ETV Bharat / state

Common University Bill : કોમન યુનિવર્સિટી બિલ પસાર, સેનેટ પ્રથા થશે ખતમ, બિલની મહત્ત્વની જોગવાઇઓની શું થશે અસર, વધુ જાણો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2023, 6:46 PM IST

Common University Bill : કોમન યુનિવર્સિટી બિલ પસાર, સેનેટ પ્રથા થશે ખતમ, બિલની મહત્ત્વની જોગવાઇઓની અસરને લઇ વધુ જાણો
Common University Bill : કોમન યુનિવર્સિટી બિલ પસાર, સેનેટ પ્રથા થશે ખતમ, બિલની મહત્ત્વની જોગવાઇઓની અસરને લઇ વધુ જાણો

ગુજરાત વિધાનસભામાં કોમન યુનિવર્સિટી બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. બિલની મહત્ત્વની જોગવાઇઓમાં એક મહત્ત્વની જોગવાઇ એવી પણ છે કે કુલપતિ તરીકે એક યુનિવર્સિટીમાં ફરજ બજાવ્યા બાદ બીજી યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે ફરજ બજાવી શકાશે. ઉચ્ચ શિક્ષણપ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં શું કહ્યું જોઇએ.

બિલની મહત્ત્વની જોગવાઇઓ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રના અંતિમ દિવસે રાજ્યના ઉચ્ચ શિક્ષણપ્રધાન ઋષિકેશ પટેલે કોમન યુનિવર્સિટી બિલ રજૂ કર્યું હતું. જેમાં લગભગ 6 કલાક સુધીની ચર્ચા બાદ કોંગ્રેસના વિરોધ બાદ બિલ ગૃહમાં બહુમતીથી પસાર કરવામાં આવ્યુ હતું. આ બિલ લાગુ થતાંની સાથે જ રાજ્યની 11 યુનિવર્સિટીમાં સમાન કાયદા-નિયમ આધીન સંચાલન કરવામાં આવશે.

કોંગ્રેસનો મુદ્દાવાર વિરોધ: કોમન યુનિવર્સિટી બિલને લઇને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે રાજયમાં 11 યુનિવર્સિટી ઉપરાંત 100 ખાનગી યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટીને પણ આ બિલ લાગુ થાય તેવી માગણી કરવામાં આવી હતી. સત્રમાં વિરામ દરમિયાન કોંગ્રેસે બિલ અને જ્ઞાન સહાયકનો વિરોધ કર્યો હતો.

એક્ટની મહત્વની જોગવાઈ :

  • યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે.
  • એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂંક કરી શકાશે.
  • યુનિવર્સિટીના સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડમિક કાઉન્સિલ મહત્વની ભૂમિકા ભજવશે.
  • આ એક્ટ દ્વારા 11 યુનિવર્સિટીમાં પ્રવેશ, અભ્યાસ અને પરીક્ષા પદ્ધતિમાં એકસૂત્રતા આવશે.
  • રાજ્યની 10 પબ્લિક યુનિવર્સિટીઓમાં ચાન્સેલર પદે મહામહિમ રાજ્યપાલ રહેશે.
  • વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ચાન્સેલર અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરપર્સન પદે શ્રીમતી શુભાંગિની રાજે ગાયકવાડ સ્થાન શોભાવશે.
  • અધ્યાપકો, આચાર્યો, યુનિવર્સિટીના પ્રોફેસર, અધ્યક્ષોની નિમણૂકમાં 33 ટકા મહિલા સભ્યોની જોગવાઈ કરાઇ.
  • યુનિવર્સિટીઓમાં સેનેટ અને સિન્ડિકેટને સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ કાર્યરત બનશે.
  • યુનિવર્સિટીના પોતાના સક્ષમ સત્તામંડળની મંજૂરીથી નવા પ્રોગ્રામ્સ, નવા કોર્સિસ શરુ કરવા માટે સ્વાયત રહેશે.
  • યુનિવર્સિટી એક્સ્ટર્નલ તરીકે વિદ્યાર્થીઓને ડીગ્રી આપી શકશે.
  • ઓનલાઈન કોર્સિસ તૈયાર કરી શકશે. દૂરવર્તી પાઠ્યક્રમો પણ ચલાવી શકશે.

યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પાંચ વર્ષની રહેશે. એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે પાંચ વર્ષ ફરી વખત નિમણૂંક કરી શકાશે. જેનાથી યુનિવર્સિટીને કૌશલ્યવાન, ડાયનેમિક કુલપતિ પ્રાપ્ત થશે. યુનિવર્સિટી સિસ્ટમને સ્થાપિત હિતો માટે ઉપયોગ કરવાના મુદ્દાઓનો પણ અંત આવશે. આ એક્ટ અંતર્ગત યુનિવર્સિટીમાં વિવિધ ઓથોરિટીઝની પણ જોગવાઈ કરાઇ છે. જે અંતર્ગત બોર્ડ ઓફ મેનેજમેન્ટ યુનિવર્સિટીની મુખ્ય નિર્ણંયકર્તા અને પોલિસી મેકિંગ ઓથોરિટી હશે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બોર્ડ ઓફ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ રોજિંદા વહીવટ અને જરૂરી ફરજો નિભાવશે. એકેડમિક કાઉન્સિલ શિક્ષણ, સંશોધન, વિસ્તરણ, મૂલ્યાંકન અને શૈક્ષણિક નીતિઓ ઘડવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. - ઋષિકેશ પટેલ, પ્રવક્તાપ્રધાન

88 યુનિવર્સિટી પાસે નેક એક્રિડેશન નથી : બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે અમને આ બિલ મામલે ઋષિકેશ પટેલ પાસેથી ઘણી આશા હતી. શિક્ષણ એ કોઇની જાગીર નથી, જ્યારે ગુજરાતમાં યુનિવર્સિટીની ગ્રાન્ટ પ્રમાણે કુલપતિ નિમણૂક થતી નથી. કોમન યુનિવર્સિટી એકટમાં એમ હતું કે ઋષિકેશ પટેલ ક્રાંતિકારી બિલ આવશે. વિશ્વામિત્ર બનવું હોય તો ભાષણથી નહિ બનાય. વિદ્યાને કોઈ ગુલામ બનાવી શકતું નથી તે આઝાદ છે. વિદ્યા પ્રકાશ આપનારું છે. દિવાને અજવાળે ભણીને આપણે બધા વિધાનસભા સુધી પહોચ્યા છીએ.

આ બિલથી સેનેટ પ્રથા ખતમ થઇ જશે. કોઇ યુવા નેતા મંત્રી નહી બની શકે. આ બિલથી લાગતું નથી કે કોઇ હવે વિદ્વાન બનશે. અત્યાર સુધી તમામ યુનિવર્સિટી જાતે સંચાલન કરતી હતી. સરકાર ગ્રાન્ટ ફાળવે કે ન ફાળવે સંચાલન યુનિવર્સિટી કરતી હતી. આ બિલથી ફલિત થાય છે કે, માછલીએ જ્યાં ત્યાં નહી તરવાનું, માછલીએ સ્વિમિંગ પુલના નિયમો પ્રમાણે જ તરવાનું. સૌરાષ્ટ્ર યુનિના એક શિક્ષકે ભ્રષ્ટાચાર પર કવિતા લખી તો સરકાર તેને સસ્પેન્ડ કરી દીધો હતો. ગુજરાતી ભાષાનો નિષ્ણાત શિક્ષક હતો. હાલ તમામ યુનિવર્સિટીમાં કહ્યાગરાં કુલપતિ અને પ્રોફેસરો બેઠા છે. પહેલાના કુલપતિ તો શિક્ષણ મંત્રીને મળે જ નહીં, તેઓ સીધા રાજ્યપાલને મળે. રાજ્યની 108માંથી 88 યુનિવર્સિટી પાસે નેક એક્રિડેશન નથી. જ્યારે 2468 કોલેજમાંથી 2371 કોલેજમાં નેકનું એક્રિડેશન નથી. રાજ્યમાં ગ્રાન્ટેડ કોલેજ બંધ થઈ રહી છે. જ્યારે ખાનગી યુનિવર્સિટી ખુલી રહી છે...અર્જુન મોઢવાડિયા (કોંગ્રેસના ધારાસભ્ય )

