ETV Bharat / state

Childrens University Convocation : ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના 14 મા સ્થાપના દિવસ અને ચોથા દીક્ષાંત સમારોહનું આયોજન

author img

By

Published : Jul 31, 2023, 10:30 PM IST

Childrens University Convocation
Childrens University Convocation

ગાંધીનગરમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના 14 મા સ્થાપના દિવસ અને ચોથા દીક્ષાંત સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે સુવર્ણ પદક એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ વિદ્યાશાખાના મળી કુલ 91 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ રાજ્યપ્રધાન પ્રફુલ્લભાઈ પાનસેરીયાએ વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા.

ગાંધીનગર : શ્રેષ્ઠ માનવના નિર્માણ માટે બાળકનું શ્રેષ્ઠ હોવું અનિવાર્ય છે. આ માટે પ્રયત્નશીલ ભારતની અને સંભવત: વિશ્વની પહેલી એવી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના 14 મા સ્થાપના દિવસ અને ચોથા દીક્ષાંત સમારોહનું આજે ગાંધીનગરમાં ભવ્ય આયોજન કરાયું હતું. સ્વર્ણિમ સંકુલ-1 ના સાબરમતી ખંડમાં યોજાયેલા આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ભારતીય મૂલ્યો અને સંસ્કારોથી મહાન મનુષ્યના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે. શ્રેષ્ઠ માનવના સર્જન માટે પ્રયત્નશીલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સમગ્ર ટીમને તેમણે અભિનંદન આપ્યા હતા.

દીક્ષાંત સમારોહ : આ સમારોહ દરમિયાન વિવિધ વિદ્યાશાખાના અનુસ્નાતક ડિપ્લોમા, અનુસ્નાતક અને પીએચડીના ચાર તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે સુવર્ણ પદક એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ વિદ્યાશાખાના મળી કુલ 91 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના 14 મા સ્થાપના દિવસ
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના 14 મા સ્થાપના દિવસ

ગિજુભાઈ બધેકા એવોર્ડ : બાળ વિશ્વવિદ્યાલયના 14 માં સ્થાપના દિવસ નિમિત્તે પ્રથમવાર ગિજુભાઈ બધેકા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં શ્રેષ્ઠ બાળગુરુ કેટેગરીમાં અમદાવાદના નિવૃત્ત શિક્ષક રમણલાલ સોની તેમજ શ્રેષ્ઠ બાલવાટિકા કેટેગરીમાં ભાવનગરના દક્ષિણામૂર્તિ વિનય મંદિરને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મજાનો ખજાનો કીટ તેમજ NCFECCE ના ગુજરાતી સંસ્કરણ પુસ્તકનું પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિમોચન કર્યું હતું.

આ ધરતી પર સૌથી શ્રેષ્ઠ પ્રાણી મનુષ્ય છે. પણ જો તેમાં માનવતા અને મૂલ્યો હોય તો જ તે શ્રેષ્ઠ પ્રાણી છે. અન્યથા મનુષ્યથી ક્રૂર અને દુષ્ટ પ્રાણી બીજું કોઈ નથી. શ્રેષ્ઠ મનુષ્ય શાંતિ અને સુખ આપે છે. મનુષ્ય જ સ્વર્ગ અને નરક સર્જે છે. આવા શ્રેષ્ઠ મનુષ્યનું નિર્માણ કઠિન છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણના વિઝન અને ચિંતનથી આ દિશામાં મહત્વનું કામ કરી રહી છે. -- આચાર્ય દેવવ્રત (રાજ્યપાલ, ગુજરાત)

રાજ્યપાલનું વક્તવ્ય : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ચાઈલ્ડ સાયકોલોજીસ્ટ સિગમન્ડ ફ્રોઇડનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, એમની છેલ્લી અવસ્થામાં કોઈએ એમને પૂછ્યું કે, બાળકનું સારામાં સારું ઘડતર ક્યારે થાય છે ? ત્યારે તેમણે કહ્યું કે, માતાના ખોળામાં સૂતેલું બાળક જ્યારે પોતાના પગનો અંગૂઠો મોઢામાં લેતાં શીખે છે ત્યારે તેનું શ્રેષ્ઠ ઘડતર થાય છે. ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ઋષિમુનિઓ સિગમંડ ફ્રોઇડથી પણ આગળ છે. આપણા શાસ્ત્રો કહે છે કે, ગર્ભમાં જ બાળકને સંસ્કાર અને શિક્ષણ મળે છે. ભારતીય જીવનમૂલ્યો અને પરંપરા પ્રમાણે વિવિધ પ્રકારના ૧૬ સંસ્કારોની ભઠ્ઠીમાં તપીને કુંદન તૈયાર થાય છે.

