ETV Bharat / state

સ્થાપનાના 132 વર્ષ બાદ પણ આણંદ નગરપાલિકાના 50 ટકા વિસ્તારો ગટર સુવિધાથી વંચિત

author img

By

Published : Jun 22, 2021, 9:23 PM IST

સ્થાપનાના 132 વર્ષ બાદ પણ આણંદ નગરપાલિકાના 50 ટકા વિસ્તારો ગટર સુવિધાથી વંચિત
સ્થાપનાના 132 વર્ષ બાદ પણ આણંદ નગરપાલિકાના 50 ટકા વિસ્તારો ગટર સુવિધાથી વંચિત

આણંદથી શરૂ થયેલી સહકારી ક્રાંતિની સમગ્ર વિશ્વએ નોંધ લીધી હતી. દેશને ગૌરવ અપાવતી અમૂલ ડેરી થકી આજે ચરોતરમાં આણંદ શહેર તેની એક આગવી ઓળખ ધરાવે છે. આણંદમાં વર્ષ 1889થી શરૂ થયેલી નગરપાલિકા હાલમાં તેના 125 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. તેમ છતાં આજદીન સુધી 50 ટકા શહેરી વિસ્તારોમાં ગટરની સુવિધા ઉપલબ્ધ ન હોવાનું નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે.

  • આણંદ જિલ્લા મથકમાં પ્રજા પાયાની સુવિધાઓથી વંચિત
  • શહેરના 50 ટકા વિસ્તારો હજુ પણ ગટર સુવિધાનો અભાવ : ચીફ ઓફિસર
  • બાકરોલ તળાવમાં ગટરનું પાણી ભળતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ


આણંદ : શ્વેત ક્રાંતિના કારણે આણંદ જિલ્લો વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. આણંદમાં વર્ષ 1889થી નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી. જે વર્ષ 2014થી તેના 125 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. વિકાસની હરણફાળમાં અન્ય શહેરો સાથે આગળ વધી રહેલા આણંદ શહેરમાં જ માળખાગત સુવિધાઓમાંની એક ગટર વ્યવસ્થા જ કથળેલી હાલતમાં હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે. નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા પ્રમાણે નગરપાલિકા અંતર્ગતના 50 ટકા વિસ્તારમાં હજુ ગટરની કામગીરી કરાઈ નથી.

સ્થાપનાના 132 વર્ષ બાદ પણ આણંદ નગરપાલિકાના 50 ટકા વિસ્તારો ગટર સુવિધાથી વંચિત

આણંદના 3 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પૈકી 2 પૂર્ણ કાર્યક્ષમતાથી કાર્યરત

ETV Bharat દ્વારા આણંદના શહેરી વિસ્તારમાં ગટરની વ્યવસ્થા અંગે તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આણંદ નગરપાલિકાના 50 ટકા જેટલા વિસ્તારમાં હજુ ગટરની કામગીરી થઈ નથી આણંદ નગરપાલિકાના પાસે 3 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સુવિધા છે. જે પૈકી 2 અત્યારે પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે. જ્યારે 1 એસ.ટી.પી. માં થોડું કામ બાકી હોવાથી તે અત્યારે પૂર્ણ ક્ષમતાથી કાર્યરત નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આણંદમાં હાલ ટાઉન પ્લાનિંગની સાઇડમાં પૂર્વ આયોજિત ગટર વ્યવસ્થાનું આગોતરું પ્લાનિંગ કરીને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે સિવાય વોર્ડ 12નો થોડો ભાગ અને વોર્ડ નંબર 13નો અડધો ભાગ હજુ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં સમાવિષ્ટ ન હોવાથી ગટર સુવિધાથી સજ્જ નથી.

શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય
શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય

તળાવમાં ગટરના પાણીના નિકાલથી 40 હજાર રહિશોના આરોગ્યને જોખમ : સ્થાનિક કાઉન્સિલર

સ્થાનિક કાઉન્સિલર સલીમ દીવાનના જણાવ્યા અનુસાર, જે વિસ્તારમાં ગટરની સુવિધા છે તેના ગંદા પાણીનો નિકાલ બાકરોલના તાળાવમાં કારવામાં આવે છે. જેથી આ વિસ્તારમાં દૂષિત પાણીનો કાયમ ભરાવો થયેલો રહે છે. દૂષિત ગટરના પાણીના કારણે કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા બાકરોલ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. બાકરોલ તળાવ પાસે 'ઓવરહેડ વોટર ટેન્ક' પણ આવેલી છે. જેના બોરમાં આ તળાવ અને બાજુમાંથી પસાર થતી વરસાદી કાંસનું દુર્ગંધ ધરાવતું પાણી આવવાથી નવો બોર બનાવવાની ફરજ ઉભી થઇ છે. બાકરોલ વિસ્તારમાં આ દૂષિત પાણીના કારણે ઘણા નાગરિકોને બિમારીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ત્યારે આસપાસના 2 વોર્ડના 40,000 જેટલા રહીશોના આરોગ્ય સામે જોખમ ઉભું થતું હોવાની ચિંતા પણ કાઉન્સિલર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

ગટર લાઈન નાંખવા માટે ખોદાયેલા ખાડા
ગટર લાઈન નાંખવા માટે ખોદાયેલા ખાડા

સોસાયટીઓમાં પીવાના પાણી સાથે ગટરનું પાણી આવવાની સમસ્યા

આણંદ શહેરના નાની ખોડિયાર વિસ્તારમાં આવેલા ગેંગદેવ નગર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા એક મહિનાથી આ વિસ્તારમાં ગટરનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી રહ્યું છે. જેનું હજુ સુધી સમાધાન થયું નથી. આ સાથે નગરપાલિકા દ્વારા ગટરની તેમજ પીવાના પાણીની સમસ્યાઓનો ત્વરિત નિકાલ કરવામાં આવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.