ETV Bharat / state

ભાવનગર : રો-રો ફેરી સર્વિસના પ્રારંભથી આજદિન સુધીનો સંપૂર્ણ હિસાબ, જૂઓ વિશેષ અહેવાલ...

author img

By

Published : Nov 2, 2020, 10:54 PM IST

Updated : Nov 8, 2020, 11:18 AM IST

રો રો ફેરી સર્વિસ
રો રો ફેરી સર્વિસ

ભાવનગરની રો-રો ફેરી સર્વિસ વડાપ્રધાનનો ડ્રિમ પ્રોજેકટ અંતે કેન્દ્ર સરકારે હસ્તગત કરવો પડ્યો છે. શું છે રો રો ફેરી સર્વિસ પાછળનું રાજકારણ? શા માટે કેન્દ્રને હાથમાં લેવો પડ્યો પ્રોજેકટ? રો-રો ફેરી શા માટે? રો રો ફેરીથી ભાવનગરની કઇ રીતે થશે કાયાપલટ? સંપૂર્ણ રો રો ફેરી સર્વિસના પ્રારંભથી આજદિન સુધીનો હિસાબ જુઓ આ વિશેષ અહેવાલમાં...

  • ભાવનગરની રો-રો ફેરી સર્વિસ વડાપ્રધાનનો ડ્રિમ પ્રોજેકટ
  • શું છે રો રો ફેરી સર્વિસ પાછળનું રાજકારણ?
  • રો રો ફેરીથી ભાવનગરની કઇ રીતે થશે કાયાપલટ?
    રો રો ફેરી સર્વિસના પ્રારંભથી આજદિન સુધીનો સંપૂર્ણ હિસાબ

ભાવનગર : પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી 2012માં ભાવનગરના વિકાસ માટે ડ્રિમ પ્રોજક્ટ રો રો ફેરી સર્વિસનું ખાતમુહૂર્ત કર્યું હતું અને બાદમાં દોઢ વર્ષમાં પૂર્ણ કરી ભાવનગરના દ્વાર ખોલવાની જાહેરાત કરી દીધી હતી. દરિયાઈ પરિસ્થિતિને જાણ્યા વગર કે નસીબનો વાંક કઢીને રો રો ફેરી દોઢ વર્ષને બદલે 5 વર્ષે પૂર્ણ થઇ અને તે પણ માત્ર ફેરી સ્વરૂપે જ. જો કે, એક વર્ષ બાદ રોપેક્ષ વાહન લઇ જતી ફેરીનો પ્રારંભ કર્યો હતો, પણ કોઈ ગ્રહણ આડે આવતું હોય તેમ વારંવાર ફેરી બંધ શરૂ બંધ શરૂ થતી રહી હતી. તેમાં વિક્ષેપ ઘણા હતા અને છેલ્લે અંતમાં ઓક્ટોબર ૨૦૧૯માં બંધ થયા બાદ આ ફેરી હજૂ બંધ છે. ત્યારે હવે દેશના વડાપ્રધાન માદીનો ડ્રિમ પ્રોજેક્ટ પુનઃ શરૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે જોઈએ રો રો ફેરીની એક એક ઝલક.

રો રો ફેરી સર્વિસ
રોપેક્ષની સેવાની શું હતી માગ? વડાપ્રધાન હવે એ માગ સતોષશે?

રો રો ફેરી શરૂ કરવાનો ડ્રિમ પ્રોજેક્ટ કેમ?

ભાવનગરના રજવાડાના સમયમાં ભાવનગર અને ઘોઘા બંદર હતા. જેમાં મરી મસાલાનો મોટો વ્યપાર ચાલતો હતો. એક બાદ એક વાહણોની કતારો લાગી રહેતી હતી. રજવાડાના સમયમાં પરિવહન ક્ષેત્ર દરિયાઈ કેટલું સફળ રહે તેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. વસ્તુ સસ્તી હતી અને દેશ વિદેશ અને ભારતની ચીઝો સરળતાથી ભાવનગર પહોંચતી હતી. આશરે 200થી 300 વર્ષ જૂની આ વાત છે જે ઇતિહાસના પન્ને પણ છે. અંગ્રેજોએ દરિયાઈ પરિવહનના કારણે એશિયાનો સૌથી મોટો લોકગેટ ભાવનગર બંદર પર બનાવ્યો હતો, જે આજે પણ અડીખમ છે. મતલબ સાફ હતો કે, દરિયાઈ પરિવહન વધે અને બે જમીની સ્થળોને જોડવામાં આવે તો જમીની માર્ગ દૂર છે તેને નજીક લાવી શકાય અને વિકાસના દ્વાર ખોલી શકાય. આ બાબતને લઈને દિર્ઘદ્રષ્ટિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ડ્રિમ પ્રોજેક્ટને પૂરો કરવાનો નિશ્ચય કરી લીધો હતો.

