ETV Bharat / state

આત્મનિર્ભર ગુજરાતનો ફિયાસ્કો નહીં થાય ને? 1 લાખની લોન વાસ્તવિકતા કે ગતકડું!

author img

By

Published : May 22, 2020, 6:53 PM IST

Updated : May 22, 2020, 10:01 PM IST

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધતી જઈ રહી છે, અને અમદાવાદમાં સૌથી વધુ કેસ આવતાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં 22 માર્ચ, 2020થી લૉક ડાઉનની સ્થિતિ છે. આમ ચાર લૉક ડાઉનમાં ઉદ્યોગ-ધંધો વેપાર બધુ જ બંધ છે, ત્યારે ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત અભિયાન અંતગર્ત બે ટકા વ્યાજની રૂપિયા એક લાખની લોન આપવાની જાહેરાત કરી છે. પણ હાલ તો આ યોજના અમલમાં આવશે કે નહી તેના પર પ્રશ્નાર્થ સર્જાયો છે. જોઈએ આ વિશેષ અહેવાલ...

Atmanirbhar Gujarat Abhiyan
આત્મનિર્ભર

અમદાવાદ : ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત અભિયાન અંતગર્ત નાના વેપાર-ધંધા-ઉદ્યોગોને વાર્ષિક બે ટકાના સસ્તા વ્યાજ દરની રૂપિયા એક લાખની લોન આપવાની જાહેરાત કરી હતી. આ લોન જિલ્લાની સહકારી બેંકો આપશે, જેમાં 6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને બે ટકા લોન લેનારે ચુકવાના રહેશે. લોનના અરજી ફોર્મ 21મેના રોજ બેંકોમાંથી મળશે, તેવી જાહેરાત કરાઈ હતી. પ્રથમ દિવસે જ સહકારી બેંકોમાં લોનની અરજી ફોર્મ લેવા માટે ધોમધખતા તડકા(ગરમી)માં લાંબી લાંબી લાઈનો લાગી ગઈ હતી. કેટલીય બેંકોમાં અરજીફોર્મ આવ્યા પણ ન હતા. કેટલીક બેંકોએ ફોર્મનું વિતરણ કર્યું હતું. તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બેંકોની બહાર લોકો વહેલી સવારથી લાઈનો લગાવીને ઉભા હતા.

આત્મનિર્ભર ગુજરાતનો ફિયાસ્કો નહીં થાય ને?

આજની સ્થિતિ એવી છે કે, બધી જ બેંકોમાં લોનની અરજીના ફોર્મ જ નથી. લોકો ફોર્મ લેવા આવે છે ને ધક્કા ખાઈને પાછા જાય છે. કોઓપરેટિવ બેંકો એ બહાર બોર્ડ પણ મારી દીધા છે કે, ફોર્મ 1 જૂને મળશે. કેટલીક બેંકોએ કહ્યું કે, ફોર્મ પ્રિન્ટિંગમાં ગયા છે. શું આ રીતે ગુજરાત આત્મનિર્ભર બનશે, તેવો પ્રશ્ન ફોર્મ લેવા આવનારા લોકો પુછી રહ્યા હતા. કોરોનાની ગંભીર સ્થિતિ ચાલી રહી છે. રાજ્ય સરકાર કહે છે કે, ઘરમાં રહો સુરક્ષિત રહો, કામ સિવાય બહાર ન નીકળો. ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન છેડ્યું છે. તો બીજી તરફ એક લાખની લોન લેનારાઓએ બેંકોની બહાર ફોર્મ લેવા બળબળતા તાપ વચ્ચે લાઈનોમાં ઉભા રહ્યા. આપણે ડિજિટલ ભારત અન ડિજિટલ ગુજરાતની વાતો કરીએ છીએ, અને લોનના ફોર્મ લેવા માટે બેંકોની બહાર લાઈનોમાં ઉભા રહેવાનું. શું લોનનું ફોર્મ ઑનલાઈન ન મુકી શકાય. આવો પ્રશ્ન આમ જનતા પુછી રહી છે.

