ETV Bharat / state

Banaskantha News : માલોત્રાના ખેડૂતોની એક અવાજે માગણી, વરસાદી પાણીથી જમીન ધોવાણનો સર્વે કરી સહાય આપો

author img

By

Published : Jul 5, 2023, 7:46 PM IST

બનાસકાંઠામાં ભારે વરસાદથી ઘણાં ગામોના ખેતરોમાં પાક નુકસાની સાથે જમીન ધોવાણ જોવા મળી રહ્યું છે. ધાનેરાનું માલોત્રા ગામ, જેના ખેતરોમાં રાજસ્થાન તરફથી પાણી વહી આવ્યાં હતાં ત્યાં જમીન ધોવાણ મોટાપાયે થયું છે. ત્યારે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેથી સરકાર તરફથી ઝડપી સહાયની માગણી કરવામાં આવી છે.

Banaskantha News : માલોત્રાના ખેડૂતોની એક અવાજે માગણી, વરસાદી પાણીથી જમીન ધોવાણનો સર્વે કરી સહાય આપો
Banaskantha News : માલોત્રાના ખેડૂતોની એક અવાજે માગણી, વરસાદી પાણીથી જમીન ધોવાણનો સર્વે કરી સહાય આપો

ઝડપી સહાયની માગણી

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક તાલુકાઓમાં તબાહી સર્જાઈ છે. ખાસ કરીને રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણી અનેક તાલુકાઓમાં ઘૂસી જતા હાલમાં ખેડૂતોને પાક નુકસાની અને જમીન ધોવાણમાં સૌથી વધુ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. રાજસ્થાનમાંથી અનેક નદીઓ બનાસકાંઠા જિલ્લાના સરહદને અડીને આવેલા તાલુકાઓમાંથી પસાર થાય છે. ત્યારે રાજસ્થાનમાંથી આવતી રેલ નદીનું પાણી વહેણ બદલતાં એ પાણી ધાનેરા તાલુકાના અનેક ગામોમાં ઘૂસ્યું હતું જેના કારણે ધાનેરા તાલુકાના અનેક ખેતરોમાં જમીન ધોવાણ થતા કરોડો રૂપિયાનું નુકસાન સામે આવ્યું છે.

રાજસ્થાનના વરસાદી પાણી ધાનેરા તાલુકામાં પ્રવેશ્યા : બનાસકાંઠા જિલ્લાનો ધાનેરા તાલુકો રાજસ્થાનની સરહદને અડીને આવેલો તાલુકો છે. જેના કારણે દર વર્ષે રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે ધાનેરા તાલુકામાં વરસાદી પાણી ઘૂસતાં ખેતી જમીનને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. બિપરજોય વાવાઝોડા બાદ તાજેતરમાં જ રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદને લઈ ધાનેરાના અનેક ગામોમાં ખેતરોમાં રાજસ્થાન તરફથી પાણી ધાનેરા તાલુકામાં પ્રવેશ્યા હતાં. જેના કારણે ખેડૂતોને સૌથી મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

થોડા દિવસ અગાઉ જે વરસાદ પડ્યો તેમાં ઉપરવાસમાં ભારે વરસાદ હતો જેના કારણે રેલ નદીમાં પાણી આવ્યું હતું અને રેલ નદીનું પાણી ખેતરોમાં ઘૂસ્યું અને ત્યાંથી પાણી ખેતરોમાં આવ્યું જેના કારણે અમારા ગામમાં અનેક ખેતરો ધોવાયા છે જેમાં અમારી મગફળી ધોવાઈ ગઈ છે સંપૂર્ણ તણાઈ ગઈ છે. અને જમીન પણ મોટા મોટા ખાડા પડી ગયા છે જમીન પણ ધોવાઈ ગઈ છે તેથી લાખો રૂપિયાનું નુકસાન છે તો અમારા ગામમાં હજી સર્વે થયું નથી તેથી અમે સરકાર પાસે આશા રાખીએ છીએ કે અમારા ગામમાં તાત્કાલિક સર્વે થાય અને અમને યોગ્ય સહાય મળે તો અમારા ખાતર બિયારણના પણ રૂપિયા મળે નહીંતર અમારી પરિસ્થિતિ ખૂબ કફોડી છે...જયંતિભાઈ ચૌધરી(ખેડૂત)

