અષાઢી બીજ તો છે જ, પણ તે દિવસે પુષ્ય નક્ષત્રમાં વહેલી સવારે 4 વાગ્યેને 40 મીનીટે ચંદ્ર આવે છે અને તે રાત્રિના 2 વાગ્યા 31 મીનીટ સુધી પુષ્ય નક્ષત્રમાં જ રહે છે. આ સમયગાળામાં ચંદ્રની સાથે મંગળ પણ છે. ચંદ્ર મંગળનો યોગ એ લક્ષ્મી યોગ કહેવાય છે. આ બન્ને યુતિ ધન પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ છે. વૃશ્ચિક રાશિનો ગુરુ પાંચમા સ્થાને છે અને વક્રી હોવાથી શુભ ગ્રહો વક્રી થાય તો તે વધુ શુભ ફળ આપનાર બને છે.
ગુરુપુષ્યામૃત યોગમાં કરેલું કાર્ય સફળતા અપાવે છે. તેમજ આ યોગમાં સોનુંચાંદી ખરીદવા પણ ઉત્તમ ગણાય છે. આ શુભ દિવસે નવપંચમ યોગ બની રહ્યો છે, તે પણ કોઈપણ પ્રકારના કાર્યની સિદ્ધિ માટે અને સરસ્વતી માતાની પૂજા કે આરાધના માટે શ્રેષ્ઠ છે. નવા કાર્યોનો આરંભ પણ આ દિવસે કરશો તો વધુ ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. તેમજ જૈન સાધુસંતો માટે ચાતુમાર્સના પ્રવેશ માટે શુભ દિવસ છે.
અષાઢી બીજના દિવસે લક્ષ્મી અને સરસ્વતી માતાની આરાધના કરવી જોઈએ. જેનાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. શ્રીયંત્રનુ પૂજન પણ લાભદાયી રહેશે. જેથી ભાવિકોએ અષાઢી બીજના દિવસે દેવદર્શન કરવા અને શક્ય એટલી લક્ષ્મીજીની આરાધના કરવા માળા કરવી અને પૂજા પણ કરવી. જેનાથી ધનધાન્ય ભરપુર રહેશે. ધંધારોજગારમાં આવક વધશે. નવા પુસ્તક લખવાની શરૂઆત પણ કરવી શુભ ગણાય છે.