ETV Bharat / state

Marriage In Tribal Society: પ્રાચીન પરંપરા પ્રમાણે આદિવાસી સમાજમાં થાય છે લગ્ન, દરેક વિધિનું હોય છે ખાસ મહત્વ

author img

By

Published : Apr 20, 2022, 6:47 AM IST

આદિવાસી સમાજમાં આજે પણ પ્રાચીન પરંપરા મુજબ લગ્ન થાય છે. આદિવાસી સમાજમાં લગ્ન પહેલાના 3 દિવસ કરતા લગ્ન (Marriage In Tribal Society) બાદના 2 દિવસના રીત-રિવાજો ઘણાં અગત્યના હોય છે. આદિવાસી સમાજમાં લગ્નના પ્રાચીન રિતરીવાજોના કારણે છૂટાછેડાનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે.

પ્રાચીન પરંપરા પ્રમાણે આદિવાસી સમાજમાં થાય છે લગ્ન, દરેક વિધિનું હોય છે ખાસ મહત્વ
પ્રાચીન પરંપરા પ્રમાણે આદિવાસી સમાજમાં થાય છે લગ્ન, દરેક વિધિનું હોય છે ખાસ મહત્વ

છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજમાં લગ્ન (Marriage In Tribal Society) પહેલા 3 દિવસ અને લગ્ન બાદ પણ 2 દિવસની અનોખી પરંપરા મુજબ પ્રાચીન સમયની રીત-રસમો (Marriage rituals in tribes in Gujarat)ઉજવામાં આવે છે. પ્રાચીન ભારતીય જનજાતિ સમૂહમાં રાઠવા જાતિ (rathva caste in gujarat) એક એવી જાતિ છે કે, જેના પ્રત્યેક કાર્ય શુભ સંસ્કારથી કરવામાં આવતા હોય છે. રાઠવા જાતિ સદીઓથી ચાલતી આવતી પરંપરા અને રીતરિવાજોને આજે પણ સાચવી રહી છે.

રાઠવા જાતિ સદીઓથી ચાલતી આવતી પરંપરા અને રીતરિવાજોને આજે પણ સાચવી રહી છે

લગ્નનું આમંત્રણ મોકલવાની વિધિ- લગ્ન સંસ્કારની દરેક જાતિમાં અલગ-અલગ રીત-રસમો હોય છે અને દરેક સમાજ તે નિભાવે છે. છોટાઉદેપુર જિલ્લામાં વસતા રાઠવા સમુદાય (Wedding ceremony in tribes In Gujarat)માં સદીઓ જૂની પરંપરા મુજબ ગામના લોકોની સામૂહિક ભાગીદારીથી લગ્ન સંસ્કાર પાર પાડવામાં આવે છે. મુદ્રણ વ્યવસ્થા નહોતી તે સમયે ખાખરના પાનમાં હળદર મિશ્રિત ચોખા મૂકી પડીકી બાંધીને મહેમાનોને લગ્નનું આમંત્રણ મોકલવામાં આવતું હતું. આદિવાસી ભાષામાં આ વ્યવસ્થાને નોતરું કે નેવતું કહેવામાં આવે છે.

લગ્નનું અનાજ ગીત ગાતા ગાતા સાફ કરવામાં આવે છે- આજના આધુનિક યુગમાં એકથી એક ચઢિયાતી કંકોત્રી છપાવાવાનો ટ્રે્ન્ડ ચાલી રહ્યો છે. આદિવાસી સમાજમાં લગ્નના 2 દિવસ પહેલા ગામ (Tribes Village In Gujarat)ના લોકો ભેગા મળી કુળદેવી સમક્ષ ચોખાને ખાખરના પાનમાં મુકી પૂર્વજો તેમજ ગામે ગામના દેવતા, પહાડો અને ગામ લોકોને હળદર મિશ્રિત ચોખા મોકલી લગ્નનું આમંત્રણ પાઠવવામાં આવે છે. નોતરુંની વિધિ સાથે ગામની મહિલાઓ ઘરના નીપણ કામ દરમિયાન નીપણના ગીતો ગાતી હોય છે. કેટલીક મહિલાઓ લગ્નનું અનાજ પણ લગ્ન ગીત ગાતી ગાતી સાફ કરે છે.

આ પણ વાંચો: Chhotaudepur Theft Case : દિવસે રેકી કરી રાત્રે ચોરીને અંજામ આપતા 2 આરોપી ઝડપાયા

તેલ ચઢાવાની વિધિ- ગણેશ સ્થાપનાને આદિવાસી ભાષા (Tribal Dialect In Gujarat)માં તેલ ચઢાવવાની વિધિ કહેવામાં આવે છે. તેલ ચઢવવાના દિવસે મોડી સાંજે ગામ લોકો ભેગા થાય છે અને મહિલાઓ પ્રથમ ધરતી માતાના ગીત ગાતી હોય છે કે, "તેલા તેલા ચઢશે રે ધરતી માતા ને રે". ધરતીને તેલ ચઢવ્યા બાદ વરના માથામાં પાંદડી નાંખી તેલ નાંખવામાં આવે છે. ત્યારબાદ પીઠી ચોળી ચાંદીના ઘરેણાં પહેરાવવામાં આવે છે જે વરને લાડો કહેવામાં આવે છે.

