અમદાવાદ : રાજ્યમાં કેટલીક જગ્યા એ નઠારા રોડ રસ્તા તેમજ રખડતા ઢોરના ત્રાસ લઈને ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જે લાંબા સમયથી આ મામલે સુનાવણી ચાલી રહી છે. ત્યારે બિસ્માર રોડ રસ્તા અને રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ગઈકાલે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખરાબ રસ્તા અને રખડતા ઢોર અંગેનો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ખરાબ રસ્તા અંગે તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાની દાવો કર્યો હતો.
AMC એ શું કહ્યું હાઈકોર્ટમાં : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇકોર્ટમાં જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, રોડની તમામ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે AMC દ્વારા નવી નીતિ બનાવવામાં આવી છે. રખડતા ઢોરના ત્રાસને દૂર કરવા માટે જે નવી નીતિ બનાવવામાં આવી છે તેનો ટૂંક સમયમાં હાઇકોર્ટ સમક્ષ જાણ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ આ નવી નીતિ જાહેર કરવામાં આવશે. જોકે, રખડતા ઢોરનો ત્રાસ યથાવત હોવાનો પણ AMC હાઇકોર્ટમાં સ્વીકાર કર્યો હતો. રખડતા ઢોરના ત્રાસની કામગીરીમાં બેદરકારી નહીં રખાય તેવી બાંહેધરી પણ કોર્ટમાં આપી હતી.
આ પણ વાંચો : Bhavnagar Stray Cattle : રખડતા ઢોરના કારણે ફુલ જેવા બાળકે માતાનો ખોળો ગુમાવ્યો
રખડતા ઢોર માટે હોટસ્પોટ : ગત સુનાવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા ઢોરના ત્રાસ માટે થઈને 96 જેટલા હોટસ્પોટ નક્કી કર્યા હતા. તેમજ ઢોરને પકડવા માટે થઈને બાઉન્સરનો ઉપયોગ કરશે એવી માહિતી કોર્ટે આપવામાં આવી હતી. જ્યારે ખરાબ રોડ રસ્તા અંગેની તમામ કામગીરી જે 90 ટકા બાકી હતી એ પણ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. AMC દ્વારા જે નવી નીતિ તૈયાર કરવામાં આવી રહી છે. તેમાં આ તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Stray Cattle : રખડતા ઢોર મુદ્દે AMCની નવી પોલિસી કરાઇ મોકૂફ, જાણો કારણ
રખડતા ઢોરને લઈને ચિંતા : ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ચાલતી આ સુનાવણીમાં હાઇકોર્ટ દ્વારા અત્યાર સુધીમાં અનેક નિર્દેશો અને હુકમો આપવામાં આવ્યા છે. તંત્રને કરેલી કામગીરી છતાં પણ હજુ સુધી રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. એ અંગે હાઇકોર્ટ દ્વારા અનેકવાર ચિંતાઓ વ્યક્ત પણ કરવામાં આવી છે. ત્યારે ખરાબ રોડ રસ્તા અને રખડતા ઢોરને લઈને રાજ્ય સરકાર કોર્ટમાં જવાબ રજૂ કરશે.