સત્તાનું એકત્રીકરણ કર્યું: વિપક્ષ નેતા અમિત ચાવડાએ ગૃહમાં નિવેદન આપ્યું હતું કે ભાજપ સરકારના શાસનમાં શિક્ષણનું ખાનગીકરણ થયું છે. હવે શિક્ષણનું સરકારીકરણ કરવામાં આવી રહ્યું છે. શિક્ષણને કોમન યુનિવસિર્ટી બિલથી શિક્ષણને મોટું નુકસાન થશે અને સત્તાનું એકત્રિતકરણ કરીને યુનિવર્સિટીમાં રહેલ ઓટોનોમસ બોડી ખતમ કરવાની આયોજન છે. આ બિલથી 11 યુનિવર્સિટીમાં એકેડેમિક, ફાઇનાન્સ, ઓટોનોમર્સ બોડી ખતમ થઈ જશે. આ બિલથી યુનિવર્સિટીમાં સેનેટ-સિન્ડિકેટ પ્રથા ખમત થઇ જશે. સેનેટ પ્રથા ખતમ થવાથી યુના નેતાઓ મળવા મુશ્કેલ બનશે. યુનિવર્સિટીમાં ચૂંટાયેલા સેનેટ સભ્યને સામર્થ્ય હોય છે. સરકાર દ્રારા યુનિવર્સિટીમાં માનીતા લોકોની હવે નિમણૂક થશે, હવે યુનિવર્સિટી સરકાર કે કુલપતિ કહે તે જ સભ્યોની નિમણૂક થશે.

પ્રતિ દિવસ રોજ એક વિમાન વિદેશ જાય છે - સી.જે. ચાવડા: કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડાએ બિલ બાબતે નિવેદન આપ્યું હતું કે આ બિલ સાથે ગુજરાતનું ભાવી સંકળાયેલું છે. વિજયભાઇ રૂપાણીની સરકારમાં કોરોના હતો તેથી કહી શકાય કે કોરોનાની સારી કામગીરી કરી. પણ માધવસિંહના સમયમાં કોરોનાની સારી કામગીરી કરી નથી એવું ન કહી શકાય. કારણ કે, માધવસિંહ સોલંકી સમયે કોરોના ન હતો.

ભૂતકાળની સરકારોએ કંઇ કર્યુ નથી, એમાંથી બહાર નીકળો તો અમે સહયોગ આપીશું. દરરોજ એક વિમાન ગુજરાતમાંથી ઓસ્ટ્રેલિયા કેનેડા તરફ રવાના થઇ રહ્યુ છે. ગુજરાતમાંથી તૈયાર થતાં વિદ્યાર્થીઓ વિદેશ જતાં રહે છે. હું ભણતો હતો ત્યારે વિદેશથી વિદ્યાર્થીઓ અહી અભ્યાસ માટે આવતા હતાં. ગુજરાતના વિદ્યાર્થીઓ વિદેશ જાય છે તે બાબતે સરકારે ચિંતા કરવી જોઇએ...સી.જે. ચાવડા (કોંગ્રેસના ધારાસભ્ય )

