- ખંભાતની કેમ્બે જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડતા 34થી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
- ખંભાતની જનરલ હોસ્પિટલમાં ઓક્સિજનને લઇ દર્દીઓમાં ગભરાટનો માહોલ
- તંત્રની બેદરકારીનો ભોગ દર્દીઓ બન્યા
આણંદ: ખંભાતની 39 બેડ ધરાવતી કેમ્બે જનરલ હોસ્પિટલમાં સંચાલકોની બેદરકારીને કારણે ઓક્સિજન ખૂટી પડતાં હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલા 34થી વધુ દર્દીઓને સંચાલકો દ્વારા અન્ય હોસ્પિટલમાં જવાનું જણાવતા દર્દીઓના માટે સંકટ તોળાયું છે. દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. દર્દીઓના સગાઓ દ્વારા હોસ્પિટલનો ઘેરાવો કરાતા હોસ્પિટલની બહાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જનરલ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લામાં કોરોના બાબતે હોટસ્પોટ ગણાતા ખંભાતમાં કોરોનાના અનેક કેસ નોંધાયા છે, ત્યારે શહેરની ચાર કોવિડ હોસ્પિટલોમાં હાઉસફૂલના પાટિયા લાગેલા છે. ખંભાતની વિવાદોમાં રહેલી કેમ્બે જનરલ હોસ્પિટલમાં આજે શુક્રવારે એકાએક ઓક્સિજન ખૂટી પડતા દર્દીઓમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સંચાલકોની અણઆવડતને કારણે 39 બેઠકો ધરાવતી જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડતા 34 દર્દીઓને તાત્કાલિક ડિસ્ચાર્જ કરાતા દર્દીઓના સગાઓમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.
કલેક્ટર અને DDOને સવારથી રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઇ વ્યવસ્થા થઇ નથી : યોગેશ ઉપાધ્યાય
આ અંગે જનરલ હોસ્પિટલના સેક્રેટરી યોગેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, અમારી હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડતા અમે કલેક્ટર અને DDOને સવારથી રજૂઆત કરી હતી. તેમ છતાં હજુ સુધી કોઇ વ્યવસ્થા થઇ નથી. ધારાસભ્ય દ્વારા પણ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. ઓક્સિજનની અછતને કારણે નાછૂટકે અમારે દર્દીઓને ડિસ્ચાર્જ કરી અન્ય સ્થળે ખસી જવા જણાવવું પડ્યું છે.
શું આ બાબતે હોસ્પિટલના સંચાલકો જવાબદારી રહેશે ? : વિશાલ જાદવ
આ અંગે વિશાલ જાદવ જણાવ્યું હતું કે, મારા પિતાજીને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. ડૉક્ટરે બધાને એક સાથે ડિસ્ચાર્જ લેવા જણાવ્યું હતું. મારા પિતાજીને ઓક્સિજનની જરૂરિયાત હોય ખંભાતની અન્ય તમામ હોસ્પિટલ હોય, અમારે ક્યાં જવું. મારા પિતાજીની હાલત ખૂબ જ ખરાબ છે. શું આ બાબતે હોસ્પિટલના સંચાલકો જવાબદારી રહેશે.
આ પણ વાંચો : ખંભાતમાં કોરોનાથી વધુ બે લોકોનાં મોત, તાત્કાલિક ધોરણે શાળાઓ બંધ કરવા વાલીઓની માંગ
હોસ્પિટલના સંચાલકો ફોટોસેશનમાં વ્યસ્ત
ખંભાતની કેમ્બે જનરલ હોસ્પિટલના ત્રણ કરોડથી વધુનું અનુદાન સરકારશ્રી પાસેથી મેળવે છે તેમ છતાં હોસ્પિટલમાં આઈસીયુ વેન્લટીલેટર સુવિધાના નામે મીંડુ છે હોસ્પિટલમાં ઓક્સિજન ના બેડ સહિત વેન્લેટીલેટર દાન આપવામાં આવે છે તેમ છતાં હોસ્પિટલના સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની અત્યાધુનિક સેવા ઉભી કરવામાં આવી નથી જેથી શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે દાન હોસ્પિટલ હોસ્પિટલ માં જાય છે કે સંચાલકોના ખિસ્સામાં?હોસ્પિટલમાં સંચાલકો માત્ર ફોટો પડાવવામાં જ વ્યસ્ત છે ઓક્સિજન ખુટી પડવાની ઘટના ખંભાત જનરલ હોસ્પિટલ માટે શરમજનક ઘટના ગણાવી શકાય
આ પણ વાંચો : ખંભાતમાં રસી ન મળતા 25થી વધુ શિક્ષકો તેમજ અધ્યાપકો કોરોનાગ્રસ્ત થયા
દર્દીઓના સગાઓમાં આક્રોશ
આ અંગે તુલસીભાઈ ચુનારા આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે મારા કાકાને છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે ડોક્ટર દ્વારા એકદમ અમને જણાવવામાં આવ્યું કે હાલ ઓક્સિજન હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી તમારે તમારા સગા ને જ્યાં લઈ જવા હોય ત્યાં લઈ જાઓ અમારી પાસે કોઈ સગવડ નથી અમને રામભરોસે છોડી દેવામાં આવ્યા છે તો મારે હોસ્પિટલના સંચાલકો ને પૂછવું છે કે આ કરોડો રૂપિયાનું દાન આવે છે તો જાય છે ક્યાં? ઓક્સિજન ની સગવડ હોસ્પીટલમાં ના થતી હોય તો હોસ્પિટલ બંધ કરી દેવી જોઈએ હાલ અમારે ક્યાં જવું ?તમામ ખંભાત ની હોસ્પિટલો હાઉસફૂલના પાટિયા લાગેલા છે.