ETV Bharat / state

CM Patel 100 Days : મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના 100 દિવસ પુર્ણ, જૂઓ વિકાસનું ગ્રોથ એન્જિન કેવું રહ્યું

author img

By

Published : Mar 29, 2023, 8:47 PM IST

CM Patel 100 Days : મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના 100 દિવસ પુર્ણ, જૂઓ વિકાસનું ગ્રોથ એન્જિન કેવું રહ્યું
CM Patel 100 Days : મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના 100 દિવસ પુર્ણ, જૂઓ વિકાસનું ગ્રોથ એન્જિન કેવું રહ્યું

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના આજે 100 દિવસ પુર્ણ થયા છે. તે અવસરે ગાંધીનગર ખાતે સરકારના 100ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં આ 100 દિવસ દરમિયાન ક્યાં ક્યાં કામો કરવામાં આવ્યા જાણો વિગતવાર.

ગાંધીનગર : રાજ્યના 18માં મુખ્યપ્રધાન તરીકે 12મી ડિસેમ્બર 2022ના રોજ ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની મુખ્યપ્રધાન તરીકે આ સતત બીજી ટર્મ છે. ગત ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જંગી બહુમતી મેળવીને રેકોર્ડ 156 બેઠક જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે આજરોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે. ત્યારે ગાંધીનગર ખાતે ભૂપેન્દ્ર પટેલની સરકારના 100ની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ અવસરે CM એ શું કહ્યું : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના પ્રથમ 100 દિવસ પૂર્ણ થવા અવસરે સાથ-સહકાર અને સેવાના 100 દિવસ ઉજવણી પ્રસંગે જણાવ્યું કે, નાનામાં નાના માનવીને પણ આ ગુજરાત મેં બનાવ્યું છેની અનૂભુતિ સાથે વિકાસની મુખ્ય ધારામાં લાવ્યા છીએ. વિકાસનો સંવાહક-સાથીદાર અને સહભાગી બનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપ અને દિશાદર્શનમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમાં સૌના સાથ, સહકાર અને પ્રજાની સેવા ભાવના નિહિત છે.

વિકાસ પથ પર અડગ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે ટીમ ગુજરાતના પ્રજાવર્ગોને જે વચનો આપેલાં તે મક્કમતાથી પાળી બતાવ્યા છે. જન જન સુધી વિકાસ પહોંચાડ્યો છે. વચન પાળ્યા છે, પાળીશું ગુજરાતનું માન-સન્માન વધારીશું. વડાપ્રધાનએ કંડારેલા વિકાસ પથ પર અડગ નિર્ણય કર્યાથી આપણે આગળ વધ્યા છીએ. પ્રજાએ બે દાયકાના વિકાસમાં વિશ્વાસ-ભરોસો મુકીને અને વડાપ્રધાન મોદીના નેતૃત્વના સમર્થનથી આ વર્ષ ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન આપ્યું છે. તેનો આ તકે તેમણે ઋણ સ્વીકાર કર્યો હતો.

શું શું કામ કર્યું : મુખ્યપ્રધાન ઉમેર્યુ કે, સમાજના છેવાડાના માનવી અંતિમ છૌરના વ્યક્તિની ચિંતા કરીને આપણે બહુ આયામી વિકાસ આયોજન પાર પાડયા છે. એટલું જ નહિ, પ્રજાહિતમાં કડક નિર્ણયો પણ લીધા છે. ભરતી પરીક્ષામાં ગેરરીતિ આચરનારા અને પેપર લીક કરનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહિનું વિધેયક, યાત્રાધામોમાં ગેરકાયદેસરના દબાણો દૂર કર્યા છે. તેમજ દરિયાઇ સુરક્ષા સુદ્રઢ કરી છે અને માદક દ્રવ્યો સામે ઝીરો ટોલરન્સથી પેશ આવી ડ્રગ્સ વિરોધી ઝૂંબેશ પણ સફળતાથી આદરી છે. વ્યાજખોરીના દૂષણથી નાના-ગરીબ લોકોને મુક્તિ અપાવવા રાજ્યમાં 4 હજાર લોકદરબાર યોજ્યા છે. પીએમ સ્વનિધિ અન્વયે 250 કરોડથી વધુની રકમ લોન તરીકે આપી આવા જરૂરતમંદ લોકોને આત્મનિર્ભર બનાવ્યા છે.

90 હજાર કરોડના એમ.ઓ.યુ : મુખ્યપ્રધાન જણાવ્યું હતું કે, આરોગ્ય, શિક્ષણ અને સલામતી જેવા પાયાના ક્ષેત્રોમાં લોકહિત કામો સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 30 હજાર આવાસો, શ્રમિકોના વેતનમાં 25 ટકાનો વધારો, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદાનો વધુ પાંચ લાખ લોકોને લાભ જેવા ગરીબ કલ્યાણલક્ષી નિર્ણયોથી આ સરકારે જે કહેવું તે કરવું ની નેમ સાકાર કરી છે. ગુજરાતને ડબલ એન્જિન સરકારના બેવડા વિકાસની નવી ગતિ મળી છે. 100 દિવસમાં 90 હજાર કરોડ રૂપિયાના ઔદ્યોગિક રોકાણો માટેના એમ.ઓ.યુ થયા છે. તેમજ ગ્રીન ગ્રોથને વેગ આપતા કચ્છમાં 40 હજાર કરોડનો ગ્રીન એમોનિયા પ્લાન્ટ સ્થાપવા માટે પણ એમ.ઓ.યુ થયેલા છે.

