ETV Bharat / state

Gujarat Government: ધક્કામુક્કીથી થતી દુર્ઘટનાઓ ટાળવા સરકારે 8 યાત્રાધામ માટે એડવાઇઝરી આપી, સીસીટીવી સર્વેલન્સ માટે શું કહ્યું જૂઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2023, 2:00 PM IST

દિવાળીના પર્વ પર દેવદર્શનનો મહિમા છે ત્યારે ગુજરાતમાં આવેલા તમામ યાત્રાધામોમાં લોકોની ભીડ ઉમટી રહી છે. એવામાં ધક્કામુક્કીથી થતી દુર્ઘટનાઓ ટાળવા સરકારની એડવાઇઝરી બહાર પડી છે.વૃદ્ધો બાળકો માટે અલગ કતારની સૂચના સહિત રાજ્યમાં આવેલા 8 મોટા યાત્રાધામ માટેની ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની માર્ગદર્શિકામાં શું છે જાણો.

ધક્કામુક્કીથી થતી દુર્ઘટનાઓ ટાળવા સરકારે 8 યાત્રાધામ માટે એડવાઇઝરી બહાર પાડી, સીસીટીવી સર્વેલન્સ માટે શું કહ્યું જૂઓ
ધક્કામુક્કીથી થતી દુર્ઘટનાઓ ટાળવા સરકારે 8 યાત્રાધામ માટે એડવાઇઝરી બહાર પાડી, સીસીટીવી સર્વેલન્સ માટે શું કહ્યું જૂઓ

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ માર્ગદર્શિકા

ગાંધીનગર : દિવાળીના તહેવારોમાં સુરત અમદાવાદ રાજકોટ અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો દિવાળી અને નવા વર્ષના તહેવારો પોતાના વજનમાં ઉજવતા હોય છે. જ્યારે અનેક લોકો આ તહેવારોના દિવસોમાં પરિવાર સાથે ફરવા પણ જતા હોય છે. પરંતુ સુરત રેલવે સ્ટેશન ઉપર કમનસીબ બનાવમાં એક યુવાનનું શ્વાસ રૂંધાવાના કારણે મૃત્યુ થયું છે. ત્યારે ગુજરાતના પવિત્ર યાત્રાધામોમાં ભારે ભીડના કારણે કોઈપણ પ્રકારની અયોગ્ય ઘટનાના સર્જાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તાત્કાલિક ધોરણે તમામ યાત્રાધામ અને જિલ્લા કલેકટરોને એડવાઈઝરી આપવામાં આવી છે.

કયા દેવસ્થાનો માટે એડવાઇઝરી જાહેર : ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના નિયામક આર. આર રાવલે આપેવી માહિતી પ્રમાણે દિવાળીના તહેવારોમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતના આઠ યાત્રાધામના ટ્રસ્ટ અને સંબંધિત જિલ્લા કલેકટરને લેખિતમાં એડવાઈઝરી આપવામાં આવી છે. આ આઠ દેવસ્થાન અને મહત્વના યાત્રાધામની વાત કરવામાં આવે તો અંબાજી, સોમનાથ, પાવાગઢ, દ્રારકા, માતાનો મઢ, જૂનાગઢ જોવા યાત્રાધામને એડવાઇઝરી આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને યાત્રાધામોમાં ધક્કામુક્કી ન થાય આવનાર યાત્રાળુઓની સલામતી, સગવડ, સ્વચ્છતા આ બધું જ જળવાય એ જોવા માટે સ્થાનિક વહીવટી તંત્ર અને સ્થાનિક મંદિરના ટ્રસ્ટને સૂચનાઓ આપવામાં આવી છે....આર. આર રાવલ (નિયામક, ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ )

પત્ર મોકલવામાં આવ્યો : નિયામક આર.આર.રાવલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના મહત્ત્વના સ્થળ એવા અંબાજી, પાવાગઢ, દ્વારકા અને સોમનાથ ખાતે જતા પ્રવાસીઓને હાલાકી ન પડે તે હેતુસર રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તહેવારોમાં દર્શનાર્થીઓની જે રીતે સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે એ જોતા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તમામ કલેક્ટરને તેમજ તમામ મંદિરના ટ્રસ્ટીઓને એક પત્ર મોકલવામાં આવ્યો છે.

યાત્રાળુઓ સારી રીતે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા : યાત્રાળુઓ માટે પાણીની સંપૂર્ણ વ્યવસ્થા, ટોયલેટની વ્યવસ્થા એ સિવાય લાઈનમાં ધક્કામુક્કી ન થાય અને વ્યવસ્થિત રીતે દર્શન થાય, તેમજ દર્શનના સમયની બધી જાણકારી લોકોને અગાઉથી મળી રહે કે જેથી કરીને આવનાર દર્શનાર્થીઓ સમયસર પહોંચી શકે, સમયસર સારી રીતે દર્શન કરી શકે અને એને યાત્રામાં કોઈ અગવડ ન પડે એ માટે અમે સૂચનાઓ આપી છે. તદ્પરાંત દિવ્યાંગ લોકો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવાની જરૂર હોય ત્યાં તે પણ કરવા માટે યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સ્થાનિક વહીવટી તંત્રને તેમજ ટ્રસ્ટને સૂચનાઓ આપી છે.

પોલીસ સુરક્ષા બાબતે ચર્ચા : આર આર રાવલે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા કલેકટરને પણ સુરક્ષા બાબતે પત્ર લખવામાં આવ્યો છે. જેમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામની આસપાસ ટ્રાફિકનું વ્યવસ્થિત સંચાલન પાર્કિંગ માટેની વ્યવસ્થા અને યાત્રાળુઓની સુરક્ષા માટે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી છે. સાથે જ સીસીટીવી દ્વારા નજર પણ રખાશે. હાલમાં શામળાજી અને દ્વારકા ખાતે સીસીટીવી ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે પરંતુ અન્ય યાત્રાધામોમાં સીસીટીવીની વ્યવસ્થા છે જ્યાં સીસીટીવી સર્વેલન્સ થઇ રહ્યું છે.

નાના બાળકો વૃદ્ધોને અલગ લાઇન કરવાની સૂચના : આર આર રાવલે વધુમાં જણાવ્યું હતું કે યાત્રાધામમાં વધુ ભીડ હોવાને કારણે નાના બાળકો વૃદ્ધો સિનિયર સિટીઝન તેમના માટે અલગથી વ્યવસ્થા કરવા માટેની સૂચનાઓ પણ બોર્ડ દ્વારા આપવામાં આવી છે. આમ યાત્રાળુઓની સંખ્યા વધે તેને ધ્યાનમાં લઈને પૂરતા પાર્કિંગની વ્યવસ્થા અને સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસની સંખ્યામાં પણ વધારો કરવા માટે અને ટ્રાફિક નિયમન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યારે આ દિવાળીના તહેવારોમાં યાત્રાધામ સંપૂર્ણ સ્વચ્છ રહે તે માટેની પણ કાળજી રાખવામાં આવી છે.

  1. Diwali 2023: દરેકને સાથે રાખીને વિકાસનો સંકલ્પ કરીએ અને વડીલોના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય તેવી નવા વર્ષની શુભકામનાઓઃ ભુપેન્દ્ર પટેલ
  2. Diwali 2023: મુખ્યુપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી, જનતાને પાઠવી શુભકામના
  3. Diwali 2023 : રાજકોટ જેલના કેદીઓ પરિવાર સાથે ઉજવશે દિવાળી, કુલ 43 કેદીઓ 15 દિવસના પેરોલ પર મુક્ત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.