ETV Bharat / state

Factors for Heart Disease : હૃદયરોગ માટે જોખમી મુખ્ય પરિબળ "અપૂરતી ઊંઘ", કાર્ડિયોલોજિસ્ટે જણાવ્યા બચવાના ઉપાય

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2023, 7:23 PM IST

હાલમાં જ થયેલા એક અભ્યાસ મુજબ હૃદયરોગ માટે જોખમી પરિબળોમાં મુખ્ય અપૂરતી ઊંઘ છે. ત્યારે આ અંગે કાર્ડિયોલોજિસ્ટ ડો. અભિષેક ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, હૃદય રોગ માટેના મુખ્ય 3 જોખમી પરિબળ અપૂરતી ઊંઘ, ડાયાબિટીસ અને હાયપરટેન્શન છે. ઉપરાંત તેઓએ આ સમસ્યાથી બચવાના ઉપાય પણ જણાવ્યા હતા, જુઓ આ ખાસ અહેવાલ...

Factors for Heart Disease
Factors for Heart Disease

હૃદયરોગ માટે જોખમી મુખ્ય પરિબળ "અપૂરતી ઊંઘ"

અમદાવાદ : રાજ્યભરમાં કોરોનાકાળ બાદ હાર્ટ એટેક અને હાર્ટ એટેકથી થતા મોતના કિસ્સા વધ્યા છે. મોટાભાગે હૃદયરોગનું અને હાર્ટ એટેકનું મુખ્ય કારણ કોરોના થયા બાદની નબળાઈ અને રોગપ્રતિકારક શક્તિમાં કમીને માનવામાં આવે છે. પરંતુ હાલમાં જ એક સંશોધનમાં સામે આવ્યું છે કે, અપૂરતી ઉંઘ પણ હૃદયરોગનું જોખમ વધારી શકે છે. જુઓ આ અંગે કાર્ડિયોલોજિસ્ટ ડો. અભિષેક ત્રિપાઠીએ શું કહ્યું...

હાર્ટ એટેકનું મુખ્ય કારણ : હૃદયરોગ માટે જોખમી પરિબળો પરના વિશ્વવ્યાપી સંશોધનમાં અપૂરતી ઊંઘને હાર્ટ એટેકના નોંધપાત્ર પરિમાણ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ અને કાર્ડિયોલોજિસ્ટ ડો. અભિષેક ત્રિપાઠીએ આ અંગે માહિતી આપી હતી. તેઓના જણાવ્યા અનુસાર જાહેર પ્રતિભાવ-આધારિત અભ્યાસમાં ધ્યાન પર આવ્યું હતું કે, કુલ વસ્તીના 38 % લોકોમાં દૈનિક ઊંઘનો સમય 6 કલાક અથવા તેથી ઓછો નોંધાયો છે.

કેટલી ઊંઘ હિતાવહ ? અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલ 461,347 પુરૂષો અને સ્ત્રીઓ પરના એક મોટા અભ્યાસ અનુસાર, 6 કલાકથી ઓછી અથવા 9 કરતાં વધુ ઊંઘ લેનારા લોકોને હાર્ટ એટેક આવવાનું જોખમ 32 ટકા વધારે હતું. 5-6 કલાક અને તેથી ઓછી ઊંઘના લેતા લોકોમાં હૃદયરોગનો વ્યાપ 37.5 % જોવા મળ્યો હતો. ઉપરાંત 7 થી વધુ કલાક દૈનિક ઊંઘના સમયના સબ્જેક્ટ ગ્રુપમાં હાર્ટ એટેકનો વ્યાપ 18.51 % હતો. જેમાં ડાયાબિટીસ, હાયપરટેન્શન અને ધૂમ્રપાન જેવા મુખ્ય જોખમી પરિબળોને ધ્યાનમાં લીધા પછી તે નોંધવામાં આવ્યું હતું.