રો રો ફેરી સર્વિસ
કેન્દ્ર પાસે ગયા બાદ હવે વડાપ્રધાનની ગોવા પ્રોજેક્ટની ઈચ્છા થશે સફળ

રો રો ફેરીને સાકાર ક્યારે કરવામાં આવી? અને શરૂઆત કેવી રહી?

વર્ષ 2012માં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગર બંદર નહીં પણ ઘોઘાને પસંદ કર્યું હતું. આશરે 300 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટને હાથ ધરવામાં આવ્યો અને તેનું ખાતમુહુર્ત પણ 2012માં જ કરવામાં આવ્યું હતું. ઘોઘા દરિયા કિનારેથી અંદર અડધો કિલોમીટર જેટી બનાવવામાં આવી હતી. તેવી રીતે દહેજમાં પણ જેટી બનાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખાતમુહુર્ત કરતા સમયે પૂર્વ મુખ્યપ્રધાને પ્રોજેક્ટ દોઢ વર્ષમાં પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી, પણ દરિયાઈ પરિસ્થિતિને કારણે આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૧૪ના બદલે 2017મા પૂર્ણ થયો હતો. પાંચ વર્ષે પૂર્ણ થયેલા પ્રોજેક્ટમાં રોપેક્ષ ફેરી શરૂ કરી શક્યા નહીં, પણ રો રો ફેરી માત્ર શરૂ કરવામાં આવી હતી. ત્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બની ગયા હતા અને ૨૨ ઓક્ટોબર, 2017ના દિવસે વિકલાંગ બાળકો સાથે વડાપ્રધાન રો રો ફેરીમાં બેસીને ઘોઘાથી દહેજ સુધી ગયા હતા. આ ફેરીમાં માત્ર પ્રવાસીઓ જ જઈ શકતા હતા. જેમાં આશરે 250 લોકોની ક્ષમતા હતી, પણ પ્રોજેક્ટને પ્રજાએ સહકાર આપી ફેરીનો લાભ લેવાની શરૂઆત કરી હતી.

રો રો ફેરી સર્વિસ
રોપેક્ષ પગલે અટકળો અને વિપક્ષ વાર

ફેરી બાદ રોપેક્ષનો પ્રારંભ અને મુશ્કેલીઓ

ફેરી કરનારા શીપમાં માત્ર પ્રવાસીઓ જ જઈ શકતા હતા. ત્યારે ભાવનગરના વ્યાપાર જગતની નજર વાહનો લઇ જતા રોપેક્ષ પર નજર હતી. ત્યારે ફેરીના એક વર્ષ બાદ ૨૦૧૮માં ઓક્ટોબર આસપાસ રોપેક્ષ શરૂ કરવામાં આવી અને વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટને પુનઃ શરુ કરવા રોપેક્ષના રૂપમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફરી ઉદ્ઘાટન કાર્યક્રમ યોજ્યો હતો. કારણ કે, માથે ચૂંટણી આવી રહી હતી. આ રોપેક્ષ માંડ થોડો સમય ચાલ્યો હશે અને દહેજ ખાતે ડ્રેજિંગનો પ્રશ્ન પડકાર બની સામે આવ્યો. જેના પગલે વારંવાર બે ચાર મહિનાના અંતરે રોપેક્ષ એક મહિનો કે તેનાથી વધુ સમય બંધ રહી હતી, કારણ હતું. ડ્રેજિંગ જેની જવાબદારી ગુજરાત GMBની હતી, પરંતુ ડ્રેજિંગમાં રાજ્ય સરકારે વારંવાર કરોડો ખર્ચ્યા હતા. ભાવનગરના ઘોઘામાં પણ ડ્રેજિંગ કરાવવાની ફરજ પડી હતી. ડચકા ખાતા ખાતા પણ આ રોપેક્ષની સેવા ચાલુ રહી હતી. જેથી કંપનીને પણ કરોડોનું નુકસાન થતું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ રોપેક્ષ છેલ્લે ઓક્ટોબર 2019થી બંધ કરવામાં આવી હતી.

