હોતો અને મારું ભલું થાય એવા કોઈ સંજોગો મને દેખાઇ રહ્યું નહતું. પોલીસ મદદ નહીં કરે તો છેલ્લો ઉપાય આત્મહત્યા કરવાનું નક્કી હતું.

પોલીસે પરિવારને વિખેરાતો બચાવ્યો તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે મેં અમરોલી પોલીસને વાત કરી. બધી હકીકતો તપાસી એમણે મારા ખભે હાથ મૂક્યો. કહ્યું, ‘આત્મહત્યાનો વિચાર પણ ન કરતા અમે તમારી સાથે છીએ!’ મારી આંખો ભીની થઇ ગઈ. હું ધ્રૂસકે ને ધ્રુસકે રડી પડ્યો. પોલીસે તાત્કાલિક જગદીશ ગોધામ સામે ફરિયાદ દાખલ કરી એની ધરપકડ કરી. જગદીશ ગોધામની ધરપકડ થઈ એ પળ મારા જીવનની ખાસ પળ હતી. મેં આંખો બંધ કરી અને મારા પરિવારનો ચહેરો હસતો દેખાયો. પોલીસે મને જગદીશ ગોધામનાં વ્યાજનાં ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો. એમણે મારા પરિવારને વિખાતું બચાવી લીધું. હવે કોર્ટની મદદથી મને મારા ફ્લેટની ફાઇલ પાછી મળી જશે. વ્યાજના ચુંગાલમાંથી હું બચી ગયો-મારું પરિવાર બચી ગયું. જ્યારે મારી પાસે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ બાકી નહતો રહ્યો ત્યારે સુરત શહેર પોલીસ મિત્ર બનીને મારી પડખે રહી.

ધંધા માટે પૈસા લીધા પણ ધંધો ન ચાલ્યો ''જરૂરિયાત તમારી પાસે કંઈ પણ કરાવી શકે, પરંતુ વ્યાજનાં ખપ્પરમાં હોમાયા પછી હું એટલું ચોક્કસ સમજી શક્યો છું કે, ટૂંકાગાળાનો લાભ જોઈ જીવનમાં ક્યારેય પણ ટૂંકા રસ્તા અપનાવવા નહીં…! વર્ષ 2019માં મારી (નરપતરામ) મુલાકાત અજય સોલંકી સાથે થઈ. અમારી સામાન્ય મુલાકાત દોસ્તીમાં પરિણમી. એ સમયે મને ગ્રેનાઇટ ટ્રેડિંગનાં બિઝનેસ માટે પૈસાની જરૂર હતી. મેં આ વાત અજય સોલંકી સાથે શેર કરી અને એમણે મને 16 લાખ રૂપિયા 6 ટકા વ્યાજના માસિક દરે આપવાની તૈયારી બતાવી. મારે બેન્કની લોનના ચક્કરમાં પડવું ન્હોતું એટલે મિત્ર પાસેથી વ્યાજે પૈસા લેવાનું સહેલું લાગ્યું. એ વખતે અજય સોલંકી દેવદૂત જેવા લાગ્યા હતા. મને હતું કે, મારો બિઝનેસ ચાલી નીકળશે અને હું ધીમેધીમે વ્યાજ સાથે મુદ્દલ પણ પાછી આપી દઈશ, પરંતુ તમે ઈચ્છો એવું બધું જ હંમેશા થતું નથી. મારો બિઝનેસ ન ચાલ્યો. વાયદા પ્રમાણે હું અજય સોલંકીને વ્યાજ અને મુદ્દલ આપી ન શક્યો.

હવે મને પઠાણી ઉઘરાણીનો ડર નથીઃ ફરિયાદી જોકે, માંડ માંડ 2 છેડા ભેગા કરી મેં 13 લાખ રૂપિયા તો પરત કરી દીધા હતા. હવે મારે 3 લાખ રૂપિયા આપવાના બાકી હતા, પરંતુ અજય સોલંકી વ્યાજ છોડવા તૈયાર નહતા અને 3 લાખ સામે એ 7,50,000 રૂપિયા પાછા માંગી રહ્યા હતા. મેં હિંમતભેર પોલીસને આખી હકીકત જણાવી. એમણે મને ધરપત આપી અને તપાસ ચાલુ કરી. ગણતરીનાં કલાકોમાં એમણે અજય સોલંકી પાસેથી સાડા ત્રણ લાખનાં ચેક પણ પરત લઇ લીધા. હવે મને અજય સોલંકીની પઠાણી ઉઘરાણીનો ડર નથી. સુરત શહેર પોલીસનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.