અપૂરતી ઊંઘની સમસ્યા : ડો. અભિષેક ત્રિપાઠી કહે છે કે, ગુણવત્તા અને પૂરતી ઊંઘની અછતથી ઘણી આડઅસર થાય છે. કમનસીબે ઘણા લોકો અનિંદ્રા અને અપૂરતી ઊંઘથી પીડાય છે. ઊંઘની અછતની ખરાબ અસરોમાં હાયપરટેન્શન, છાતીમાં દુખાવો, અનિયમિત ધબકારા અને કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. ઊંઘની અછત સાથે સંકળાયેલી અન્ય ગંભીર પરિસ્થિતિમાં હૃદયરોગનો હુમલો, હૃદયની નિષ્ફળતા, સ્થૂળતા, કિડનીની સમસ્યા, ઇન્સ્યુલિન પ્રતિકાર, ટાઈપ 2 ડાયાબિટીસ અને મગજને નુકસાન થવા જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. ઊંઘની સમસ્યા ધરાવતા લોકો પણ તણાવમાં આવી શકે છે, જેના કારણે સમય જતાં હૃદય પર નકારાત્મક અસર પડે છે.

મુખ્ય 3 જોખમી પરિબળ : ડો. ત્રિપાઠી કહે છે કે, આ અભ્યાસમાં 57 % પુરૂષો અને 43% સ્ત્રીઓ હતી. વધુમાં 45.6 % હાયપરટેન્શન અને 33.3 % ડાયાબિટીસનો વ્યાપ દર્શાવે છે. પુરુષોના જૂથમાં હાઈપરટેન્શન 41 % હતું જ્યારે સ્ત્રીઓમાં તે 51 % હતું. ડાયાબિટીસનો વ્યાપ પુરુષોમાં 37% અને સ્ત્રીઓમાં 28.5% હતો. અભ્યાસમાં સમાવિષ્ટ 12% લોકોએ હૃદય રોગ માટેના મુખ્ય 3 જોખમી પરિબળો દર્શાવ્યા છે જે અપૂરતી ઊંઘ, ડાયાબિટીસ અને હાયપરટેન્શન છે.

યોગ્ય નિંદ્રાનું મહત્વ : ડો. અભિષેક ત્રિપાઠી અને ડો. બિનલ રાજ તે અભ્યાસ ટીમના સભ્યો હતા, તેઓએ ડેટા એનાલિસિસમાં મદદ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ઘણી બધી રીતથી ઊંઘનો અભાવ હાર્ટ એટેકનું જોખમ વધારે છે. કોર્ટિસોલનું નિયમન કેન્દ્રીય છે. કોર્ટિસોલ એ એક હોર્મોન છે જે તાણ પ્રત્યે શરીરના પ્રતિભાવને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે. જો સ્તર ખૂબ ઊંચું હોય, તો તે શરીરનું બ્લડ પ્રેશર વધારે છે. જ્યારે વ્યક્તિ સારી રીતે સૂઈ જાય છે, ત્યારે તેનું બ્લડ પ્રેશર રાત્રે નીચે જાય છે. કોર્ટિસોલના અસંતુલનને કારણે રાત્રે હાઈ બ્લડ પ્રેશર હૃદય રોગના જોખમમાં વધારો કરવાના સંભવિત માર્ગો પૈકી એક છે.

ઊંઘ સુધારવા માટે પાંચ સરળ રીત નોંધી લો :

  1. દરરોજ રાત્રે સુવા જવું અને સવારે ઊઠવાનું એક જ સમયે અને સુસંગત રાખવું, આ તમારા શરીર માટે લય સ્થાપિત કરવામાં મદદ કરશે
  2. તમારો બેડરૂમ આરામદાયક તાપમાન સાથે આરામદાયક, શાંત અને ડાર્ક સ્પેસ રાખવી હિતાવહ છે.
  3. સ્ક્રીનનો સમય ઓછો કરો, ઊંઘના સમયના ઓછામાં ઓછા એક કલાક પહેલા તમામ સ્ક્રીનને બંધ કરો.
  4. સૂવાના સમય પહેલા ભોજન, કેફીન અને આલ્કોહોલને ટાળવાથી તમારા શરીરને સારી રીતે ઊંઘવાની શ્રેષ્ઠ તક મળશે.
  5. દિવસ દરમિયાન સક્રિય રહો.
  1. Heart Disease : આધુનિક ખોરાક પદ્ધતિ અને અનિયમિત દિનચર્યા હૃદયરોગને આપે છે નિમંત્રણ, જૂનાગઢના તબીબનો પ્રતિભાવ
  2. Gujarat Heart Attack: નવરાત્રિમાં હાર્ટ એટેકના 830 ઈમરજન્સી કોલ, સૌથી વધુ અમદાવાદમાં 228 કેસ, રાજ્ય સરકાર દ્વારા કમિટીનું ગઠન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.