રો રો ફેરી સર્વિસ
રોપેક્ષ માટેનું જહાજ વેયોજ સિમ્ફનીની ક્ષમતા અને મર્યાદા

રોપેક્ષ માટેનું જહાજ વેયોજ સિમ્ફનીની ક્ષમતા અને મર્યાદા

રોપેક્ષ સેવા શરૂ કરવા માટે DG C એટલે ઈન્ડિગો સી કંપનીને પ્રોજેક્ટ સોપવામાં આવ્યો છે. વિયોજ સિમ્ફની જહાજ જૂનું અને કોરિયન છે. તેની ક્ષમતા ૫૨૫ પ્રવાસી, ૮૦ કાર અને ૩૦ ટ્રક લઈ જવાની છે. વિયોજ સિમ્ફની જેટી પર ઉભુ રાખવા માટે પાણીમાં ૫ મીટરની ઊંડાઈ જરૂરી છે. ત્યારે ઘોઘા અને દહેજમાં ૨થી ૩ મીટર ઊંડાઈ મળે છે, તેથી વારંવાર ત્યાં ડ્રેજિંગ કરવું પડે છે. કારણ કે, વરસાદની સિઝનમાં આવતા માટીની આવક થાય છે. દહેજ ખાતે તો દરિયાઈ ભરતી ઓટમાં પણ દરિયાઈ માટી આવી જાય છે. એક સમયે દહેજથી આવતા સમયે વિયોજ મધદરિયે સિમ્ફનીનું એન્જિન ફેઇલ થઇ જવાને કારણે લંગારીને લાવવાની ફરજ પડી હતી. એટલે પ્રોજેક્ટ સોંપતા પહેલા મુશ્કેલીઓ સામે આવતી રહી છે.

રો રો ફેરી સર્વિસ
ફેરી બાદ રોપેક્ષનો પ્રારંભ અને મુશ્કેલીઓ

રોપેક્ષ પગલે અટકળો અને વિપક્ષ વાર

રોપેક્ષ શરૂ કરતા પહેલા જ્યારે ખાતમુહુર્ત કરવામાં આવ્યું ત્યારે બુદ્ધિજીવીઓ દ્વારા પ્રોજેક્ટ અસંભવ હોવાનું જણાવ્યું હતું. કારણ કે, ભાવનગરનો દરિયો કરંટ વાળો છે અને ત્યા કાપ વારંવાર ભરાતો હોવાના કારણે ડ્રેજિંગ સમસ્યા ઉભી થવાના અનેક સંકેતો હતા, પરંતુ તત્કાલીન મુખ્યપ્રધાનને કોઈ પણ સંજોગોમાં પ્રોજેક્ટ કરવો હતો અને પહેલી રોપેક્સ ચલાવીને સાબિત પણ કરી દેવામાં આવ્યું કે રો રો ફેરી અશક્ય નથી, પણ રાજ્ય સરકારની ઉદાસીનતાને કારણે રોપેક્સ ફેરી લાબા સમય સુધી બંધ રહેતી હતી. કારણ કે, સમયસર તેનું ડ્રેજિંગ થતું ન હતું. એક બે વખત રોપેક્સ દહેજમાં કાપમાં ફસાઈ ગયું હતું ત્યારે વિપક્ષે સરકાર પર આકરા પ્રહાર કર્યો હતો કે, જ્યાં શક્ય નથી ત્યાં પ્રોજેક્ટ કરીને પ્રજાના પૈસાનું પાણી કરવામાં આવી રહ્યું છે.

રો રો ફેરી સર્વિસ
રો રો ફેરીને સાકાર ક્યારે કરવામાં આવી? અને શરૂઆત કેવી રહી?

રોપેક્ષ સેવા શરૂ રહી ત્યાં સુધી કેટલો ફાયદો થયો

૨૦૧૮માં રોપેક્ષ સેવા શરૂ થવાની સાથે પ્રજામાં ઉત્સાહ હતો. પરિવહન કરતા લોકો સાથે મિટિંગ કરીને ટ્રક અને ટ્રાવેલ્સ લઇ જવા મિટિંગો થઇ અને સફળતા પણ મળી હતી. જેથી સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ ટૂંકા સમયમાં વતનમાં આવતા હતા. કારણ કે, સુરતથી ભાવનગર 10 કલાક થતી હતી જે ૩ કલાકના સમયમાં ભાવનગર પહોંચતા હતા. ત્યારે પ્રજાને ખ્યાલ આવ્યો કે, દેશના વડાપ્રધાનનો પ્રોજેક્ટ ડ્રિમ શા માટે છે એ પ્રજાને પણ સમજાઈ ગયું હતું કે, રાજ્ય સરકારની નબળાઈના કારણે સેવા અવિરત ચાલુ રહી શકતી નથી. રોપેક્ષ ચાલુ રહી ત્યારે ૩ લાખ ૩૧ હજાર પ્રવાસીઓએ પ્રવાસ કરી અને ૭૦૦૦ વાહનોનું પરિવહન થયું હતું.

