ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પક્ષીઓના શિકાર બાબતે કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરએ પ્રશ્ન કર્યો હતો. જેમાં અમદાવાદ પાસે આવેલા નળ સરોવર પક્ષી અભ્યારણમાં પક્ષીઓનો શિકાર થતો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.
વર્ષ 2018માં 34 કેસ અને વર્ષ 2019માં 10 કેસ પક્ષીઓના શિકારના નોંધવામાં આવ્યાં છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં 604 જેટલા પક્ષીઓ શિકારી પાસેથી મળી આવ્યા છે. જેમાંથી 71 પશુઓ પક્ષીઓ મૃત્યુ અને 534 પક્ષીઓ જીવિત હાલતમાં શિકારીઓ પાસેથી મળી આવ્યા હોવાનો દાવો રાજ્ય સરકારે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કર્યો હતો.
આમ, જે રીતે પક્ષીઓની સંખ્યા સામે આવી રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે, રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધનો જે કાયદો છે તે કાયદાને પણ સ્વીકાર્યો ઘોળીને પી જતા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે ગીર સોમનાથ અમરેલીમાં પણ સિંહના હુમલા બાબતે પણ રાજ્ય સરકારે ખુલાસો કર્યો હતો. જેમાં ગીર સોમનાથમાં છેલ્લા બે વર્ષમાં 30 લોકો ઉપર હુમલા થયા હતાં. જેમાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 51 નાગરિકો ઉપર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 11 લોકોના મોત નિપજ્યા છે.