ETV Bharat / state

કોરોના મહામારી વચ્ચે રાજયની વિકાસયાત્રા અવિરત રહે એ સરકારનો નિર્ધાર: નીતિન પટેલ

author img

By

Published : Jul 23, 2020, 7:25 PM IST

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન અને માર્ગ-મકાનપ્રધાન નીતીનભાઈ પટેલે જણાવ્યું છે કે, કોરોનાની વૈશ્વિક મહામારી અંતર્ગત પણ જનહિતના કામોને પ્રાધાન્ય આપીને રાજયની વિકાસયાત્રાને આગળ વધારવી એ અમારો નિર્ધાર છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિકાસકામો રાબેતા મુજબ શરૂ થાય એ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને યોગ્ય કરવા સબંધિતોને સૂચનાઓ પણ આપી દીધી છે. જે કામો પૂર્ણ થયા છે અને નવા કામો શરૂ કરવાના છે એ માટે ઈ-લોકાર્પણ, ઈ-ભૂમિપૂજન/ખાતમુહૂર્તનો નવતર અભિગમ દાખવ્યો છે. જેના પરિણામે લોકોને એકત્ર ન કરવા પડે, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય અને કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકી શકે છે

નાયબ મુખ્યપ્રધાન
નાયબ મુખ્યપ્રધાન

ગાંધીનગર: ગુજરાતના માર્ગ અને મકાન વિભાગને દર વર્ષે રૂપિયા 9,000 કરોડથી વધુ રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. જેના થકી રોડને પહોળા કરવા, નવા રસ્તાઓના બાંધકામ, અંડરબ્રિજ-ઓવરબ્રિજ સહિતના અનેક વિકાસ કામો રાજ્યભરમાં હાથ ધરવામાં આવે છે. રાજયના ખમીરવંતા સરહદી જિલ્લા એવા કચ્છના વિકાસ માટે રાજ્ય સરકાર સવિશેષ મહત્વ આપી રહ્યું છે તેમ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ગાંધીનગર ખાતેથી વીડીયો કોન્ફરન્સના માધ્યમ થકી માર્ગ અને મકાન વિભાગના વિવિધ વિકાસના કામોનું ઈ-ભૂમિપૂજન તેમજ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ઈ-ભૂમિપૂજન
ઈ-ભૂમિપૂજન
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, કોરોના મહામારીના આ સમયગાળામાં 10 લાખથી વધુ શ્રમિકો-કારીગરો પોતાના વતન રાજ્યમાં પહોંચી ગયા છે. આ સ્થિતિમાં પણ શ્રમિકો-કારીગરોની વ્યવસ્થા ગોઠવી રાજ્યના વિવિધ વિકાસ કામો શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં મહત્વના પ્રોજેક્ટ એવા 900 થી 1000 કરોડના ખર્ચે તૈયાર થનાર સરખેજ-ગાંધીનગર સિક્સલેન હાઈ-વે, રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈ-વે, તારાપુર-વાસદ સિક્સ લેન હાઈ-વે સહિતના વિવિધ મોટા પ્રોજેક્ટ પુન શરૂ કરી દેવાયા છે.એ ઉપરાંત ગત અઠવાડિયે જ દક્ષિણ ગુજરાતના 800 કરોડના વિવિધ કામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ભૂમિપૂજનનું પણ કરવામાં આવ્યું હતુ.આમ આ કોરોનાની સ્થિતિમાં પણ જનજીવન સામાન્ય થાય અને વિકાસના કામો અટકે નહીં તેની પણ રાજ્ય સરકાર ચિંતા કરી રહી છે.
ઈ-લોકાર્પણ
ઈ-લોકાર્પણ
એક જમાનામાં કચ્છમાંથી લોકો હિજરત કરવા માંડ્યા હતા જો કે હવે, રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. કચ્છ જિલ્લો ગુજરાત માટે આર્થિક રીતે મહત્વનો જિલ્લો બની ગયો છે. આ જિલ્લાનો વધુને વધુ વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે એટલું જ નહીં તેને વધુ સક્ષમ બનાવવો અમારી ફરજ છે. કચ્છ જિલ્લામાં નર્મદાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ જણાવતા પટેલે ઉમેર્યું કે, કચ્છ જિલ્લાના નર્મદાના પાણીના પ્રશ્નના નિરાકરણ માટે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 1000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. કચ્છના ખેડૂતોની લાગણી મુજબ નર્મદાનું પાણી ખૂબ જ ટૂંકા સમયમાં કચ્છને મળતુ થશે. લોકડાઉન થયું ત્યારથી અત્યારસુધીના સમયગાળામાં આ મુદ્દાને લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં અનેક બેઠકો કરવામાં આવી છે.

પખવાડિયા પહેલા જ આ મુદ્દે રિવ્યુ બેઠક કરાઈ છે. હવે માત્ર સ્થાનિકકક્ષાએ કેટલાંક વિસ્તારની જમીન સંપાદનની કામગીરી બાકી છે તે પણ સ્થાનિક અગ્રણીઓના સહયોગથી પૂર્ણ થવાની તૈયારીમાં છે. એટલે ખેતી તેમજ પીવા માટે કચ્છ જિલ્લાના નાગરિકો અને ખેડૂતોને નર્મદાનું પાણી ખૂબ જ ઝડપથી મળતું થઈ જશે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં ભુજ સર્કિટ હાઉસ ખાતેથી કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે રૂપિયા 2.73 કરોડના ખર્ચે નવનિર્મિત વિશ્રામગૃહનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રૂપિયા 71.76 કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ ત્રણ રસ્તાઓના કામોના ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યા હતા. જેમાં નખત્રાણા તાલુકાના ભુજ-લખપતના તેમજ દયાપર-સુભાષપર-પાન્ધ્રો રસ્તાની વળાંક સુધારણા અને મજબૂતીકરણ તથા અને નખત્રાણા-નિરોણા-લોરીયા રસ્તાને પહોળો તેમજ મજબુતીકરણ કરવાના કામોનું ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ગઢસીસા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મહત્વના મુદ્દાઓ :

  • રાજ્યના વિવિધ વિકાસ કામો શરૂ: સરખેજ-ગાંધીનગર સિક્સલેન હાઈ-વે, રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈ-વે, તારાપુર-વાંસદ સિક્સ લેન હાઈ-વે સહિતના વિવિધ મોટા પ્રોજેક્ટ પુન: શરૂ.
  • ભુજ સર્કિટ હાઉસથી કચ્છ જિલ્લાના નખત્રાણામાં નવનિર્મિત વિશ્રામગૃહનું ઈ-લોકાર્પણઃ રૂપિયા 71.76 કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ ત્રણ રસ્તાના કામોના ઈ-ભૂમિપૂજન સંપન્ન.
  • કચ્છ જિલ્લામાં નર્મદાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ.
  • કચ્છ જિલ્લાના નર્મદાના પાણીના પ્રશ્નના નિરાકરણ માટે આ વર્ષે રૂપિયા 1000 કરોડનું બજેટ ફાળવાયું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.