રો રો ફેરી સર્વિસ
રો રો ફેરીને સાકાર ક્યારે કરવામાં આવી? અને શરૂઆત કેવી રહી?

પ્રોજેક્ટ કેટલાનો અને કેટલો ખર્ચ થયો, કેમ ન મળી સફળતા?

વડાપ્રધાનનો ડ્રિમ પ્રોજેક્ટ આશરે ૩૦૦ કરોડનો હતો. જે પાંચ વર્ષમાં રાજ્ય સરકારે સંચાલન કરતા સમયે ૬૦૦ કરોડ ખર્ચ થયો હતો. લોકોએ ૩૦૦ કે ૬૦૦ કરોડ પ્રોજેક્ટ પૂર્ણ થાય અને સેવા મળે તેનાથી મતલબ રાખ્યો હતો. તેમ પણ છતાં સેવા અવિરત શરૂ રહી ન હતી. જેથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને છેલ્લે કરોડના આંધણ બાદ પણ રાજ્ય સરકાર તેને ચલાવવામાં અક્ષમ રહી હતી.

રો રો ફેરી સર્વિસ
રો રો ફેરી શરૂ કરવાનો ડ્રિમ પ્રોજેક્ટ કેમ?

રોપેક્ષની સેવાની શું હતી માગ? વડાપ્રધાન હવે એ માગ સતોષશે?

સૌરાષ્ટ્રવાસીઓમાં કનેક્ટિવિટી એટલે ટૂંકા જોડાણની જરૂરિયાત છે. ત્યારે વિકાસ માટે વડાપ્રધાનનો ડ્રિમ પ્રોજેક્ટ એક આશા લઈને આવ્યો હતો અને જ્યારે પ્રારંભ થયો ત્યારે ભાવનગર આગામી 10 વર્ષમાં વિકાસના પંથે ઘણું આગળ નીકળશે તેવી આશા હતી, પરંતુ પ્રોજેક્ટની દૂર્દશા જોઇને અંતે લોકોમાં નિરાશા વ્યાપી ગઈ છે. કારણ કે, હવે આગામી 8 નવેમ્બરના દિવસે પુનઃ તેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને વડાપ્રધાન ખુદ તેનો પ્રારંભ કરાવશે. હજીરા ખાતે બનેલી નવી જેટીનું પણ લોકાર્પણ વર્ચ્યુઅલ રીતે વડાપ્રધાન મોદી કરશે. જેથી સુરતવાસીઓ સૌરાષ્ટ્રમાં ટૂંકું જોડાણ મેળવી શકે છે, આશરે ૩ કલાકમાં હજીરાથી ભાવનગરના ઘોઘા ખાતે આવી શકાશે અને દિવસની 3 ટ્રીપ જહાજ દ્વારા કરવામાં આવશે.

રોપેક્ષ રાજકોટ ભાવનગરની વિકાસની દોડમાં શું? રાજકરણ પ્રજાની દ્રષ્ટીએ શું ?

આ વાત એવી છે કે, જે તમને જાહેરમાં સંભાળવા નહીં મળે. હા આ બે શહેરો વચ્ચેની વિકાસની દોડ છે, જે વર્ષોથી ચાલી આવી છે. વિકાસની દોડમાં ભાવનગર પાછળ રહ્યું છે અને રાજકોટ આગળ નીકળી ગયું છે. એટલું નહીં ભાવનગરને પાછળ રાખવા વિકાસના કામોને વેગ નહીં આપવામાં આવતો હોવાનો પણ કેટલાક લોકોના મુખે સંભાળવા મળ્યું છે, પણ ૨૦૧૨મા જ્યારે વડાપ્રધાન નરેદ્ર મોદી મુખ્યપ્રધાન હતા, ત્યારે તેમનો ડ્રિમ રો રો ફેરો પ્રોજેક્ટ ભાવનગરની સકલ બદલશે અને વિકાસના પંથે ભાવનગરને આગળ જવામાં ફાયદો થશે, જેથી રોજકોટની સાઈડ કાપી શકશે, પણ જે રીતે રાજકોટના મુખ્યપ્રધાન રહેલા વિજયભાઈ રૂપાણીની સરકારે રોપેક્ષ સેવાને અવિરત ચલાવવામાં સફળતા મેળવી નહીં. તેથી લોકોને પુનઃ શંકા પેદા થઇ હતી કે, ભાવનગરને વિકાસના પંથે આગળ નહીં વધવા દેવામાં આવે કારણ કે, પ્રદેશ પ્રમુખ ભાવનગરના હોઈ શિક્ષણ પ્રધાન હોય અને કેન્દ્રીય કેબીનેટ પ્રધાન હોવા છતાં એક સેવા સરકાર આપી શકતી નથી. ત્યારે ભાવનગરની નબળી નેતાગીરી હંમેશા સાબિત થઇ છે અને આજે એ પણ સામે આવી રહી છે.