વિદેશ શિક્ષણનો માર્ગ મોકળો બનશે- હાર્દિક પટેલ: ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે બિલ પર નિવેદન આપ્યું હતું કે આ બિલથી સૌથી વધુ લાભ ગામડાના લોકો, યુનિવર્સિટીને થવાનો છે. વિદેશ અભ્યાસ જનાર વિદ્યાર્થીઓને આ બિલથી લાભ થવાનો છે. આ બિલથી નેકનું એક્રિડેશન હોવું જરુરી બનશે જેથી આપણી યુનિવર્સિટીનું વિદેશમાં પણ મૂલ્ય વધશે. પહેલાં યુનિવર્સિટીમાં ગામડાના યુવાનને પ્રવેશ મેળવવો હોય તો વિદ્યાર્થી નેતાઓને પૈસા આપવા પડતાં હતાં. આ બિલથી પૈસાથી એડમિશન કરતાં તમામ વિદ્યાર્થી નેતાઓની દુકાનો બંધ થવાની છે. પહેલાં એક યુનિવસિટીમાંથી બીજી યુનિવર્સિટી જવા માટે એનઓસી જોઇતી હતી હવે એનઓસી લેવાની જરુર નહી રહે.

ખાનગી યુનિવર્સિટીને બિલ હેઠળ કેમ નથી આવરી?: કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં 100 કરતાં પણ વધારે યુનિવર્સિટી આવેલી છે. 100 યુનિવર્સિટી હોય ત્યારે બિલમાં લખેલા શબ્દો તમામ યુનિવર્સિટીને લાગુ પડવા જોઇએ. સરકાર કહી રહી છે આ બિલ લાવવાથી રાજ્યના વિકાસમાં ખૂબ મોટો ફાળો થશે. સરકારને સવાલ છે કે 11 યુનિવર્સિટીની માધ્યમથી જ યુવા પેઢીનો વિકાસ થશે. ખાનગી યુનિવર્સિટી આવેલી છે જેમાં વ્યાપારીકરણનો પુરેપુરો રોલ રહેલો છે. સરકારને એક કાને સંભળાય છે અને એક કાન બંધ છે. સરકારને એક આંખે દેખાય છે અને એક આંખ બંધ છે. રાજ્યની ફક્ત 11 યુનિવર્સિટી માટે એ બિલ છે. તો ખાનગી યુનિવર્સિટી માટે કેમ આ બિલ લાગુ નહી થાય?

પગાર બાબતે સરકારનો ખુલાસો : બિલમાં પ્રોફેસર સંસદ અથવા તો રાજ્યસભાના સભ્ય થાય તો તેઓને પગાર બાબતે પણ બિલમાં અનેક સમસ્યા હતી. ત્યારે રાજ્ય સરકારના કેબિનેટપ્રધાન ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં ખુલાસો કર્યો હતો કે જો સભ્ય વિધાનસભાનો સભ્ય હોય અને પ્રોફેસર હોય તો તેને બેમાંથી એક પગાર લેવા પડશે. જો તેઓ વિધાનસભામાં હાજર હોય તો તેટલા દિવસનો પગાર તેમને મળી શકે નહીં. બાદમાં કિરીટ પટેલે આ બાબત ઉપર વાંધો ઉઠાવ્યો હતો ત્યારે આ મુદ્દે ટૂંક સમયમાં વિગતવાર જાહેરાત કરવાની વાત પણ ઋષિકેશ પટેલે કરી હતી.

  1. Common University Bill : કોમન યુનિવર્સિટી બિલ આવશે તો શું થશે ફેરફારો, જૂઓ ETV ભારતના વિશેષ એહવાલમાં
  2. Vadodara News:યુનિવર્સીટી કોમન એક્ટ 2023ના વિરોધમાં કમાટીબાગ ખાતે યોજાઈ ચિંતન બેઠક, રાજ્ય વ્યાપી જન આંદોલનની ચીમકી
  3. Common Universities Act : ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં આવશે ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ, કોમન યુનિવર્સિટી એક્ટનો અમલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.