ETV Bharat / state

ગુજરાત ATSએ નિશા ગોંડલીયા પર થયેલા ફાયરિંગના બે આરોપીની ધરપકડ કરી

author img

By

Published : Jan 7, 2021, 2:49 PM IST

Updated : Jan 7, 2021, 5:14 PM IST

જામખંભાળીયામાં નિશા ગોંડલીયા પર થયેલા ફાયરિંગને SOG અને ગુજરાત ATS સતત તપાસ કરી રહી હતી. જે દરમિયાન બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન ચલાવી બન્ને આરોપીઓને ATSએ દબોચી લીધા છે. જેમાં પૈસાની લેતીદેતીમાં ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક કારણ ખુલ્યું છે.

ગુજરાત ATSએ જામખંભાળિયા નિશા ગોંડલીયા પર થયેલા ફાયરિંગના બે આરોપીને દબોચી લીધા
ગુજરાત ATSએ જામખંભાળિયા નિશા ગોંડલીયા પર થયેલા ફાયરિંગના બે આરોપીને દબોચી લીધા

  • જામખંભાળિયામાં નિશા ગોંડલીયા પર થયેલા ફાયરિંગની ઘટનામાં બે આરોપી ઝડપાયા
  • ગુજરાત ATSએ બાતમીના આધારે બન્ને આરોપીઓને દબોચી પાડ્યા
  • અયુબ દરજાદા અને મુકેશ શર્મા નામના આરોપીને દબોચી પાડવામાં આવ્યા

અમદાવાદ : જામખંભાળીયામાં નિશા ગોંડલીયા પર થયેલા ફાયરિંગને SOG અને ગુજરાત ATS સતત તપાસ કરી રહી હતી. જે દરમિયાન બાતમીના આધારે સંયુક્ત ઓપરેશન ચલાવી બન્ને આરોપીઓને ATSએ દબોચી લીધા છે. જેમાં પૈસાની લેતીદેતીમાં ફાયરિંગ કર્યું હોવાનું પ્રાથમિક કારણ ખુલ્યું છે.

ગુજરાત ATSએ નિશા ગોંડલીયા પર થયેલા ફાયરિંગના બે આરોપીની ધરપકડ કરી

યશપાલસિંહ દ્વારા આપવામાં આવેલ ધમકીઓ

ઉલ્લેખનીય છે કે, તા.29/ 11 / 2018 ના રોજ નિશાબેન ગુલાબદાસ ગોંડલીયાએ વાડીનાર મરીન પો.સ્ટે.માં ફરિયાદ આપેલ કે , જામનગરમાં એડવોકેટ શ્રી કિરીટ જોશીના મર્ડર કેસમાં તેઓ સાક્ષી તરીકે હતા અને તેઓને સાક્ષીમાંથી હટી જવા માટે અને કોઇ પુરાવા રજુ ન કરવા માટે યશપાલસિંહ દ્વારા ધમકીઓ આપવામાં આવેલ હતી. જે બાબતે તેઓએ રજુઆતો તથા અરજીઓ કરેલ હતી. જે અદાવત રાખી જયેશ પટેલ તથા તેમના ભાગીદાર યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ તથા તેના મળતીયાઓએ ભેગા મળી બે થી ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા તેઓ જામખંભાળીયા આરાધના ધામ પાસે આવેલ સિધ્ધી હોટલ આગળ જમવાનું પાર્સલ લઇને પોતાની કારમાં બેસવા જતા હતા. તે વખતે સફેદ કારમાં અજાણ્યા શખ્સોએ આવી તેઓને જાનથી મારી નાખવા રીવોલ્વરથી બે રાઉન્ડ ફાયર કર્યા હતા. જેમાં એક રાઉન્ડ તેઓની કાળા રંગની વરના ગાડીમાં વાગેલ તથા એક રાઉન્ડ હવામાં ફાયર કર્યો હતો. તથા તેમના માથામાં રીવોલ્વરના નીચેના ભાગથી માર મારી ઇજા કરેલ હતી. ઉપરોક્ત ગુના સબંધે ATSના અધિકારીઓએ તથા દેવભૂમિ દ્વારકા SOG એ સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી.