રાજ્યપાલનું વક્તવ્ય
રાજ્યપાલનું વક્તવ્ય

દીર્ઘદ્રષ્ટા ઋષિમુનિ : માતાના ગર્ભમાં જ બાળક સાંભળવાનું શરૂ કરે છે. માતાના સંસ્કારો અને દિનચર્યાનો માનસિક પ્રભાવ ગર્ભસ્થ શિશુ પર પડે છે. ભારતીય ઋષિમુનિઓ રિસર્ચર અને સ્કોલર હતા. તે સમયે ઋષિમુનિઓએ જે સંશોધનો કરીને સમાજ સમક્ષ મૂક્યા છે. તે સંશોધન આજના રિસર્ચર્સ વૈજ્ઞાનિક પરીક્ષણો પછી સિદ્ધ કરી રહ્યા છે. આવા દીર્ઘદ્રષ્ટા ઋષિમુનિઓએ આ વાતો સાબિત કરી છે. રાજ્યપાલે વધુમાં કહ્યું કે, અન્યના દુઃખ જોઈને જેની આંખો ભીંજાય છે. બીજાના ઘા પર પોતાના હૃદયથી મલમ લગાડી શકે છે એ જ મનુષ્ય મહાન છે. જેના હૃદયમાં દયા અને કરુણા છે, એજ મનુષ્ય મહાન છે.

શિક્ષણથી જ સન્માન : ખેડૂત ધરતીમાં બીજ વાવે છે ત્યારે બીજ અંકુરિત થાય તે પહેલાં નિંદામણ ઊગી જાય છે. દુનિયામાં પણ આવું જ છે, બાળકોને સારું શિક્ષણ અને સંસ્કારો મળે તે પહેલાં બુરાઈ પોતાનો પ્રભાવ દેખાડે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે માઇક્રોફોનનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, માઇક્રોફોનમાં પાંચ રૂપિયાની કિંમતનું લોખંડ અને પાંચ રૂપિયાની કિંમતનું પ્લાસ્ટિક એમ જોઈએ તો ૧૦ રૂપિયાના મૂલ્યની વસ્તુઓ વપરાયેલી છે. છતાં આ માઇક્રોફોનની કિંમત ૩૫ હજાર રૂપિયા છે. એટલે મૂલ્ય હંમેશા ગુણ અને સંસ્કારનું છે. આ સૃષ્ટિ પર અનેક મનુષ્યો આમ-તેમ ભટકે છે. પરંતુ જેમણે સંસ્કાર અને શિક્ષણ મેળવ્યું છે તેઓ જ સન્માન મેળવે છે.

ચોથા દીક્ષાંત સમારોહ
ચોથા દીક્ષાંત સમારોહ

શિક્ષણપ્રધાનના આશીર્વચન : શિક્ષણ રાજ્યપ્રધાન પ્રફુલ્લભાઈ પાનસેરીયાએ પદવી પ્રાપ્ત કરનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, શિક્ષકની કારકિર્દી એક વ્યવસાય નહી પણ જીવન દર્શન સાથે વ્યક્તિ નિર્માણની સાધના છે. એટલે જ રાષ્ટ્ર નિર્માણના પ્રજ્વલિત યજ્ઞમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન શિક્ષકોનું હોય છે. એક શિક્ષક બાળ માનસના વિકાસ થકી સમાજમાં સદભાવનાનું વાતાવરણ ઉભુ કરે છે. પદવી પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થી પણ રાષ્ટ્ર નિર્માણ સહિત સમાજ કલ્યાણ માટે સમર્પિત રહી પોતાની ફરજનું પાલન કરે તેવી આશા વ્યક્ત કરી હતી.

લેકચર સીરીઝ યજ્ઞનો શુભારંભ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેકચર સીરીઝ યજ્ઞનો શુભારંભ કરાવ્યો હતો. જેના પ્રથમ મણકા અંતર્ગત ડો. ભદ્રાયુ વછરાજાની દ્વારા વિદ્વતાસભર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેમણે વ્યાખ્યાન દરમિયાન બાળકનો સુયોગ્ય વિકાસ અને તેનું તેજસ્વી ઘડતર કઈ રીતે થઇ શકે તે અંગે સૌને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે બાળકોના ઉછેર સમયે માતા-પિતાએ શું કાળજી લેવી જોઈએ તે અંગે પણ વિગતવાર વાત કરી હતી. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. હર્ષદભાઈ પટેલે વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા. ઉપરાંત રજીસ્ટ્રાર અમિત જાનીએ અગ્રીમ વિધિ કરી હતી.

  1. NFSU Convocation 2022: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કોનું નામ લઈને ગુજરાતની ધરતીને નમન કર્યું...
  2. રાજ્યપાલે દેશના સૌપ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- આ કાફે તો...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.