ભાવનગર : ભાવનગર શહેરની નાગરિક સહકારી બેંકમાં છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત પેનલનો દબદબો હતો. ભાજપે જોરશોર અને સંગઠનના પ્રચાર પ્રસાર કરીને ડાયરેક્ટરની ચૂંટણીમાં જીત મેળવી છે. 34 તારીખે યોજયેલ મતદાન બાદ સાંજે શરૂ થયેલી મતગણતરી બીજા દિવસ સવાર સુધી ચાલી હતી. રાજકીય વિશ્લેષકોએ ગઢ બનાવી ચુકેલી પેનલના હારના કારણોનું વિશ્લેષણ કર્યું છે. જાણો આ ખાસ અહેવાલમાં...
રાજકીય પ્રેરિત પેનલો : ભાવનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી જાહેર થતાં જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓની એક પેનલ મેદાનમાં આવી ગઈ હતી. જોકે ભાજપના નેતા ધર્મેન્દ્ર મહેતાએ ચેરીટી કમિશનરમાં ઘા જીકી ચૂંટણીને ગેરવ્યાજબી ગણાવી રોકી હતી. પરંતુ ત્યારબાદ હાઇકોર્ટમાં ઘા જીકવામાં આવતા હાઈકોર્ટે ચૂંટણીની મંજૂરી આપી હતી. ભાજપના સુરેશ ધાંધલીયા દ્વારા એક પેનલ ઊભી કરવામાં આવી, જ્યારે આમ આદમી પાર્ટીના ભરત કોટીલાએ પોતાની પેનલ ઊભી કરી હતી. તો બીજી તરફ વર્ષોથી ગઢ જમાવી બેઠેલા અને ચાલુ ડાયરેક્ટરમાં રહેલા જીતુ ઉપાધ્યાયની પેનલ અસ્તિત્વમાં રહી હતી. જોકે તેને કોંગ્રેસનો ટેકો હતો. પરંતુ નવાઈની વાત તો એ હતી કે, આમ આદમી પાર્ટીના ભરત કોટીલાની પેનલમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ સામેલ હતા.
ભાવનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી : નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર વિધાનસભાની ચૂંટણી હોય તે રીતે કરવામાં આવ્યો હતો. દરેક મોટા શહેરના નેતા મેદાનમાં આવી ગયા હતા. જોકે દરેક પેનલ દ્વારા પોતાનું એક કાર્યાલય ઊભું કરવામાં આવ્યું અને રાત દિવસ તેમાં મતદારોને રીઝવવા માટે યોજનાઓ ઘડાતી હતી. ભાજપ દ્વારા સભાસદોને આકર્ષવા માટે રેલીઓ પણ યોજવામાં આવી હતી. તેમના ઘરે-ઘરે મળવા સુધીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. નાગરિક સહકારી બેંકમાં 11 ડાયરેક્ટરની ચૂંટણી માટે અંદાજે 24,687 જેટલા સભાસદો મતદાન કરવાના હતા. ત્યારે 24 તારીખના રવિવારના રોજ સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ અને સાંજે છ કલાક સુધી ચાલી હતી. જોકે સાંજે છ કલાક બાદ મત મતગણતરીનો પ્રારંભ થયો હતો. જે આજે બીજા દિવસ સુધી સવારે 11 કલાક સુધી ચાલ્યો હતો.
ચૂંટણીનું પરિણામ : રવિવારના સાંજે 24 તારીખના રોજ મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બેલેટ પેપર હોવાથી પ્રથમ 3 ટેબલ મૂકવામાં આવ્યા હતા. ગણતરી શરૂ કર્યા બાદમાં બીજા ત્રણ ટેબલ મૂકવામાં આવ્યા અને ગણતરીને વેગ આપવામાં આવ્યો હતો. જોકે રાત્રિ દરમિયાન નેતાઓ અને કાર્યકરો ઝોલે ચડ્યા હતા. આ પરિસ્થિતિમાં પણ ગણતરી સવારે 11 કલાક સુધી ચાલુ રહી હતી. ત્યારે 11 કલાકની આસપાસ બેઠકનું પરિણામ સ્પષ્ટ થઈ ગયું હતું. જેમાં ભાજપ 10 બેઠક ઉપર આગળ રહ્યું. ત્યારે જૂનો ગઢ ગણાતા અને ચાલુ ડાયરેક્ટ રહેલા જીતુભાઈ ઉપાધ્યાયની પેનલમાં એકમાત્ર જીતુભાઈ જીત્યા હતા. જોકે ત્યારબાદ ભાજપે વિજય સરઘસ યોજીને ઉજવણી કરી હતી.
ભાજપની જીતનું રાજકીય વિશ્લેષણ : ભાવનગરમાં નાગરિક સહકારી બેંકની સ્થાપના મહાજને કરી હતી. મુખ્ય સ્થાપક વેણીલાલ મગનલાલ પારેખ હતા. ત્યારબાદ જે રીતે કોંગ્રેસ પ્રેરિત લોકો આવ્યા ત્યારથી રાજકારણનો પ્રવેશ થયો હતો. ત્યારે ભાવનગરના પીઢ પત્રકાર અને રાજકીય વિશ્લેષક મહેન્દ્રભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનું નામ આપવામાં આવ્યું તે પત્તનની પ્રથમ નિશાની છે. સહકારી ક્ષેત્ર રાજકીય પ્રવેશ થયો હતો. જોકે હાલમાં જીતુભાઈની પેનલમાં આંતરિક બળવો થયો હતો. આથી ત્રીજી પેનલ અસ્તિત્વમાં આવી જેણે ભાજપનો ટેકો પણ માંગ્યો, પરંતુ મળ્યો નહીં. ભાજપે પોતાની પેનલ ઊભી રાખી અને પોતાના સંગઠનનો પરચો બતાવ્યો. સત્કર્મ હોય કે દુષ્કર્મ તેમાં સંગઠન મહત્વનો ભાગ ભજવે છે.
નવા ડાયરેક્ટર : નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં 35 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ભાજપ 10 ડાયરેક્ટર પદ મેળવવામાં સફળ રહ્યું છે. ભાજપની જીત મેળવનાર પ્રથમ સુરેશભાઈ ધાંધલીયા, ધર્મેન્દ્ર રજનીકાંતભાઈ મહેતા, જલ્પેશ અંબાલાલભાઈ ભટ્ટ, કિરીટ રવજીભાઈ માંગુકિયા, મિહિર કિશોરભાઈ શાહ, ગીતાબેન મહેશભાઈ વાજા, પ્રભાતસિંહ ગોહિલ, અશોક ઓધવજીભાઈ વળોદરા, રામભાઈ મેપાભાઇ રાઠોડ, સીમાબેન કમલેશભાઈ કેસરીનો સમાવેશ થાય છે. ત્યારે જુના ડાયરેક્ટર જીતુભાઈ ઉપાધ્યાયની પેનલમાંથી જીત મેળવવામાં એકમાત્ર જીતુભાઇ ઉપાધ્યાય પોતે સફળ રહ્યા છે.