ETV Bharat / state

Trasportation Budget 2023 : દ્વારકામાં બનશે નવું એરપોર્ટ, અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઈવે બનશે 6 લેન

author img

By

Published : Feb 24, 2023, 2:11 PM IST

બજેટ 2023માં દ્વારકામાં નવા એરપોર્ટના નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવે હવે 6 લેન બનશે. ભારે ટ્રાફિક ધરાવતા પાંચ રસ્તાઓને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવામાં આવશે. મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તાર, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા રસ્તાઓ માટે બજેટ ફાળવાયું છે.

Trasportation Budget 2023
Trasportation Budget 2023

ગાંધીનગર: આજે વિધાનસભામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની બીજી ટર્મમાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરાયું હતું. નાણાપ્રધાન કનુ દેસાઇએ બીજી વખત બજેટને રજૂ કરતાં ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો.. જેમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 20,642 કરોડની જાહેરાત કરવાામાં આવી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2808 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

દ્વારકામાં બનશે નવું એરપોર્ટ: બજેટ 2023માં દ્વારકામાં નવા એરપોર્ટના નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવે હવે 6 લેન બનશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2808 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મહાનગરો, બંદરો, ઔદ્યોગિક વિસ્તાર, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની અંદાજે 2800 કરોડની કામગીરીનું આયોજન કરાયું છે. 7 વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા રસ્તાઓનું રીસરફેસીંગની કામગીરી માટે અંદાજીત 2200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રસ્તાઓ થશે પહોળા: જુદા જુદા રસ્તાઓના અનુભાગોની અંદાજે 1 હજાર કિલોમીટર લંબાઈને 10 મીટર કે 7 મીટર પહોળા કરવાની 1679 કરોડની કામગીરીનું આયોજન કરાયું છે. 962 કરોડના ખર્ચે ઓખા અને બેટ દ્વારકાને જોડતા ચાર-માર્ગિય કેબલ સ્‍ટેઇડ સિગ્નેચર બ્રિજની કામગીરી પ્રગતિ હેઠળ છે. સરખેજ-ગાંધીનગર હાઇવેને 913 કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી પૂર્ણ થતાં ગાંધીનગર અને અમદાવાદને જોડતો રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે છ માર્ગીય થશે. અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવેને 3350 કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી માટે 615 કરોડની જોગવાઇ કરાઈ છે.

આ પણ વાંચો: Tourism Budget 2023: પ્રવાસન ક્ષેત્રને વેગ, દ્વારકાનું થશે પુન:નિર્માણ, સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં બનશે ડ્રાઈવ ઈન સફારી

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અંદાજે 3 હજાર કિલોમીટરના ગ્રામ્ય માર્ગોને પહોળા કરવા 600 કરોડની જોગવાઈ કરાઈ છે. જ્યારે જૂના પુલોના પુન:બાંધકામ અને મજબુતીકરણ માટે 550 કરોડની જાહેરાત કરાઈ છે. ભરૂચ દહેજ રસ્તા પર 400 કરોડના ખર્ચે ભોળાવ જંક્શનથી શ્રવણ જંક્શન સુધી ૩ કિલોમીટર લંબાઈનો છ માર્ગીય એલીવેટેડ કોરીડોર જેમાં હયાત રેલવે ઓવરબ્રીજ ઉપર ડબલ હાઈટ પર રેલવે ઓવરબ્રીજની કામગીરી પ્રગતિ હેઠળ છે. ૩પર કરોડના ખર્ચે ભુજ-ખાવડા-ધર્મશાળા રસ્તો દ્વિમાર્ગીય કરવાની કામગીરી હાથ ધરાશે. રસ્તાઓનું મજબુતીકરણ, અપગ્રેડેશન, ખુટતીકડીના રસ્તાઓ અને પુલના બાંધકામ સહિતના કોસ્ટલ હાઇવે માટેના 2440 કરોડના આયોજન અંતર્ગત 25 રસ્તાઓની કામગીરી માટે 278 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

પી.એમ. ગતિશક્તિ અંતર્ગત મહત્વના પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના ઇકવિટી ફાળા માટે 200 કરોડની જોગવાઇ કરાઈ છે. સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા 218 કિ.મી. લંબાઇના રસ્તાની કામગીરી માટે 140 કરોડની જોગવાઇ કરાઈ છે. આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે 123 કરોડની જોગવાઇ કરાઈ છે. રેલ્વે લેવલ ક્રોસીંગ તેમજ અન્ય રેલ્વે ક્રોસીંગો પરની કામગીરી પૈકી 2976 કરોડના ખર્ચે કુલ 52 રેલ્વે ઓવર બ્રીજના કામો પ્રગતિ હેઠળ છે.

આ પણ વાંચો: Gujarat Budget 2023 : ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય માટે 26 કરોડનું એલાન

હાઈસ્પીડ કોરીડોર વિકસાવાશે: ટુરિસ્ટ સર્કિટને જોડતાં રસ્તાઓના વિકાસ માટે 605 કરોડની જોગવાઈ જ્યારે પરિક્રમા પથના બાંધકામ અન્વયે 500 કરોડની જોગવાઈ કરાઈ છે. 1500 કરોડના ખર્ચે ભારે ટ્રાફિક ધરાવતા પાંચ રસ્તાઓ વટામણ-પીપળી, સુરત-સચિન-નવસારી, અમદાવાદ-ડાકોર, ભુજ-ભચાઉ અને રાજકોટ-ભાવનગરને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટે 384 કરોડની ફાળવણી કરાઈ છે. અમદાવાદ–મહેસાણા–પાલનપુર રસ્તાને 950 કરોડના ખર્ચે હાઈબ્રિડ એન્યુઈટી પદ્ધતિથી ફલાયઓવર સહિત છ-માર્ગીય કરવા માટે 160 કરોડની જાહેરાત કરાઈ છે. ભરૂચ–દહેજ રસ્તાને 800 કરોડના ખર્ચે એક્સેસ કંટ્રોલ્ડ એકસપ્રેસ-વે તરીકે વિકસાવવા માટે 160 કરોડની ફાળવણી કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.