ATSએ ધરપકડ કરેલા આરોપીઓ કોણ છે ?

એટીએસના અધિકારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે “ આ ગુનામાં જામનગરના બિલ્ડર જીતેન્દ્ર ઉર્ફે લાલાભાઇ ગોરીયા તથા નિશાબેન ગોંડલીયા તથા જીતેન્દ્ર ઉર્ફે લાલાભાઇ ગોરીયાના ડ્રાઇવર અયુબ તથા જામનગરમાં રહેતા માથાભારે શખ્સ મુકેશ સિંધી નાઓ સંડોવાયેલ છે. જેઓની તપાસમાં ATSની ટીમ હતી. દરમ્યાન એટીએસની ટીમ તથા દેવભુમિ દ્રારકા soG ની ટીમ દ્વારા ખાનગી બાતમી હકીકતને આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપીઓ ( 1 ) અયુબભાઇ અબ્બાસભાઇ જાતે દરજાદા તથા ( 2 ) મુકેશ ઉર્ફે મુકેશ સિંધી જાનીભાઇને ઉપરોક્ત ગુનામાં વપરાયેલ સફેદ રંગની ઇનોવા કાર નં . GJ - 23 - AF - 0171 તથા ગુનામાં વપરાયેલ વગર લાયસન્સની પિસ્ટલ નંગ -૦1 સાથે ઉજાલા સર્કલ , એસ.જી. હાઇવે નજીકથી પકડી પાડી મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

રૂપિયાની લેતીદેતીમાં કરવામાં આવ્યું હતું ફાયરિંગ

જ્યારે આરોપીની પુછપરછ દરમ્યાન તેઓ બન્નેએ જણાવ્યું કે , જયેશ પટેલ તથા યશપાલ જાડેજા સાથે જામનગરના બિલ્ડર જીતેન્દ્ર ઉર્ફે લાલાભાઇ ગોરીયા તથા નિશાબેન ગુલાબદાસ ગોંડલીયાને આર્થિક લેવડ દેવડ બાબતે ઝઘડો ચાલતો હતો. આ બાબતમાં તેઓ બન્ને ઉપર ફરિયાદ કરવા માટે થઇ નિશાબેન ગુલાબદાસ ગોંડલીયાએ યશપાલ જાડેજાના નાના ભાઇના લગ્ન હોય તે જ દિવસે પોતાના ઉપર ફાયરિંગ કરાવડાવી તેનો આરોપ યશપાલ જાડેજા તથા જયેશ પટેલ ઉપર નાખવા માટે થઇ જીતેન્દ્ર ઉર્ફે લાલાભાઇ ગોરીયા ઉપર નિશાબેન ગુલાબદાસ ગોંડલીયાએ દબાણ કર્યું હતું. ઉપરોક્ત જીતેન્દ્ર ઉર્ફે લાલાભાઇ ગોરીયાએ પોતાના ડ્રાઇવર અયુબભાઇ દરજાદાને તથા મુકેશ સિંધીને ઉપરોક્ત ઇનોવા કાર તથા પિસ્તોલ આપી નિશા ગોંડલીયા આરાધના ધામ પાસે આવેલ સિધ્ધી હોટલ ઉપર જમવાનું પાર્સલ લેવા માટે પોતાની કાર લઇ ઉભી રહેવાની છે. ત્યારે તેની નજીક ગાડી ઉભી રાખી એક રાઉન્ડ ગાડી ઉપર અને એક રાઉન્ડ હવામાં ફાયરીંગ કરી પિસ્તોલનો પાછળના ભાગ માથામાં મારી ઇજા કરવા જણાવ્યું હતું. તે પ્રમાણે ઉપરોક્ત બન્ને આરોપીઓએ ગોંડલીયા આરાધના ધામ પાસે આવેલ સિધ્ધી હોટલ પાસે જઇ અગાઉથી પ્લાનીંગ પ્રમાણે નિશાબેન ગુલાબદાસ ગોંડલીયાના માથામાં પિસ્તોલનો પાછળનો ભાગ મારી ઇજા પહોંચાડી ભાગી ગયા હતા.

Last Updated : Jan 7, 2021, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.