સર્વે ત્રણથી ચાર દિવસમાં પૂર્ણ કરાશે : આ બાબતે ઈટીવી ભારત દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે ટેલિફોનિક વાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં સર્વેની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં મોટાભાગે નુકસાન ધાનેરામાં થયું હતું. જેમાં ધાનેરા તાલુકાના 27 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ જે રેલ નદીમાં પાણી આવતું હતું તેની જગ્યાએ પાણી એનો માર્ગ ડાયવર્ટ થઇને અન્ય ખેતરોમાં ઘૂસ્યું. જે નુકસાન થયું છે તેવી રજૂઆત તાજેતરમાં સરપંચો અને આગેવાનો દ્વારા કરવામાં આવી ત્યારે ફરી 43 ગામોના સર્વેની કામગીરી હાલ ચાલી રહી છે. જે ગામો સર્વેમાંથી બાકાત રહી ગયા છે તેનું સર્વેનું કામ ત્રણથી ચાર દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

તમામ ખેતરો ધોવાઈ ગયા : ઈટીવી ભારતની ટીમ ધાનેરા તાલુકાના માલોત્રા ગામે ખેડૂતોના ખેતરો સુધી પહોંચી હતી. જ્યાં સાચી હકીકત જાણતા ખેડૂતોએ જણાવ્યું હતું કે 17 તારીખના રોજ રાજસ્થાનમાંથી રાત્રિના સમયે આવેલા ભારે પાણીના કારણે તમામ ખેતરો ધોવાઈ ગયા છે. ખેતરો ધોવાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે હાલમાં માલોત્રા ગામમાં આવેલા ખેતરોમાં કશું જ બચ્યું ન હતું.

બાજરી અને મગફળીનું વાવેતર હતું : ખાસ કરીને ધાનેરા તાલુકાનું માલોત્રા ગામ એ રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલું ગામ છે. જેથી તાજેતરમાં રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના કારણે રાજસ્થાનનું મોટા પ્રમાણમાં વરસાદી પાણી માલોત્રા ગામમાં ઘુસ્યુૂ હતું. જેના કારણે ખેડૂતોના ખેતરો હાલ પાણીથી ધોવાઈ ગયા છે. એક તરફ પાણીની તંગીના કારણે ખેડૂતોએ માંડ માંડ પોતાના ખેતરોમાં બાજરી અને મગફળીનું વાવેતર કર્યું હતું. ત્યાં રાજસ્થાનનું વરસાદી પાણી આ ગામમાં ઘૂસતા હાલમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. એક એક ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે.

તાત્કાલિક સર્વે કરી સહાય જાહેર કરવા માગણી : સરકાર દ્વારા હાલમાં ખેડૂતોને થયેલ નુકસાન બાબતે સર્વે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ધાનેરાના અનેક ગામોમાં સરકાર દ્વારા સર્વે કરી દેવામાં આવ્યો છે. પરંતુ માલોત્રા ગામમાં હજુ સુધી સર્વે થયો નથી. જેના કારણે ખેડૂતોને થયેલ નુકસાન બાબતે બાકાત રાખવામાં આવ્યા છે. ત્યારે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હાલ માલોત્રા ગામના ખેડૂતો એક જ માગણી કરી રહ્યા છે કે ભારે વરસાદની પાણીના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં ખેતરોમાં નુકસાન થયું છે તેનો સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય જાહેર કરે તો જ ખેડૂત પગભર થઈ શકે તેમ છે.

  1. Banaskantha Rain : બીપરઝોય વાવાઝોડાને કારણે બનાસકાંઠામાં ઇઝરાયેલી ખારેકમાં લાખોનુ નુક્શાન, ખેડુતો થયા બેહાલ
  2. Biporjoy Cyclone Impact: દિયોદર,લાખણી-ભાભર વિસ્તારમાં દાડમના પાક સાફ થઈ ગયો
  3. Biparjoy Cyclone affect: રાજસ્થાનની સરહદે અડીને આવેલા ગામમાં પાણીએ પથારી ફેરવી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.