ભાવનગરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા
નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો
લોકોના ઘરોમાં પાણી ભરાતા મહાનગરપાલિકાની પોલ ખુલી
ભાવનગર : કુંભારવાડા વિસ્તાર પછાત વિસ્તાર છે. બે ઇંચ વરસાદ વરસતાની સાથે પાણી ઘરમાં ઘુસી જાય છે. 22 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં સમસ્યા હલ થઈ નથી. ત્યારે શાસકો એમ કહીને છૂટી જાય છે કે, વરસાદ બંધ પડતા પાણી ઉતરી જશે, પણ ચાલુ વરસાદે પાણી ઘરમાં ઘુસી જાય અને ઘરની ચીજવસ્તુઓ પાણીમાં તરતી થાય તેવા દ્રશ્યોને રોકવાનો શુ ઉપાય કરવાનું પુછતાં તેમની પાસે તેનો કોઈ જવાબ નથી હોતો. આજે પણ બે ઇંચ વરસાદ વરસતા ગરીબ પછાત વર્ગને પાણીની હાલાકીનો સામનો તો કરવો પડી રહ્યો છે.
ભાવનગર શહેરમાં વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત તો મળી હતી. પરંતુ કોરોના મહામારીમાં નીચાણવાળા વિસ્તાર કુંભારવાડા અને માઢિયા રોડ પર પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોના ઘરમાં અને આવેલા અલંગના ડેલાઓમાં પાણી ભરાયા હતા. વરસાદનું જોર સવારમાં સારું હોવાથી સતત ધોધમાર વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
શહેરમાં બે ઇંચ વરસાદ વરસતાની સાથે ભાવનગર મહાનગરપાલિકાની પોલ ખુલી જાય છે. આ વરસાદમાં પણ દર વર્ષે આશરે 30 લાખનો ધુમાડો કરતી મનપાની પોલ અહીં ખુલ્લી પડી ગઈ હતી. માઢિયા રોડ અને કુંભારવાડા જેવા પછાત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી હતી. ભાવનગરમાં 22 વર્ષથી શાસનમાં બેસેલી ભાજપ પણ સમસ્યાનો હલ કરવામાં નિષ્ફળ રહી છે. કુંભારવાડામાં ભરાઇ જતા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા નહીં હોવાને પગલે વારંવાર આ પ્રકારની સમસ્યા ઉભી થઇ રહી છે. વરસાદી પાણી દરિયા સુધી પહોચાડવામાં આવતા દબાણો ક્યાંક કારણભૂત હોવાનું માનવામાં આવે છે. ત્યારે પ્રશ્ન ઉભો એ થાય છે કે, મત માંગતા સમયે ગાય બની જતા અને શાસનમાં આવ્યા પછી સિંહ બની જતા નેતાઓ શુ આ સમસ્યાને હલ કરી શકશે ?