પાંચ વર્ષમાં સર્વગ્રાહી વિકાસ : ભૂપેન્દ્ર પટેલે આ અવસરે આગામી પાંચ વર્ષમાં વિકસીત-ઉન્નત-આત્મનિર્ભર ગુજરાતનું વિકાસ વિઝન પ્રસ્તુત કરતાં કહ્યું કે, ભારતને પાંચ ટ્રિલીયન યુ.એસ. ડોલરની ઈકોનોમી બનાવવાના વડાપ્રધાનના સંકલ્પમાં ગુજરાત અગ્રીમ યોગદાન આપવા સંકલ્પબદ્ધ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગુજરાતે આવનારા પાંચ વર્ષમાં સર્વગ્રાહી વિકાસનો રોડ મેપ પાંચ સ્તંભના આધારે અત્યારથી જ તઈ કરી લીધો છે. આ પાંચ સ્તંભમાં ગરીબ અને જરૂરતમંદ વર્ગોની પાયાની સુવિધા-સોશિયલ સિક્યોરિટી માટે બે લાખ કરોડની જોગવાઇ બજેટમાં કરી છે.

દેશના GDPમાં યોગદાન : આ ઉપરાંત હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ માટે 4 લાખ કરોડ, વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે પાંચ લાખ કરોડ, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરની આર્થિક પ્રવૃત્તિઓના વિકાસ માટે બે લાખ કરોડ અને ગ્રીન ગ્રોથ માટે બે લાખ કરોડ રૂપિયા સુનિશ્ચિત કર્યા છે. ગુજરાત નીતિ આયોગના અહેવાલ અનુસાર ફાઇનાન્સિયલ મેનેજમેન્ટમાં પ્રથમ ક્રમે છે અને આપણે દેશના જી.ડી.પીમાં 8.36 ટકાના હાલના યોગદાનને 10 ટકાએ લઇ જવા પણ પ્રતિબદ્ધ છીએ. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશના અમૃતકાળમાં ગુજરાતના સર્વપોષી, સર્વ સમાવેશી અને સર્વસ્પર્શી વિકાસને સૌના સહયોગથી અમૃતમય બનાવવાની નેમ પણ વ્યક્ત કરી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો : Karnataka Assembly Polls: કર્ણાટકના મુખ્યપ્રધાનનું મોટું નિવેદન, અમે તૈયાર છીએ

કોણ કોણ અવસર પર હાજર રહ્યા : મુખ્યપ્રધાને ટીમ ગુજરાત તરીકે સરકારના પ્રતિનિધિઓ, અધિકારીઓ-કર્મયોગીઓ સાથે કર્તવ્યરત રહીને વિકાસ યાત્રા અવિરત રાખી અને ગુજરાતનો વિકાસ દેશ અને દુનિયા માટે પથદર્શક બને તેવું પ્રેરક આહવાન પણ કર્યું હતું. આ અવસરે સાથ, સહકાર અને સેવાના 100 દિવસ પુસ્તિકાનું વિમોચન તેમણે કર્યુ હતું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટિલ, રાજ્ય પ્રધાનમંડળ , રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને આમંત્રિતો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Mamata Banerjee: બોમ્બે હાઈકોર્ટે રાષ્ટ્રગીત અનાદર કેસમાં મમતા બેનર્જીની અરજી ફગાવી

વિકાસ પર્વ ઉજવાય : મુખ્ય સચિવ રાજકુમારે આ પ્રસંગે સૌનું સ્વાગત કરતા જણાવ્યું કે, વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ચોક્કસ સમય મર્યાદામાં છેવાડાના માનવી સુધી પહોંચે તેવા ઉદ્દેશ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સાથ, સહકાર અને સેવાના 100 દિવસ અન્વયે લક્ષ્યાંકો સિદ્ધ કરીને વિકાસ પર્વ ઉજવાઇ રહ્યું છે. રાજ્યના તમામ વિભાગોની પ્રજાલક્ષી વિકાસ યોજનાઓ માટે નીડ બેઝ્ડ પ્લાનિંગથી વિકાસની ખૂટતી કડીઓ અંગે અસરકારક આયોજન કરીને રાજ્ય સરકાર સર્વસમાવેશક વિકાસનો ધ્યેય સિદ્ધ કરવા આગળ વધી રહી છે. તેમાં વહીવટીતંત્રના સંપૂર્ણ સહયોગની ખાતરી તેમણે આપી હતી. રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટરોએ અને વહીવટીતંત્રના અધિકારીઓએ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.