ETV Bharat / state

Gujarat AAP : નેશનલ પાર્ટી બન્યા પછી આમ આદમી પાર્ટીની દશા બેઠી, હાલ ઝઝૂમી રહી છે અનેક પડકારો વચ્ચે

author img

By

Published : Apr 22, 2023, 7:19 PM IST

Gujarat AAP : નેશનલ પાર્ટી બન્યા પછી આમ આદમી પાર્ટીની દશા બેઠી, હાલ ઝઝૂમી રહી છે અનેક પડકારો વચ્ચે
Gujarat AAP : નેશનલ પાર્ટી બન્યા પછી આમ આદમી પાર્ટીની દશા બેઠી, હાલ ઝઝૂમી રહી છે અનેક પડકારો વચ્ચે

આમ આદમી પાર્ટી નેશનલ પાર્ટી બની ગઈ છે. પણ તે સમાચાર આવ્યા ત્યારથી પાર્ટીની દશા બેઠી હોય તેવા સમાચાર સતત આવી રહ્યા છે. ગુજરાત હોય કે, દિલ્હી હોય કે પછી પંજાબ આપને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે સખત મહેનત કરવી પડી રહી છે.

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો હતો અને 12.9 ટકાનો વોટ શેર મળ્યો હતો. જોકે, પહેલી જ વાર વિધાનસભાની ચૂંટણી લડવી અને આમ આદમી પાર્ટીને 12.9 ટકાનો વોટ શેર મળવો તે સારી બાબત ગણાય છે. આ વોટ શેરની ગણતરીને ધ્યાનમાં લઈને જ આમ આદમી પાર્ટી નેશનલ પાર્ટી બની ગઈ છે. પરંતુ ગુજરાત હોય કે દિલ્હી હોય કે પછી પંજાબ હવે આપને પોતાનું અસ્તિત્વ જાળવું મોંઘુ પડી રહ્યું છે.

સુરતનો ગઢ સાચવવો મોટો પડકાર : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીથી આમ આદમી પાર્ટીના ઉદયની શરૂઆત થઈ હતી. 127 બઠકોમાંથી 27 બેઠકો પર જીત મેળવી હતી. ત્યાંથી આપ બમણા જોશથી કામ કરી રહી હતી. આમ આદમી પાર્ટી માટે સુરત એપી સેન્ટર બની ગયું હતું. જોકે, આ જ સુરતના 27 કોર્પોરેટરોમાંથી 12 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા છે. હવે 15 કોર્પોરેટર બચ્યા છે. જો સુરતમાં 12 કોર્પોરેટરોથી સંખ્યા ઓછી થશે તો વિપક્ષનું પદ પણ જતું રહેશે. આમ આદમી પાર્ટી માટે સુરતનો ગઢ સાચવી રાખવો ખૂબ મુશ્કેલી થઈ પડ્યો છે.

ઈશુદાન ગઢવીનો આક્ષેપ : સુરતની ઘટના પછી આમ આદમી પાર્ટી સતત કહી રહી છે કે ભાજપ પાસે પૈસા અને પાવર બધુય છે, જેથી તેઓ તડજોડની રાજનીતિ કરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. હાલ તો ઈસુદાન માટે પાર્ટીને બચાવવી અને ટકાવી રાખવી મુશ્કેલ બન્યું છે.

ગોપાલ ઈટાલિયાની ધરપકડ પછી જામીન પર છૂટકારો : તાજેતરમાં ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી કહ્યા હતા, તે મુદ્દે તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. આ કેસમાં સુરત પોલીસે ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી હતી. જોકે, ત્યારબાદ જામીન પર છૂટકારો થયો હતો. આમ આદમી પાર્ટી ચારેકોરથી ભીંસમાં છે. મનીષ સિસોદિયા જેલમાં, કેજરીવાલની સીબીઆઈ ઈડી દ્વારા પુછપરછ દિલ્હીમાં, ડેપ્યુટી મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાન મનિશ સિસોદીયા દિલ્હી લીકર સ્કેમમાં જેલમાં છે. સીએમ અરવિંદ કેજરીવાલની પણ આ કેસમાં સીબીઆઈએ પુછપરછ કરી છે. પંજાબમાં અમૃતપાલસિંહની ઘટના પછી ખાલિસ્તાની ચળવળ વધુ તેજ બનતી જઈ રહી છે. કેજરીવાલ મોદી વિરુદ્ધ કંઈકને કંઈક કૌભાંડ બહાર લાવી રહ્યા છે, તેમ સીબીઆઈ અને ઈડી દ્વારા આમ આદમી પાર્ટીના નેતાની કોઈને કોઈ કેસમાં પૂછપરછ અને સંડોવણી દર્શાવીને અટકાયત કરી રહી છે.