ગામની સીમાડા પૂજવાની રીત- ગણેશ સ્થાપનાના બીજા દિવસે ઢોલ માંદલ સાથે નાચગાન કરતાં કરતાં ગામના સીમાડે આવેલા સીમ દેવની પૂજા-વિધિ કરવામાં આવતી હોય છે. સીમ દેવના ઝાડની આજુબાજુ નાચગાન કરી વરને ઘોડે બેસાડી રમાડવામાં આવે છે.

જાન જવાની રીત- સામાન્ય રીતે જાન રાત્રીના સમયે નીકળતી હોય છે, પરંતુ આદિવાસી સમુદાયમાં જાન વહેલી સવારે 4થી 5 વાગે નીકળતી હોય છે. 10 કિલોમીટરના વિસ્તારમાં જાન જવાની હોય તો નાચતાં નાચતાં ચાલતી જાન જતી હોય છે. જાન કન્યાના ઘરે પહોંચે તો જાનૈયાઓને કન્યાના મંડપમાં નહીં પણ દૂર અલગ પડાવ આપવામાં આવતો હોય છે. વરરાજાને આવી ન જાય ત્યાં સુધી જાનૈયાઓને કન્યાના મંડપમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જો કોઈ પ્રવેશ કરે તો દંડ લેવામાં આવે છે.

ચોખાની ચોરી બનાવવામાં આવે છે- કન્યા પક્ષના પંચો અને વર પક્ષના પંચો મળી વરરાજા તરફથી લાવવામાં આવેલા સોના-ચાંદી દાગીના અને કન્યાના કપડાંને સૂપડામાં મુકવામાં આવે છે. જો કન્યા પક્ષને પલ્લું માન્ય આવે તો પલ્લાંને વખાણવામાં આવે છે. જો પલ્લું માન્ય ન ગણાય તો જાનને એવીને એવી બેસાડી રાખવામાં આવે છે. ગામના પૂંજારા દ્વારા ઘરની ઓસરીમાં ચોખાની ચોરી બનાવવામાં આવે છે. વર અને કન્યાનેને ચોરીમાં પૂંજારા દ્વારા પરણવવામાં આવે છે. પરણાવવાની વિધી (marriage rituals in tribes gujarat) થયાં બાદ જાનને વળાવી દેવામાં આવે છે.

આ પણ વાંચો: Leopard attack in ChhotaUdepur : મુવાડા ગામે દીપડાએ ઘરમાં ઘૂસી હુમલો કરી પાછલા દરવાજેથી ભાગી છૂટયો

નવવધુએ 10 રૂપિયા ઉમેરીને આપવા પડે છે- લગ્ન સંસ્કાર એ પતિ-પત્નીને સામાજિક રીતે દામ્પત્ય જીવનની માન્યતા આપવાનો 5 દિવસનો ઉત્સવ હોય છે. લગ્ન પહેલાના 3 દિવસ કરતા લગ્ન બાદના 2 દિવસના રીત-રિવાજો આદિવાસી સમાજમાં ખૂબ અગત્યના હોય છે, જેને રીતનો દિવસ તરીકે ઉજવામાં આવે છે. વર-વધુને પરણાવ્યા બાદ ચાંદલા વિધિ દરમિયાન નવવધુને ગામના લોકો 50 રૂપિયા આપે તો નવવધુએ 10 રૂપિયા ઉમેરી 60 રૂપિયા આપવા પડે છે. જો કોઈ નવવધુને 100 રૂપિયા આપે તો નવવધુએ 110 રૂપિયા આપવા પડે છે.

વર-વધુને ખભે બેસાડી ઘોડે રામાડવાની વિધિ- મંગળ ફેરા બાદ ઘરની કુળદેવી સમક્ષ નવવધુના હાથે પૂજાવિધિ કરાવવામાં આવે છે. વર-વધુને ધોતી ઓઢાડી વાજતે-ગાજતે ઘરના વાડામાં બેસાડેલા પૂર્વજોનો પરિચય કરાવવા બાફેલા અડદ ધરાવવાની વિધિ કરવામાં આવે છે. ઘરના આંગણામાં વર-વધુને ખભે બેસાડી ઘોડે રામાડવાની વિધિ બાદ નવવધુને ઘરના પશુઓના છાણનો ટોપલો સાસુ દ્વારા ચઢવવામાં આવે છે. જ્યારે નવદંપતિને સંતાન પ્રાપ્તિની માન્યતા મુજબ દાળ વાટવાના પથ્થરને સફેદ ધોતીમાં લપેટીને વર-વધુ દ્વારા રમાડવાની રીત પણ કરાવવામાં આવતી હોય છે.

આણું વાળવાની રીત- કન્યા પક્ષના લોકો કન્યાને તેડવા આવે તેને આણું વાળવાની રીત કહેવામાં આવે છે. વરના ઘરેથી કન્યા પિયર જાય ત્યારે તેની સાથે અડદના ઢેબરાં ભરેલી ટોપલી મોકલવામાં આવે છે. તેને આણું વાળવાની રીત કહેવામાં આવે છે. આદિવાસી રાઠવા સમુદાયમાં લગ્નસંસ્કાર એક સપ્તાહ સુધી ચાલે છે. લગ્ન બાદ અનેક જટીલ રીત-રિવાજો હોય છે. કોઈ કારણસર પતિ-પત્ની વચ્ચે વિવાદ ઊભો થાય અને છૂટાછેડા સુધી વાત આવે ત્યારે પંચો દ્વારા જૂની રીત-રસમોને યાદ કરાવવામાં આવે છે. જેથી આદિવાસી સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.