- રાજ્યમાં કોરોનાની મહામારીને લઇ ફરીવાર ગુજરાત હાઇકોર્ટમાં થશે સુનવણી
- ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી દાખલ કરાઈ અરજી
- અરજીમાં અપાયા કેટલાક સલાહ સૂચનો
- કોરોના પર કાબૂ મેળવવા સ્ટેન્ડિંગ એડવાઈઝરી કમિટી બનાવવા કરાઈ માગ
- અરજીમાં સરકારની દૂરંદેશીતાના અભાવ ઉપર ભાર મુકાયો
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની અરજીમાં હાઇકોર્ટને અપીલ કરવામાં આવી છે કે, સરકારની કેટલીક નીતિઓમાં દૂરંદેશીનો સ્પષ્ટ અભાવ છે. ગત થોડા દિવસો પહેલા જ પ્રોફેસર ઈન્દ્રાણી બેનર્જીને ટ્રીટમેન્ટ ન મળતા તેમનું મોત થયું હતું. તેઓ સારવાર લેવા EMRI 108 દ્વારા ન આવી પ્રાઇવેટ વાહનમાં આવ્યા તેવું કહી તેમને હોસ્પિટલમાં પ્રવેશ ન આપવામાં આવતા તેમનું મોત થયું હતું. સરકારના આવા નિયમો પર નામદાર હાઇકોર્ટ પોતાનું ધ્યાન દોરે તે માટેની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ મનપાના કમિશ્નરનું ફરમાન, ખાનગી હોસ્પિટલોએ 20 ટકા બેડ આરક્ષિત રાખવા પડશે
નામદાર કોર્ટ એક સ્ટેન્ડિંગ એડવાઈઝરી કમિટીની નિમણુંક કરે
આ અરજીમાં સૌથી અગત્યનું સૂચન એ કરવામાં આવ્યું છે કે, નામદાર કોર્ટ એક સ્ટેન્ડિંગ એડવાઈઝરી કમિટીની નિમણુંક કરે. જેથી હાઇકોર્ટ પાસે સાચી માહિતી આવી શકે. આ કમિટીમાં સરકારી અધિકારીઓને સભ્ય ન બનાવી વાયરોલોજી, મેથેમેટિશિયન, સ્ટેટેસ્ટિક, મેડીસીન, NGO જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને સભ્ય બનાવવામાં આવે અને સરકાર તેમને માહિતી આપવામાં અને અન્ય કામકાજમાં સંકલન કરે.
શાળાઓ અને હોલને આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા ઉપયોગમાં લેવાય
એક તરફ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓ, મહાનગરોમાં કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ત્યારે આઇસોલેશન વોર્ડ ઉભા કરવા માટે પણ અરજીમાં સૂચન કરવામાં આવ્યું છે. અરજીમાં માગણી કરવામાં આવી છે કે, શાળાઓ અને હોલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવે. જેથી લોકોને બેડ માટે વલખા ન મારવા પડે.
આ પણ વાંચોઃ બોટાદમાં લોકોમાં કોરોના અંગે જાગૃતતા આવે તે માટે જાગૃતી વેન ખુલ્લી મૂકી
સરકારી વેબસાઈટ પર રિયલ ટાઈમ ડેટા ઉપલબ્ધ કરાવો
એક તરફ રાજ્યમાં બેડ, ઓક્સિજન, ઇન્જેક્શનની માગમાં વધારો થયો છે. ત્યારે લોકોને સરળતાથી કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ઉપલબ્ધ છે. ઓક્સિજન અને વેન્ટિલેટર ક્યાં ઉપલબ્ધ છે. તેની રિયલ ટાઈમ માહિતી સરકારી પોર્ટલ પર ઉપલ્બધ કરાવવા પણ સૂચનો આપવામાં આવ્યા છે. જેથી દર્દીને સરળતાથી અને એક પણ સેકન્ડના વિલંબ વિના સારવાર મળી શકે.