યુવરાજસિંહની ડમી કાંડમાં ધરપકડ : ભાવનગરમાં ડમી ઉમેદવાર કૌભાંડમાં અત્યાર સુધી આપના નેતા યુવરાજસિંહ જાડેજા પેપર લીકની તમામ માહિતી સરકાર અને પ્રેસને આપતા હતા. તે યુવરાજસિંહ એક કરોડની ખંડણી કેસમાં ફસાયા છે. ગત મોડી રાતે 21 એપ્રિલે ભાવનગર પોલીસે ખંડણીનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે.

ભાજપ શા માટે આપને તોડી રહી છે? : હાલ તો નવા પ્રદેશ પ્રમુખ બનેલા ઈશુદાન ગઢવી માટે પ્રથમ તો સુરત કોર્પોરેશનનો ગઢ સાચવનાની સૌથી મોટી જવાબદારી છે. જો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 12થી ઓછા કોર્પોરેટર થશે તો વિપક્ષનો હોદ્દો જતો રહેશે. આમ આદમી પાર્ટીનું નાક કપાશે. જોકે, ભાજપ શા માટે આમ આદમી પાર્ટીને તોડી રહી છે? તે પણ એક મોટો સવાલ છે. અત્યાર સુધી ભાજપ આમ આદમી પાર્ટીને કોઈ મહત્વ નહોતું આપતું. પણ હવે આમ આદમી પાર્ટીને તોડવામાં સક્રિય ભૂમિકા નિભાવી રહી છે. પાર્ટીને મોટી થવા દેવી નથી કે પછી તેનું અસ્તિત્વ ગુજરાતમાં ન રહે તેવા પ્રયત્નો કરી રહી છે. જોકે આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો હજી અકબંધ છે, તે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા બતાવે છે.

આ પણ વાંચો : Gujarat Aap : જ્ઞાન સેતુ પ્રોજેક્ટ પર આમ આદમી પાર્ટીના પ્રહાર, વિરોધ શા માટે તે જાણો

આમ આદમી પાર્ટીમાં હતાશાનું વાતાવરણ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ પછી આમ આદમી પાર્ટી થોડી સોફ્ટ થઈ ગઈ છે. 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તેની તૈયારીઓની હજી શરૂઆત થઈ હોય તેવું કાંઈ દેખાતું નથી. તેની પાછળનું કારણ દિલ્હીમાં મનિષ સિસોદિયા જેલમાં છે અને કેજરીવાલની સીબીઆઈ અને ઈડીની ઈન્કવાયરીને કારણે પાર્ટીમાં હતાશાનું વાતાવરણ છે. તેમ છતાં કેજરીવાલ દિલ્હીમાં અને ઈશુદાન ગુજરાતમાં એકલા હાથે લડત આપી રહ્યા છે.

આ પણ વાંચો : Surat AAP: ભાજપ સામ-દામ દંડ કરીને આમ આદમી પાર્ટીને પક્ષ તરીકે હટાવવા માગે છે

લોકસભા 2024ની ચૂંટણી મોટો પડકાર : આ સંજોગો વચ્ચે પણ હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તે માટે આમ આદમી પાર્ટીએ જોરશોરથી તૈયારીઓમાં લાગી જવું જોઈએ. ભાજપની રાજનીતિ સામે લડવા કરતાં ચૂંટણીની રણનીતિ પર ફોક્સ કરવું જોઈએ. ઈશુદાન લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી 26 બેઠકોમાંથી કેટલી બેઠક પર જીત અપાવે છે? તે પણ મહત્વનું બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.