આત્મનિર્ભર ગુજરાત
આત્મનિર્ભર ગુજરાત

આ તો કોરોના વાયરસ વચ્ચે લોનના ફોર્મ લેવા લાઈનો લગાવી તે જોખમી છે, સરકારને આનો ખ્યાલ ન આવે.પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનીષ દોશીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તા. 22 મે 2020ના રોજ ગુજરાત સરકારે અખબારોમાં જાહેર સૂચના આપી છે. એમાં કહ્યુ છે કે, સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટી આ યોજના હેઠળ જેમને ધિરાણ કરે તે ધિરાણ મેળવનાર વ્યક્તિઓ નિયમિત રીતે સમય મર્યાદામાં લોનની રકમ પરત કરશે તે ચકાસવાની કામગીરી બેંકો અને ક્રેડિટ સોસાયટી કરશે અને તેમની લોન પરત કરવાની ક્ષમતા ચકાસણીને બેંકો ક્રેડિટ સોસાયટીને યોગ્ય લાગે એવી વ્યક્તિઓને જ બેંકો ક્રેડિટ સોસાયટી લોન આપશે. કયા માપ દંડોને આધારે સહકારી બેંકો કે ક્રેડિટ સોસાયટી ધિરાણ લેનાર માણસની યોગ્યતા ચકાસે છે? કઈ કઈ બેંકો આ ધિરાણ અને કેટલા લોકોને આપશે તેની યાદી તાત્કાલિક ધોરણે બહાર પાડવી જોઈએ નહીતો મજબુર લોકો નાહકના આત્મનિર્ભર થવાના સમણે કોરોના વાયરસ લઈને પાછો નહિ આવે ને? હવે સવાલ એ થાય કે, ઓગસ્ટના અંત સુધીમાં તો અરજીઓ મોકલવાની છે. હવે અરજીઓનું વેરીફિકેશન/ ચકાસણી ક્યારે થશે અને ક્યારે લોન મળશે? જેની સરકાર વાત કરે છે તે નાના માણસોને આજની તારીખે લોનની તાતી આવશ્યકતા છે. જો આજે તેને સહાય નહીં મળે તો તે વ્યાજખોરોના ચક્કરમાં હોમાઈ જશે અને આત્મહત્યા કરવા મજબૂર બનશે. જાણીતા અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે ETV Bharat ને કહ્યું હતું કે, સહકારી બેંકો આ એક લાખ રૂ. સુધીની લોન આપશે તેમણે વ્યાજની મોટી ખોટ સહન કરવાનો વારો આવશે. લોન વ્યાજ સાથે પરત મેળવવાની જફા પણ આ બેંકોએ અને ધિરાણ મંડળીઓએ જ કરવાની રહેશે. જેઓ લોન પરત નહિ આપી શકે તેની ખોટ પણ ટૂંકા કે લાંબા ગાળામાં સહકારી બેંકોએ ઉઠાવવાની આવશે. આમ, બધી જવાબદારી સરકારે સહકારી બેંકો પર નાખી દીધી છે. આ સંજોગોમાં સહકારી બેંકો કેટલા લોકોને લોન આપશે તે પણ એક મોટો સવાલ છે. એટલે આખી યોજના જ મોટે ભાગે નિષ્ફળ જવાની શક્યતા વધી જાય છે.

આત્મનિર્ભર ગુજરાતનો ફિયાસ્કો નહીં થાય ને?

આને પરિણામે ભવિષ્યમાં સહકારી બેંકોની NPA વધવાની શક્યતા પણ વધી જાય છે. મધ્યસ્થ સહકારી બેંકોની મુદત વીતી લોન (NPA) 2018-19માં રૂ. 986 કરોડ હતી અને ધિરાણ મંડળીઓની NPA રૂ. 2,370 કરોડ હતી. મુદત વીતી બાકી લોનનો અર્થ એ થાય છે કે, લોન પરત આવવાની મુદત પૂરી થઈ ગઈ છે અને છતાં લોન બેંકમાં પરત આવી નથી. હવે જો આ એક લાખ રૂપિયાની લોન પરત નહિ આવવાના કિસ્સા ઊભા થશે તો બેંકો અને ધિરાણ મંડળીઓની નાણાકીય મુસીબત વધશે. ગુજરાતમાં મધ્યસ્થ સહકારી બેંકોની સંખ્યા 18 અને પ્રાથમિક ધિરાણ મંડળીઓની સંખ્યા 15,969 છે. તેમના અસ્તિત્વ સામે ખતરો થઇ શકે છે. બિન-ખેતી વિષયક ધિરાણ મંડળીઓમાં તો રાજ્યના 111.25 લાખ નાગરિકો સભ્યો છે. એટલે એમની થાપણોની સલામતી પણ જોખમાઈ જાય તેવી સંભાવના છે. અત્યારે ગુજરાતમાં મોટા ભાગની સહકારી બેંકોના અધ્યક્ષો ભાજપના નેતાઓ છે. ત્યારે તેઓ તો સરકાર સામે બોલે પણ શું?

Ahmedabad
આત્મનિર્ભર ગુજરાતનો ફિયાસ્કો નહીં થાય ને?
Ahmedabad
આત્મનિર્ભર ગુજરાતનો ફિયાસ્કો નહીં થાય ને?

સહકારી બેંકો આગામી દિવસોમાં લોન આપશે કે કેમ? અને આપશે તો કઈ શરતો એ આપશે? તેમજ કોને આપશે? હાલ તો બધા આવા અનેક પ્રશ્નો પુછી રહ્યા છે. હાલ નાના વેપારીઓ સ્ટ્રીટ વેન્ડરોને તાત્કાલિક પૈસાની જરૂર છે, ત્યારે હવે લોનના ફોર્મ માટે 1 જૂન સુધી રાહ જોવી પડશે. અને પછી લોન તો કયારે મળશે તે પણ ખબર નથી.

- ભરત પંચાલ બ્યૂરો ચીફ, અમદાવાદ

Last Updated :May 22, 2020, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.