ડ્રિમ પ્રોજેક્ટને શરૂ રાખવા નેતાની ચાલ અને સંચાલનમાં શું ફેરફાર કરવામાં આવ્યો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટને રાજ્ય સરકાર ચલાવી શકી નહીં અને પોર્ટ પર ડ્રેજિંગને લઈને ૧૦૦ કરોડ જેટલો તોતિંગ ખર્ચ આવતો હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેથી ભાવનગરની નબળી નેતાગીરીમાં એક પાસું મજબુત સામે આવ્યું અને તે છે ભાવનગરના કેન્દ્રીય કેબીનેટ પ્રધાન મનસુખ માંડવીયા જેની પાસે શિપિંગ વિભાગ પણ છે. આથી સમગ્ર પ્રોજેક્ટને રાજ્ય સરકાર પાસેથી છીનવી લેવામાં આવ્યો છે અને કેન્દ્રના એક શિપિંગ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. જે કારણે હવે સંચાલન કેન્દ્ર સરકાર હસ્તક થઇ ગયું છે. નબળી નેતાગીરી માનો કે પછી રાજકોટ ભાવનગરના વિકાસની દોડમાં બન્ને શહેરના નેતાઓ પણ દોડમાં હતા. ત્યારે હવે પાસું બદલાઈ ગયું છે. ત્યારે જોવાનું એ રહેશે કે, સૌરાષ્ટ્ર ટૂંકા જોડાણથી રોપેક્ષથી જોડાયેલું રહેશે તો ભાવનગર વિકાસની દોડમાં આગળના વર્ષોમાં જરૂર આગળ નીકળશે અને મિની બોમ્બેની કહેવાતી વાતું પ્રમાણે જરૂર મિની બોમ્બે બનશે. તેવી ચર્ચા લોકોમાં હાલ ચર્ચાઇ રહી છે.

કેન્દ્ર પાસે ગયા બાદ હવે વડાપ્રધાનની ગોવા પ્રોજેક્ટની ઈચ્છા થશે સફળ

ભાવનગરના હજીરાથી લઈને ઘોઘા સુધી રોપેક્ષ સેવા શરૂ થવાના કારણે સૌરાષ્ટ્રવાસીઓ સુરતના આશરે ૨૦ લાખ લોકો તો જોડાઈ જશે, પણ સૌથી વધુ ફાયદો ટ્રક લઈને જતા ચાલકો અને પરિવહન સાથે સંકળાયેલા લોકોને થશે. આર્થિક ફાયદો અને સમયનો સૌથી મોટી બચતનો ફાયદો થશે. કારણ કે, મુંબઈ માટે ૧૨ કલાક જેટલો પ્રવાસ થાય છે, તે કદાચ બની શકે કે ૭થી 8 કલાકમાં સમાપ્ત થાય પણ ડ્રિમ પ્રોજેક્ટમાં માત્ર હજીરાથી ઘોઘાનો સમાવેશ નથી. કારણ કે, જ્યારે જાહેરાત થઇ ત્યારે મુંબઈ, ગોવા સુધી રો રો ફેરીઓ શરૂ કરવાની તૈયારી દર્શાવી હતી. જો રોપેક્ષ સફળ થાય તો અન્ય કંપનીઓ મેદાનમાં આવે અને પરિવહન સરળ અને સસ્તુ થાય તેમજ મોંઘવારી પર પણ કાબુ મેળવી શકાય અને સમયની બચત સાથે વિકાસ કરી શકાય. આ ડ્રિમ પ્રોજેક્ટની દોરી વડાપ્રધાન મોદીએ મનસુખ માંડવિયાના હાથમાં આપવામાં આવી છે, હવે જોવાનું એ રહેશે કે આ પ્રોજેક્ટ સફળ રહેશે કે કેમ?

Last Updated :Nov 8, 2020, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.